PAK vs AUS: ઓસ્ટ્રેલિયાને સ્ટીવ સ્મિથની ઇજાને લઇ લાગ્યો ઝટકો, પાકિસ્તાન સામે ODI અને T20 સિરીઝથી બહાર
સ્ટીવ સ્મિથના સ્થાને ઓસ્ટ્રેલિયાની ટીમમાં અન્ય કોઈ ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો નથી ઓસ્ટ્રેલિયન ટીમ હાલમાં પાકિસ્તાન પ્રવાસે છે અને જ્યાં હવે મર્યાદિત ઓવરની સિરીઝ રમાનાર છે.
પાકિસ્તાન (Pakistan) સામે લિમિટેડ ઓવરની સિરીઝ શરૂ થાય તે પહેલા જ ઓસ્ટ્રેલિયા (Australia) ને મોટો ઝટકો લાગ્યો છે. તેને આ ફટકો સ્ટીવ સ્મિથ (Steven Smith) ની જૂની ઈજાથી લાગ્યો છે. સ્મિથ તેની કોણીની ઈજાને કારણે ફરી એક વાર પરેશાન છે અને તેના કારણે તે પાકિસ્તાન સાથે રમાતી વનડે અને ટી20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. જોકે, સ્મિથના સ્થાને ઓસ્ટ્રેલિયાની ટીમમાં અન્ય કોઈ ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ઓસ્ટ્રેલિયાના પસંદગીકારોનું માનવું છે કે ટીમ પાસે પૂરતા બેટ્સમેન છે, જે સ્મિથની ભરપાઈ કરી શકે છે.
ઈજાના કારણે સફેદ બોલની શ્રેણીમાંથી બહાર થયા બાદ સ્મિથ પણ પેટ કમિન્સ, જોસ હેઝલવુડ, મિશેલ સ્ટાર્ક અને ડેવિડ વોર્નર સાથે ઓસ્ટ્રેલિયા પરત ફરશે. આ તમામ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમનો ભાગ હતા. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામે 3 ટેસ્ટ મેચની શ્રેણી 1-0 થી જીતી હતી. સ્ટીવ સ્મિથ સિવાય ઓસ્ટ્રેલિયાને લગ્નના કારણે ક્રિકેટથી દૂર રહેલા ગ્લેન મેક્સવેલની સેવાઓ પણ નહીં મળે.
ODI અને T20 માંથી બહાર રહેવા પર દુઃખ વ્યક્ત કર્યું
સ્ટીવ સ્મિથ પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણીમાં સૌથી ઝડપી 8000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. ODI અને T20માંથી બાકાત રાખવા પર તેણે કહ્યું, “તે પાકિસ્તાન સામેની મેચ ચૂકી જવાથી દુઃખી છે. પરંતુ, મેડિકલ સ્ટાફે મને હાલ માટે બ્રેક લેવાની સલાહ આપી છે.
View this post on Instagram
આગળ વધારે ક્રિકેટ માટે રિસ્ક
ઓસ્ટ્રેલિયાની પસંદગી સમિતિના અધ્યક્ષ જ્યોર્જ બેઇલીએ કહ્યું કે અમે પાકિસ્તાન સામેની આગામી 4 મેચોમાં સ્મિથને રમાડીને જોખમ ન લઈ શકીએ. ઓસ્ટ્રેલિયાએ જૂન પછી ઘણું ક્રિકેટ રમવાનું છે અને તેમાં તેમની ભૂમિકા નિર્ણાયક રહેશે. તેણે કહ્યું, “અમે સ્મિથના સ્થાને કોઈ બેટ્સમેનને સામેલ કર્યો નથી. કારણ કે, ટીમમાં ઘણા એવા ખેલાડીઓ છે, જેમને સ્મિથની ગેરહાજરીનો લાભ ઉઠાવવાની તક મળશે.
પાકિસ્તાન વિરૂદ્ધ ODI અને T20I 29 માર્ચથી શરૂ થઈ રહી છે. પ્રથમ વનડે સિરીઝની 3 મેચ હશે, ત્યારબાદ માત્ર T20 રમાશે. T20 મેચ 5 એપ્રિલે રમાશે. ODI મેચો 29, 31 અને 2 એપ્રિલે રમાશે. આ તમામ મેચો અગાઉ રાવલપિંડીમાં યોજાવાની હતી. પરંતુ રાજકીય કારણોસર તેમને લાહોર શિફ્ટ કરવામાં આવ્યા છે.