રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ આ મેચ વિનર ખેલાડીઓને મોકો નથી આપી રહ્યા? કોહલી-શાસ્ત્રી યુગ બાદ થઈ રહ્યા છે નજરઅંદાજ
ભારતીય ટીમ (Indian Cricket Team) એશિયા કપ થી ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝની શરુઆતની મેચ સુધીનુ પ્રદર્શન નિરાશાજનક કરી રહી છે. જે માટે ટીમની પસંદગી અને ખેલાડીઓને મોકો આપવાને લઈ સવાલો થઈ રહ્યા છે.
હાલમાં T20 સિરીઝ ભારત અને ઓસ્ટ્રેલિયા (India Vs Australia) વચ્ચે રમાઈ રહી છે. ભારતીય ટીમ (Indian Cricket Team) નુ પ્રદર્શન એશિયા કપમાં અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝની પ્રથમ મેચમાં નિરાશાજનર રહ્યુ હતુ. જેને લઈ હવે ક્રિકેટ ચાહકોથી લઈને વિશ્લેશકો પણ નબળા પ્રદર્શનને લઈ સવાલો ઉઠાવી રહ્યા છે. આ દરમિયાન કેટલાક ચાહકો દ્વારા કુલદીપ યાદવ અને શ્રેયસ અય્યર (Shreyas Iyer) ને પણ યાદ કરી રહ્યા છે. ખાસ કરીને અય્યરને બહાર રહેવાને લઈ આંકડા તેના રમવા અંગે ચર્ચા થઈ રહી છે. ચર્ચા એ વાતની થઈ રહી છે કે, આ ખેલાડીઓને રાહુલ દ્રવિડ અને રોહિત શર્મા (Rohit Sharma) ના આવ્યા બાદ તક ઓછી મળી રહી છે.
રાહુલ દ્રવિડ અને રોહિત શર્માની જોડીએ આમ તો તેમના કાર્યકાળ દરમિયાન દ્વીપક્ષીય સિરીઝમાં શાનદાર પ્રદર્શન અગાઉ કરી દેખાડ્યુ છે. એશિયા કપ અને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં ભારતીય ટીમની નિરાશાએ જોકે ટીમને સવાલોમાં ઘેરી છે. આ પહેલા પણ સફળતા મળવા છતાં એક બાબત આંખે ઉડીને વળગી રહી હતી કે, મીડલ ઓર્ડરમાં પરેશાની જોવા મળી રહી છે. ભારતીય ટીમ મોટા સ્કોરને બચાવવામાં નિષ્ફળ રહેવાના પણ સવાલ અંતિમ મેચને લઈ થઈ રહ્યા છે. આ ચર્ચાઓ વચ્ચે એમ પણ કહેવાય છે કે, હાલમાં એવા ખેલાડી જાણે અજાણ્યે નજર અંદાજ થઈ રહ્યા છે. જેમને રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલી વખતે ખૂબ મોકો મળતો હતો.
અય્યરને પહેલા મળતા હતા વધુ મોકા
આ યાદીમાં સૌથી પહેલુ નામ આવે છે, શ્રેયસ અય્યરનુ. અય્યર હાલમાં જાણે મેદાનથી દૂર હોય એમ લાગી રહ્યુ છે. વર્ષ 2017માં વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર શ્રેયસ અય્યર હાલમાં ટીમથી બહાર ચાલી રહ્યો છે. જોકે અય્યરને ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વિશ્વ કપમાં સ્થાન મળ્યુ છે, પરંતુ સ્ટેન્ડબાય ખેલાડી તરીકે. અય્યરને વિરાટ અને રવિ શાસ્ત્રીના કાર્યકાળમાં વધારે મોકા મળી રહ્યા હતા એમ આંકડા દર્શાવે છે. જોકે હવે આ ખેલાડીને ટીમમાં પરત ફરવા માટે જાણે તરસવુ પડી રહ્યુ છે.
શાસ્ત્રી અને કોહલીના સમયગાળા દરમિયાન અય્યરે 42 મેચો રમી હતી. જેમાં તેણે 8 અડધી સદી અને 1 સદી ફટકારી હતી, તેણે 1038 રન નોંધાવ્યા હતા. હાલ રાહુલ અને રોહિતના સમયગાળામાં અય્યરને મત્ર 25 મેચોમાં જ તક મળી છે. જેમા તેણે 9 અડધી સદી નોંધાવી છે. જ્યારે 984 રન નોંધાવ્યા છે. આમ છતાં પણ આ ખેલાડીને નજર અંદાજ કરાઈ રહ્યો હોવાની ચર્ચા વર્તાઈ રહી છે.
કુલદીપ યાદવ, આ યાદીમાં બીજુ નામ
નવા યુગમાં કુલદીપ યાદવ હવે ભૂલાતુ જતુ નામ છે. રાહુલ અને રોહિતના સમયગાળામાં કુલદીપ ટીમ માટે જાણે યાદ સુદ્ધા કરવામાં આવતો નથી. જે શાસ્ત્રી અને કોહલી યુગમાં મોકા પર મોકા મેળવતો રહ્યો હતો. કુલદીપ યાદવ 2017 થી 2021 સુધીમાં 75 મેચ રમી ચુક્યો છે. આ સમય ભૂતપૂર્વ જોડીનો હતો. જે વખતે તેણે ભારત માટે 140 વિકેટો ઝડપી હતી. જ્યારે હાલમાં તે માત્ર 16 મેચમાં જ મોકો મેળવી શક્યો છે. જેમાં તેણે 26 વિકેટ ઝડપી છે. રોહિતની કેપ્ટનશિપ અને દ્રવિડના કોંચિંગ હેઠળ તેને માત્ર 6 મેચો રમવાનો જ મોકો મળ્યો છે. જેમાં તેણે 8 વિકેટો ઝડપી છે.