Ranji Trophy: રવિન્દ્ર જાડેજાની મેદાનમાં દમદાર વાપસી, તરખાટ મચાવતા 7 વિકેટ ઝડપી
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા રવિન્દ્ર જાડેજા રણજી ટ્રોફીમાં રમવા માટે મેદાને ઉતર્યો છે. ચેન્નાઈમાં તેણે તામિલનાડુ સામે રમતા 7 શિકાર ઝડપીને ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસ પહેલા જબરદસ્ત પ્રદર્શન બતાવ્યુ હતુ.
ભારતીય ટીમ નો સ્ટાર ઓલરાઉન્ડર લાંબા સમય બાદ મેદાનમાં પરત ફર્યો છે. લગભગ પાંચ મહિના સુધી તે ક્રિકેટથી દૂર રહ્યો હતો. આગામી મહિને ઓસ્ટ્રેલિયન ટીમ ભારત પ્રવાસે આવી રહી છે એ પહેલા જાડેજાએ દમદાર વાપસી કરી છે. તેણે ઘરેલુ ક્રિકેટમાં રણજી ટ્રોફીમાં રમતા જાડેજાએ તામિલનાડુ સામે તરખાટ મચાવ્યો હતો. સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના કેપ્ટનની ભૂમિકામાં રહેલા જાડેજાએ તામિલનાડુની બીજી ઈનીંગમાં 7 વિકેટ ઝડપી હતી. જાડેજાના કમાલના પ્રદર્શન સામે હરીફ ટીમ માત્ર 133 રનના સ્કોર પર જ સમેટાઈ ગઈ હતી.
જાડેજાના પ્રદર્શનને લઈ હવે ટીમ ઈન્ડિયાને માટે રાહતના સમાચાર છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝની પ્રથમ બે મેચ માટેની સ્ક્વોડમાં રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને જે વખતે તેને માટે ફિટનેસ સાબિત કરવાની શરત રાખી હતી. જોકે હવે આ વાતથી જાડેજા અને ટીમ બંનેને રાહત થઈ ગઈ છે.
બીજી ઈનીંગમાં બતાવ્યો દમ
સૌરાષ્ટ્ર અને તામિલનાડુ વચ્ચે રમાઈ રહેલી રણજી મેચની બીજી ઈનીંગ 26 જાન્યુઆરને ગુરુવારે રમાઈ રહી હતી. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ પોતાનો કમાલ બતાવ્યો હતો. તામિલનાડુએ પ્રથમ ઈનીંગમાં 324 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્ર સામે તામિલનાડુએ પ્રથમ ઈનીંગમાં લીડ મેળવી હતી. આવી સ્થિતીમાં સૌરાષ્ટ્ર માટે બીજી ઈનીંગમા તામિલનાડુમાં સસ્તામાં રોકવુ જરુરી બન્યુ હતુ. આવી સ્થિતીમાં કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ તરખાટ મચાવવો શરુ કર્યો હતો અને ઝડપથી એક બાદ એક શિકાર ઝડપવા શરુ કર્યા હતા.
જાડેજાએ શાહરુખ ખાને બોલ્ડ કરી પ્રથમ વ્યક્તિગત સફળતા મેળવી હતી. ત્યાર બાદ ઈન્દ્રજીતને બોલ્ડ કરી દીધો હતો. પ્રદોશ અને વિજય શંકરને પણ લિગ બિફોર કરીને પેવેલિયન પરત મોકલ્યા હતા. જાડેજા સામે તામિલ બેટ્સમેનોએ ઉભા રહેવુ મુશ્કેલ બની ગયુ હતુ. એક બાદ એક ખેલાડીઓ પેવેલિયનનો રસ્તો માપવા લાગ્યા હતા. જાડેજાએ 7 વિકેટ ઝડપતા તામિલ ટીમ માત્ર 133 રન 36.1 ઓવરમાં નોંધાવીને સમેટાઈ ગઈ હતી. આ સિવાય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી.
મેચની સ્થિતી
તામિલ નાડુએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. પ્રથમ ઈનીંગમાં ઈન્દ્રજીત, વિજય શંકર અને શાહરુખ ખાનની અડધી સદીની મદદથી 324 રન 142.4 ઓવરની રમત રમીને નોંધાવ્યા હતા. જ્યારે સૌરાષ્ટ્રની ટીમે 192 રન નોંધાવ્યા હતા. આમ 132 રનની લીડ મેળવી હતી. બીજી ઈનીંગમાં 133 રન તામિલનાડુએ નોંધાવ્યા હતા. આમ સૌરાષ્ટ્રને 266 રનનુ લક્ષ્ય મળ્યુ હતુ.
જાડેજાએ પ્રથમ ઈનીંગમાં માત્ર 15 રનની ઈનીંગ રમી હતી. તેની વિકેટ અપરાજીતે લેગ બિફોર આઉટ કર્યો હતો. ચિરાગ જાનીએ સૌથી વધુ 49 રન નોંધાવ્યા હતા. બીજી ઈનીંગમાં સૌરાષ્ટ્રે 3 રનના સ્કોર પર જ પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. જય ગોહિલ 10 બોલ રમીને શૂન્ય રને પરત ફર્યો હતો. ચેતન સાકરીયા 1 રને અને હાર્વિક દેસાઈ 3 રન સાથે રમતમાં રહ્યા છે.