IND vs NZ: કાનપુર ટેસ્ટમાં મળેલો મોકો કેએસ ભરત લોટરીમાં પલટી શકે છે, રિદ્ધીમાનને ઇજા કમનસિબીમાં બદલાઇ શકે છે!
કાનપુર અને મુંબઇ ટેસ્ટ માટે ન્યુઝીલેન્ડ સામે રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) ને નિયમીત વિકેટકિપર ઋષભ પંતના સ્થાને તક અપાઇ હતી.
ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે હાલમાં કાનપુરમાં ટેસ્ટ (Kanpur Test) મેચ રમાઇ રહી છે. બે ટેસ્ટ મેચની સિરીઝમાંથી નિયમીત વિકેટકીપર ઋષભ પંત (Rishabh Pant) ને આરામ આપવામાં આવ્યો છે. આ દરમિયાન તેના વિકલ્પ તરીકે ટીમ ઇન્ડિયામાં સામેલ રહેલા કિપર રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) ને તક આપવામાં આવી હતી. સાહા ત્રીજા દિવસે મેદાને ઉતર્યો નહોતો. તેના બદલે કેએસ ભરત (KS Bharat) વિકેટકિપીંગની જવાબદારી સંભાળી છે. જોકે અનકેપ્ડ પ્લેયર ભરત માટે આ મહત્વની તક સાબિત થઇ શકે છે.
રિદ્ધિમાન સાહાને ગળામાં તકલીફ થવાને લઇને તે મેદાન થી બહાર રહ્યો છે. તેને બીસીસીઆઇની મેડિકલ ટીમ દ્વારા નિરિક્ષણ કરવામાં આવી રહ્યુ છે. કારણ કે તે ટેસ્ટ સિરીઝ માટે વિકેટકીપર તરીકે ટીમમાં સમાવાવેશ કરવામાં આવેલ છે. તેમજ ભારતીય ટીમને બીજા દાવમાં બેટ્સમેનના રુપમાં તેની જરુરીયાત વર્તાશે. જોકે પહેલી ઇનીંગમાં તેણે ખાસ દેખાવ નહોતો કર્યો, એટલા માટે જ ભરત માટે આ તક મહત્વની માનવામાં આવી રહી છે.
ભારતીય ટીમને આમ પણ ઋષભ પંતના વિકલ્પ તરીકે કિપર તરીકે સાહાને જોવામાં આવી રહ્યો છે. પરંતુ તેના સ્થાને હવે ટીમ ઇન્ડિયામાં જોડાવવા માટે ભરતને માટે કાનપુરમાં મળેલી જવાબદારી મહત્વની પુરવાર થઇ શકે છે. સાહાને જો આરામ ના થાય તો તેવી સ્થિતીમાં મુંબઇ ટેસ્ટમાં તેને લોટરી લાગી શકે છે.
કાનપુર ટેસ્ટમાં ભારતીય ટીમની પ્રથમ બેટીંગ ઇનીંગ દરમ્યાન સાહાએ 12 બોલનો સામનો કરીને માત્ર એક જ રન કરીને વિકેટ ગુમાવી દીધી હતી. સાહા માટે વર્તમાન સિરીઝ મોકા થી કમ નહોતી. તે પોતાનુ સ્થાન મજબૂત કરવા માટે સારી રમત રમી શક્યો હોત અને ટીમ મેનેજમેન્ટને આકર્ષીત કરી શક્યો હોત.
સાહાનુ કરિયર
ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં સ્થાન પામેલ રિદ્ધીમાન સાહા ભારતીય ટીમ વતીથી 38 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. આ દરમ્યાન તેણે માત્ર 1251 રન જ નોઁધાવ્યા છે. તે ભારતીય ટીમ વતીથી નિયમીત સભ્ય રહી શક્યો નથી. આમ તેનુ સ્થાન પહેલા થી જ અસ્થિર રહ્યુ છે, જેનો લાભ હવે ભરત ઉઠાવી શકે છે.
બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાં કેએસ ભરતની ડેબ્યૂની તક નકારી શકાતી નથી. તે એક આક્રમક પ્રકારનો બેટ્સમેન છે. તે લાંબા છગ્ગા ફટકારવામાં પણ પારંગત છે. સાથે જ વિકેટની પાછળ પણ તેનુ કામ સારુ રહ્યુ છે. તે નિચલા મધ્યક્રમમાં ઉપયોગી અને ઝડપી રન બનાવી શકે તે પ્રકારનો ખેલાડી છે. તેની આ ક્ષમતાઓને ધ્યાને રાખીને તેને તક મળી શકે છે. જોકે આ માટે તેણે બસ કાનપુરમાં ધ્યાન ખેંચનારી કિપીંગ કરી બતાવવાની છે.