PCB એ 4 ખેલાડીઓને મોકલ્યો સરપ્રાઈઝ મેસેજ, કાળઝાળ ગરમીમાં દોડ લગાવી ‘અગ્નિપરીક્ષા’ આપવા કર્યો આદેશ!
25 મેના રોજ, PCB દ્વારા જે ચાર ખેલાડીઓને ફિટનેસ ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યા છે તે છે ઉમર અકમલ, શોએબ મકસૂદ, હેરિસ સોહેલ અને શર્જીલ ખાન.
લાહોરમાં આકરી ગરમી પડી રહી છે. પરંતુ, પીસીબીને જાણે શુ સુઝ્યૂ છે કે આકરા ઉનાળામાં પાકિસ્તાન (Pakistan) ના 4 ખેલાડીઓ ફિટનેસ ટેસ્ટની અગ્નિપરીક્ષામાંથી પસાર થવાના છે. જણાવી દઈએ કે તેણે અચાનક જ તે ચાર ખેલાડીઓને ફિટનેસ ટેસ્ટ આપવા માટે બોલાવ્યા છે. તારીખ 25 મે આપવામાં આવી છે અને જે ચાર ખેલાડીઓને ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યા છે. તેમાં ઉમર અકમલ, શોએબ મકસૂદ, હેરિસ સોહેલ અને શર્જીલ ખાનનો સમાવેશ થાય છે. આ તમામ ખેલાડીઓ લાહોર (Lahore) ની આકરી ગરમી વચ્ચે તેમના બોર્ડના આદેશનું પાલન કરશે. સૂત્રોનું માનીએ તો, આ ખેલાડીઓ શારીરિક રીતે ઉપલબ્ધ છે કે નહીં, બોર્ડે તેમને પહેલેથી જ પૂછ્યું હતું. તેમની ઉપલબ્ધતાની પુષ્ટિ કર્યા પછી, બોર્ડે તે બધાને સરપ્રાઈઝ સંદેશ મોકલ્યો, જેમાં તેમની ફિટનેસ ટેસ્ટ (Fitness Test) નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ફિટનેસ ટેસ્ટમાં ખેલાડીઓએ 2 કિલોમીટરની દોડ નિર્ધારિત સમયમાં પૂરી કરવાની હોય છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા આ સમય મર્યાદા સાડા સાત મિનિટ રાખવામાં આવી છે. એટલે કે જે પણ દોડશે તેણે આ રેસ 7 મિનિટ 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. આ ચારેય ખેલાડીઓનો આ ટેસ્ટ ત્યારે કરવામાં આવી રહ્યો છે જ્યારે તેઓ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કન્ડીશનીંગ કેમ્પનો ભાગ પણ નથી.
લાહોરની ગરમીમાં ફિટનેસ ટેસ્ટ સામે વાંધો
જો કે, ખેલાડીઓ દ્વારા ચોક્કસપણે પૂછવામાં આવ્યું હતું કે લાહોરની ગરમીમાં ફિટનેસ ટેસ્ટ કેવી રીતે શક્ય છે. કંડિશનિંગ કેમ્પનો ભાગ બનેલા ક્રિકેટરોએ પણ ફિટનેસ ટેસ્ટ કરાવ્યો ન હતો. બોર્ડે પહેલા તેમને કેમ્પમાં બોલાવવા જોઈએ. તમને જણાવી દઈએ કે PCB દ્વારા જે ચાર ખેલાડીઓને ફિટનેસ ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યા છે તે હવે રાષ્ટ્રીય ટીમનો ભાગ નથી.
વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે ટીમની જાહેરાત
પાકિસ્તાની મીડિયાને ટાંકીને આ સમાચાર વચ્ચે, PCBએ વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 ODI શ્રેણી માટે પાકિસ્તાનની ટીમની જાહેરાત કરી છે. બાબર આઝમને 16 સભ્યોની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે વાઇસ કેપ્ટન શાદાબ ખાન ઈજા બાદ વાપસી કરી રહ્યો છે.
રાવલપિંડીમાં શ્રેણીની ત્રણેય મેચો રમાશે
વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણી માટે પાકિસ્તાનના 16 ખેલાડીઓનો કેમ્પ 1 જૂનથી રાવલપિંડીમાં યોજાઈ રહ્યો છે. શ્રેણીની ત્રણેય મેચ રાવલપિંડીમાં રમાશે. પ્રથમ વનડે 8 જૂનથી શરૂ થશે. બીજી વનડે 10 જૂને રમાશે. તે જ સમયે, ત્રીજી અને છેલ્લી વનડે મેચ 12 જૂને રમાશે.