Pakistan: લ્યો ! ન્યુઝીલેન્ડે પ્રવાસ રદ્દ કર્યો તો પાકિસ્તાને હવે ભારત પર આરોપ લગાવવા શરુ કર્યા, કહ્યુ ધમકીનો ઇ-મેઇલ મહારાષ્ટ્ર થી કરાયો હતો!
ન્યુઝીલેન્ડે (New Zealand) સુરક્ષાને કારણે પાકિસ્તાન (Pakistan) નો પ્રવાસ રદ કર્યો હતો. જે બાદ પાકિસ્તાન સ્તબ્ધ થઈ ગયું છે અને હવે તેણે ભારત પર આરોપો લગાવવા લાગ્યુ છે.
ન્યૂઝીલેન્ડની ટીમ (New Zealand Cricket Team) આ મહિને પાકિસ્તાન (Pakistan) પ્રવાસે ગઈ હતી. 18 વર્ષ પછી આ તેમનો પાકિસ્તાન પ્રવાસ હતો, પરંતુ કિવી ટીમે શ્રેણી શરૂ થતાં પહેલા પ્રવાસ રદ કર્યો હતો. કારણ કે તેને તેમની સરકાર તરફથી માહિતી મળી હતી કે, ટીમની સુરક્ષાને ખતરો છે. આ પ્રવાસમાં ન્યુઝીલેન્ડ ત્રણ વનડે અને પાંચ T20 મેચની શ્રેણી રમવાની હતી, પરંતુ પ્રથમ વનડેની શરૂઆત પહેલા જ ન્યુઝીલેન્ડે આ પ્રવાસ રદ કર્યો હતો. આ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ખૂબ જ ગુસ્સામાં હતું. હવે પાકિસ્તાને તેને લઈને તેની માનસિકતા મુજબ ભારત પર આક્ષેપો કરવાની શરુઆત કરી છે.
પાકિસ્તાને બુધવારે આરોપ લગાવ્યો હતો કે, ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમને ભારતથી ધમકીભર્યો ઇમેઇલ મોકલવામાં આવ્યો હતો. જેના કારણે ન્યુઝીલેન્ડની ટીમને તેમના દેશનો પ્રવાસ રદ કરવાનો આદેશ મળ્યો હતો. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે (ECB) ગત સોમવારે પાકિસ્તાનમાં, આગામી મહિને નિર્ધારિત દ્વિપક્ષીય શ્રેણીને રદ કરી દીધી હતી. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમે ગયા શુક્રવારે પાકિસ્તાનનો પ્રવાસ સુરક્ષાના જોખમોને કારણે રદ કર્યો હતો.
પાકિસ્તાન દાવો કરી રહ્યું છે કે દેશમાં તાજેતરમાં થયેલા કેટલાક આતંકી હુમલા પાછળ ભારતનો હાથ હતો. ભારતે આ દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે અને ઇસ્લામાબાદને તેની ધરતી પર વધતા આતંકવાદ સામે પગલાં લેવા જણાવ્યું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જુલાઈમાં કહ્યું હતું કે, પાકિસ્તાન માટે ભારત વિરુદ્ધ પાયાવિહોણો પ્રચાર ફેલાવવો નવો નથી. તે વધુ સારું રહેશે જો પાકિસ્તાન તેની ધરતીમાંથી ઉદ્ભવતા આતંકવાદ અને ત્યાં સલામત આશ્રય મેળવનારા આતંકવાદીઓ સામે વિશ્વસનીય પગલાં લે. આતંકવાદની વાત આવે ત્યારે આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાનની સ્થિતીથી વાકેફ છે.
માહિતી પ્રધાને આપી હતી આવી માહિતી
ગૃહમંત્રી શેખ રશીદ અહમદ સાથે બુધવારે પત્રકાર પરિષદમાં માહિતી પ્રધાન ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું. તેમણે કહ્યુ કે, ઓગસ્ટમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન આતંકવાદી એહસાનુલ્લાહ એહસાનના નામે એક નકલી પોસ્ટ બનાવવામાં આવી હતી. જેના વડે ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ અને સરકારને પોતાની ટીમને પાકિસ્તાન ના મોકલવા માટે કહેવામાં આવ્યું હતું.
આમ છતાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ પાકિસ્તાન પહોંચી હતી. ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રથમ મેચના દિવસે ન્યુઝીલેન્ડના અધિકારીઓએ કહ્યું હતું કે, તેમની સરકાર ખતરા અંગે ચિંતિત છે અને પ્રવાસ રદ કર્યો છે. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટસે તેને ટાંકીને કહ્યું હતું કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓ, ગૃહ મંત્રાલયની સુરક્ષા ટીમ, દરેક તેમની સાથે આ ધમકી ને જાણવા માટે ગયા હતા. પણ તેઓ અમારા જેવા અજાણ્યા હતા.
ભારત તરફથી મેઇલ મોકલ્યો
તેણે કહ્યું કે એક દિવસ બાદ ન્યુઝીલેન્ડની ટીમને બીજો ધમકીભર્યો મેલ મોકલવામાં આવ્યો હતો. જેના માટે હમઝા આફ્રિદીની આઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે તપાસ અધિકારીઓને ખબર પડી ગઈ હતી. કે ઈમેલ ભારતમાંથી કોઈ ડીવાઇસથી મોકલવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, તે ‘વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક’ (VPN) થી મોકલવામાં આવ્યો હતો. જે તેમનુ સ્થાન તે જગ્યાના બદલે સિંગાપોર દર્શાવે છે.
પ્રધાને કહ્યું કે આ ડીવાઇસ પર વધુ 13 આઈડી હતા, જેમાંથી મોટાભાગના ભારતીય નામોના હતા. ચૌધરીએ દાવો કર્યો હતો કે, આ ડીવાઇસનો ઉપયોગ ભારતમાંથી ધમકીઓ માટે કરવામાં આવ્યો હતો. જે ન્યૂઝીલેન્ડની ટીમને કરવામાં આવી હતી. નકલી આઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ તે મહારાષ્ટ્ર (Maharashtra) થી મોકલવામાં આવ્યો હતો.
ગૃહ મંત્રાલયે કેસ નોંધ્યો
તેમણે કહ્યું કે, ગૃહ મંત્રાલયે એક કેસ નોંધ્યો છે. તહરીક-એ-લબાઈક પ્રોટોનમેલ અને હમઝા આફ્રિદીના આઈડી પર માહિતી સાથે ઈન્ટરપોલને મદદ માટે વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, વેસ્ટ ઇન્ડીઝની ટીમ ડિસેમ્બરમાં પાકિસ્તાનનો પ્રવાસ કરશે. અને તેમના મતે, ટીમને પહેલેથી જ ધમકી આપવામાં આવી છે.
તેમણે દાવો કર્યો હતો કે, તે પ્રોટોનમેલ એકાઉન્ટ દ્વારા પણ જારી કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, તે દુર્ભાગ્યપૂર્ણ છે. અમે માનીએ છીએ કે, આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સામેનું અભિયાન છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ અને અન્ય સંસ્થાઓએ પણ આ તરફ ધ્યાન આપવું જોઈએ. ઈંગ્લેન્ડ ટીમના પ્રવાસને રદ્દ કરવાના નિર્ણય અંગે ચૌધરીએ કહ્યું કે, બ્રિટીશ હાઈ કમિશનર ક્રિશ્ચિયન ટર્નરે સ્પષ્ટ કર્યું છે. જે મુજબ યુકે સરકારની પાકિસ્તાન અંગેની સલાહમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો.