PAK vs NZ: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમને પણ હવે પાકિસ્તાનનો પ્રવાસ ખેડવાને લઈને પ્રશ્નાર્થ, સુરક્ષાને લઈ મોટો સવાલ
પાકિસ્તાન (Pakistan)માં ખેલાડીઓની સુરક્ષાને લઈ વધુ એકવાર આ ઘટના સામે આવી છે. આગામી એક વર્ષ સુધી અન્ય દેશો પાકિસ્તાનનો પ્રવાસ ખેડવાને લઈને રોકાઈ શકે છે.
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ (PAK Vs NZ Pakistan) વચ્ચે રમાનારી વન ડે અને T20 સિરીઝ રદ કરી દેવાઈ છે. ન્યુઝીલેન્ડની ટીમ (New Zealand cricket team) સુરક્ષાના કારણોને લઈને સ્વદેશ પરત ફરવાનો નિર્ણય કરી લીધો છે.
રાવલપિંડીમાં બંને દેશો વચ્ચે આજથી વન ડે સિરીઝ શરુ થનારી હતી. પરંતુ હવે બંને દેશો વચ્ચેની બંને વ્હાઈટ બોલ સિરીઝ હવે રદ થઈ ચુકી છે. આ સાથે જ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો પાકિસ્તાન પ્રવાસ યોજાવા સામે પણ સંકટ સર્જાયુ છે.
પાકિસ્તાનમાં સુરક્ષાને લઈને કેવી સ્થિતી છે તે જગ જાહેર છે. પાકિસ્તાનમાં જોખમોને લઈને વધુ એક ઉદાહરણ દુનિયા સામે આવ્યુ છે. ન્યુઝીલેન્ડની ટીમે સુરક્ષાના કારણોસર પાકિસ્તાનનો પ્રવાસ સિરીઝ શરુ થવાના પહેલા પહેલા જ રદ કરી દેવામાં આવ્યો છે.
ન્યુઝીલેન્ડ બાદ હવે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમો પણ પાકિસ્તાનનો પ્રવાસ ખેડનારા હતા. પરંતુ હવે આ બંને દેશોના પ્રવાસ સામે પણ સંકટ તોળાઈ ચુક્યુ છે. કીવી ટીમનો પાકિસ્તાન પ્રવાસ રદ થવાને લઈને હવે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પણ તેમના ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રવાસ કરતા પહેલા 100 વાર વિચાર કરશે.
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ તો T20 વિશ્વકપ પહેલા જ પાકિસ્તાનનો પ્રવાસ ખેડનાર હતી. આ માટેની તમામ તૈયારીઓ પણ થઈ ચુકી હતી તો વળી આઈપીએલ 2021ના પ્લે ઓફમાં ઈંગ્લેન્ડના ખેલાડીઓની હાજરીને લઈને પણ સંદેહ વર્તાઈ રહ્યો હતો.
પરંતુ હવે ઈંગ્લેન્ડની ટીમનો પ્રવાસ પડતો મુકાઈ શકે છે. આ ટીમો ઉપરાંત આગામી એક વર્ષ દરમ્યાન અનેક ટીમો પણ પાકિસ્તાનનો પ્રવાસ ખેડનારી હતી. પરંતુ હવે સસ્પેન્સની તલવાર લટકી ગઈ છે. જે હવે પાકિસ્તાન માટે સારા સમાચાર નથી.
20 મિનિટ પહેલા જ રદ થયો પ્રવાસ
રાવલપિંડીમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે વન ડે સિરીઝ શુક્રવારે રમાનારી છે. પ્રથમ વન ડે મેચ સાથે ત્રણ મેચોની સિરીઝની શરુઆત થનાર હતી. પ્રથમ વન ડે મેચની 20 મિનિટ પહેલા જ રાવલપિંડીમાં ઉપદ્રવના સમાચાર આવ્યા હતા. જેને લઈને ખેલાડીઓને સ્ટેડિયમમાં એન્ટ્રી કરવા દેવામાં આવી નહોતી. જોકે આ સમાચાર આવ્યા બાદ તરત જ ન્યુઝીલેન્ડની ટીમે તેમનો પ્રવાસ રદ કરી દેવાની ઘોષણા કરી હતી.
કિવી ખેલાડીઓએ ટોસ પહેલા જ મેદાને ઉતરવાની ના ભણી દીધી હતી. ખેલાડીઓમાં રાવલપિંડીમાં સર્જાયેલા ઉપદ્રવને લઈને ભય ફેલાયો હતો. સુત્રો એ મીડિયા રિપોર્ટ્સ મુજબ ન્યુઝીલેન્ડના ખેલાડીઓએ મેદાનમાં આવવા થી સ્પષ્ટ ના કહી દીધી હતી. આમ વ્હાઈટ બોલની મર્યાદિત ઓવરની બંને સિરીઝ શરુ થવા પહેલા જ રદ થઈ ગઈ હતી.