PAK vs AUS: PM ઇમરાન ખાન સામે વિરોધના માહોલને લઇ ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સિરીઝનુ સ્થળ બદલાયુ, સુરક્ષાનુ દર્શાવ્યુ કારણ
પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા (Pakistan Vs Australia) વચ્ચે હાલમાં ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે, જેની ત્રીજી અને છેલ્લી મેચ 21 માર્ચથી લાહોર (Lahore) માં શરૂ થશે.
પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા (Pakistan Vs Australia) વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ બાદ હવે માત્ર ત્રણ મેચની વનડે સીરીઝ રમાવાની છે. જોકે, માર્ચના અંતમાં યોજાનારી આ શ્રેણી પર પાકિસ્તાનના રાજકીય ઉથલપાથલની અસર જોવા મળી છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન (Pakistan PM Imran Khan) વિરુદ્ધના વાતાવરણને કારણે દેશમાં રાજકીય વાતાવરણ ગરમ થયુ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયા ODI સિરીઝની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારે સમાધાનને ટાળવા માટે શ્રેણીનું સ્થળ બદલવા (Pak vs Aus ODI Series venue changed) માં આવ્યુ છે. 29 માર્ચથી શરૂ થનારી આ શ્રેણી હવે રાવલપિંડીના બદલે લાહોરમાં આયોજિત કરવામાં આવશે.
પાકિસ્તાની સંસદમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વર્તમાન વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે, જેના પર આવતા સપ્તાહે મતદાન થવાનું છે. ઈમરાન ખાનની સત્તાધારી પાર્ટી પીટીઆઈ 27 માર્ચે ઈસ્લામાબાદમાં એક મોટી રેલી યોજવા જઈ રહી છે, જેમાં ઈમરાનના લાખો સમર્થકો પહોંચવાની આશા છે. તે જ સમયે, તેના પહેલા 23 માર્ચે, વિરોધ પક્ષોનો મોરચો રાવલપિંડીથી ઇસ્લામાબાદ સુધી કૂચનું આયોજન કરી રહ્યું છે.
ઈસ્લામાબાદ-રાવલપિંડીની નિકટતાને કારણે નિર્ણય
આવી સ્થિતિમાં દેશમાં રાજકીય અસ્થિરતાની સ્થિતિને કારણે ઓસ્ટ્રેલિયાના ઐતિહાસિક પ્રવાસ પર કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના કારણે વનડે સીરીઝનું સ્થળ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક મીડિયા અહેવાલ મુજબ, પાકિસ્તાની ગૃહમંત્રીએ શુક્રવારે 18 માર્ચે આ બાબતની જાહેરાત કરી છે. ભલે ઈસ્લામાબાદમાં રેલી યોજાવાની હોય, પરંતુ રાવલપિંડી ઈસ્લામાબાદને અડીને આવેલું શહેર છે, જેના કારણે સુરક્ષા માટે ખતરો માની શકાય છે. ઈસ્લામાબાદમાં 27 માર્ચે જ્યાં ઈમરાન સમર્થકોની રેલી યોજાવાની છે તે સ્થળ રાવલપિંડીમાં બંને ટીમોની હોટલથી માત્ર બે કિલોમીટર દૂર છે.
29 માર્ચથી ODI શ્રેણી
24 વર્ષ બાદ પાકિસ્તાનના પ્રવાસે આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમ હાલમાં બે ટેસ્ટ મેચ રમી છે. પ્રથમ ટેસ્ટ મેચ રાવલપિંડીમાં જ રમાઈ હતી, ત્યારબાદ બંને ટીમો કરાચીમાં ટકરાયા હતા. આ બંને મેચ ડ્રો રહી હતી. હવે સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ 21 માર્ચથી લાહોરમાં રમાવાની છે. આ દરમિયાન ODI શ્રેણીની મેચો 29 માર્ચ, 31 માર્ચ અને 2 એપ્રિલે રમાશે, જ્યારે એકમાત્ર T20 મેચ 5 એપ્રિલે લાહોરમાં યોજાશે. હાલમાં, વનડે શ્રેણીની તારીખોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ આની શક્યતાને પણ નકારી શકાતી નથી.