MS Dhoni એજબેસ્ટન ટેસ્ટ દરમિયાન પહોંચ્યો લંડન, પત્નિ સાક્ષીએ તસ્વીર શેર કરી, જાણો ઇંગ્લેન્ડ પ્રવાસનો શુ છે મામલો!
રિપોર્ટ્સ અનુસાર, ધોની (Dhoni) સાથે તેની પત્ની સાક્ષી પણ લંડન પહોંચી ગઈ છે. અલબત્ત, ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે પરંતુ ચાહકોના દિલમાં તેનો એટલો જ ક્રેઝ છે.
ભારતીય ટીમ (Indian Cricket Team) ના પૂર્વ કેપ્ટન એમએસ ધોની ઈંગ્લેન્ડ પહોંચી ગયા છે. હાલમાં ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે એજબેસ્ટનમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ દરમિયાન તેના લંડન આગમનની તસવીરો પત્ની સાક્ષી ધોનીએ શેર કરતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. આનાથી તેના ચાહકોને તેની એક ઝલક મેળવવાનો મોકો મળ્યો. રિપોર્ટ્સ અનુસાર, ધોની (MS Dhoni) સાથે તેની પત્ની સાક્ષી પણ લંડન પહોંચી છે. અલબત્ત, ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે પરંતુ ચાહકોના દિલમાં તેનો એટલો જ ક્રેઝ છે. સાક્ષીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ધોનીની તસવીર શેર કરી છે, જેમાં તે તેની જાણીતી સ્ટાઈલમાં હસતો જોવા મળી રહ્યો છે.
પત્ની સાક્ષીએ શેર કરેલી તસવીરમાં ધોનીએ બ્લુ શર્ટ, બ્લેક જીન્સ અને ડાર્ક બ્લુ જેકેટ પહેર્યું છે. આ તસવીર સોશિયલ મીડિયા પર આવ્યા બાદ વાયરલ થવામાં સમય નથી લાગ્યો, જે સાબિતી છે કે ધોનીએ ભલે ક્રિકેટ રમવાનું બંધ કરી દીધું હોય પરંતુ તે ફેન્સનો ફેવરિટ પણ છે. તેની ફેન ફોલોઈંગમાં કોઈ ઘટાડો થયો નથી.
એમએસ ધોની લંડન કેમ પહોંચ્યો?
જોકે, એમએસ ધોની લંડન શા માટે ગયો છે, તે હાલ સ્પષ્ટ નથી. તેને તેના આગામી 41મા જન્મદિવસ સાથે પણ જોડવામાં આવી રહી છે. ધોનીનો 41મો જન્મદિવસ 7મી જુલાઈએ છે. આ સિવાય એવું માનવામાં આવે છે કે તે પોતાના ઘૂંટણની ઈજાની સારવાર માટે ઈંગ્લેન્ડ આવ્યો છે. જો કે આ અંગે હજુ ચિત્ર સ્પષ્ટ થયું નથી.
રાંચીના વૈદ્ય પાસે ધોની સારવાર કરાવી રહ્યો હતો
હાલમાં જ એક સમાચાર આવ્યા હતા, જે મુજબ ધોની રાંચી પાસે સ્થિત એક ડોક્ટર પાસે તેના ઘૂંટણની સારવાર કરાવી રહ્યો હતો. તે મહિનામાં 4 વખત તે ડૉક્ટર પાસે જતો હતો. આ માટે ધોનીને માત્ર 40 રૂપિયા ફી મળતા હતા. ધોનીની સારવાર કરનારા વૈદ્યનું નામ બંધન સિંહ ખારવાર હતું, જે એક ઝાડ નીચે બેસીને પોતાના દર્દીઓની સારવાર કરતા હતા.
એક સમાચાર એજન્સી મુજબ વૈદ્યએ બતાવ્યુ હતુ કે ધોની સામાન્ય દર્દીની જેમ તેમની પાસે આવતો હતો. તેણે તેને કોઈ સેલિબ્રિટી કે મોટા માણસ જેવો અનુભવ પણ કરાવ્યો ન હતો. પરંતુ લોકોને તેની જાણ થતાં જ તેઓ તેમને જોવા માટે અહીં ઉમટી પડ્યા હતા. આ પછી ધોની તેની કારમાંજ બેસી રહેતો અને અમે ત્યાં જ તેની સારવાર કરીને દવા આપતા હતા.
મહેનદ્રસિંહ ધોની IPL 2022 માંથી CSKના બહાર થયા બાદથી સતત રાંચીમાં હતો. આ દરમિયાન રાંચીના તેના નજીકના મિત્રો સાથેની તેની તસવીરો પણ ચર્ચામાં આવી હતી.