ભૂતપૂર્વ ઓલરાઉન્ડર મનોજ પ્રભાકર પાડોશી દેશની રાષ્ટ્રીય ટીમના હેડ કોચની જવાબદારી મળી, કેટલાક સમય ‘ગૂમનામ’ રહ્યા
1990ના દાયકાના આ ભારતીય ઓલરાઉન્ડરના નામે કેટલાક ખાસ રેકોર્ડ પણ છે અને તે લાંબા સમયથી ટીમ ઈન્ડિયા (Team India) નો મહત્વનો ભાગ હતો.
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર મનોજ પ્રભાકર (Manoj Prabhakar) ને કોચિંગની જવાબદારી મળી છે. 1990 ના દાયકાના સ્ટાર ઓલરાઉન્ડરને હવે થોડા વર્ષોની ગૂમનામી પછી પાડોશી દેશની ક્રિકેટ ટીમને તૈયાર કરવાની ભૂમિકા મળી છે. પ્રભાકરને નેપાળ ક્રિકેટ એસોસિએશન દ્વારા તેની રાષ્ટ્રીય ટીમ (Nepal Cricket Team) ના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેપાળ ક્રિકેટ એસોસિએશને એક નિવેદન જારી કરીને પ્રભાકરને ટીમનો કોચ બનાવવાની જાણકારી આપી હતી. પ્રભાકરે ભારત માટે ટેસ્ટ અને વનડેમાં 250થી વધુ વિકેટ અને 3400થી વધુ રન બનાવ્યા હતા. પરંતુ ત્યારબાદ મેચ ફિક્સિંગના ખુલાસા બાદ તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.
કોચિંગનો બહોળો અનુભવ
નેપાળ ક્રિકેટ એસોસિએશને સોમવારે 8 ઓગસ્ટના રોજ એક નિવેદન વડે જણાવ્યું હતું કે, ભારતના ભૂતપૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર અને રણજી ટ્રોફી વિજેતા કોચ મનોજ પ્રભાકરને નેપાળ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રભાકરે ભારત માટે 39 ટેસ્ટ અને 130 વનડે રમી છે.તેને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ અને રણજી ટ્રોફી માટે દિલ્હી, રાજસ્થાન અને યુપી સાથે કોચ તરીકે કામ કરવાનો અનુભવ છે.
Former Indian star all rounder and Ranji trophy winning coach, Mr. Manoj Prabhakar from India has been appointed as the Head Coach of Nepal National Cricket Team.
Mr. Prabhakar has played 39 Test matches and 130 One Day Internationals for India. As a Coach, he has experience + pic.twitter.com/VMf60RlJNb
— CAN (@CricketNep) August 8, 2022
ઓલરાઉન્ડરની ખોટ પૂરી કરી
મનોજ પ્રભાકરનું નામ ભારતીય ક્રિકેટમાં ખૂબ જાણીતું છે. સારા અને ખરાબ બંને કારણોસર. મનોજ પ્રભાકરે ભારત માટે 1984માં વનડે અને ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ 1990ના દાયકામાં જ્યારે ભારતીય ટીમ ઝડપી બોલરો અને ઓલરાઉન્ડરોની અછતનો સામનો કરી રહી હતી, ત્યારે પ્રભાકરે આ જવાબદારી ઉપાડી હતી. જો કે તે વધારે ઝડપી બોલર ન હતો, પરંતુ તેણે ઘાતક સ્વિંગ બોલિંગના જોરે પ્રભાકરે નવા બોલથી બેટ્સમેનો પર ધમાલ મચાવી દીધી હતી. ઇનિંગ્સની શરૂઆતમાં આ સ્વિંગના આધારે તેણે ઘણી વિકેટો ઝડપી હતી. આ સાથે તેણે બેટથી ઘણી મહત્વની ઈનિંગ્સ પણ રમી હતી. એક સમયે તે ટીમ ઈન્ડિયા માટે બોલિંગ અને બેટિંગમાં સતત ઓપનિંગ કરતો હતો.
પછી સૌથી મોટું કલંક મળ્યુ
જો કે, 1996ના વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જ્યારે શ્રીલંકાના સનથ જયસૂર્યાએ તેને ખરાબ રીતે ધોઈ નાંખ્યો, ત્યારે તેની કારકિર્દી પર બ્રેક લાગી ગઈ. તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો અને પછી તેણે પોતે નિવૃત્તિ લઈ લીધી. જો કે, આટલું જ નહીં, 1999માં ક્રિકેટ જગતને હચમચાવી દેનારા ખુલાસામાં પ્રભાકરની મોટી ભૂમિકા સામે આવી હતી. તહેલકા દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં પ્રભાકરે ક્રિકેટમાં બેફામપણે ચાલી રહેલી મેચ ફિક્સિંગનો પર્દાફાશ કર્યો હતો, જેના પછી ઘણા મોટા નામ તેમાં ફસાઈ ગયા અને તેની કારકિર્દી ખતમ થઈ ગઈ. પ્રભાકર પર ખુદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પ્રતિબંધ મૂક્યો હતો.