IND vs NZ: કાનપુર ટેસ્ટના દિગ્ગજ ભારતીય અંગ્રેજી કોમેન્ટેટરએ સનસનાટી મચાવતા કહ્યુ, ‘આખી જીંદગી દેશમાં રંગભેદનો શિકાર થયો છું’
4 વર્ષ પહેલા પણ ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના ઓપનર રહેલા અભિનવ મુકુંદે પણ કહ્યું હતું કે તેને રંગ ભેદભાવનો ભોગ બનવું પડ્યું હતું.
ક્રિકેટ જગતમાં આ સમયે જાતિવાદનો મુદ્દો ગરમ છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર અઝીમ રફીકે (Azim Rafiq) તેની પોતાની ક્રિકેટ ક્લબ યોર્કશાયર અને સાથી ખેલાડીઓ પર જાતિ અને રંગના આધારે ભેદભાવનો આરોપ મૂક્યો હતો અને ખરાબ ટીપ્પણી કર્યા બાદ ઈંગ્લિશ ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો છે. હવે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના પૂર્વ દિગ્ગજ સ્પિનરે પણ ચામડીના રંગના આધારે પોતાના દેશમાં ભેદભાવનો ખુલાસો કર્યો છે.
1980 ના દાયકાના સ્પિનર અને આજના પ્રખ્યાત ક્રિકેટ કોમેન્ટેટર લક્ષ્મણ શિવરામક્રિષ્નને (Laxman Sivaramakrishnan) કહ્યું છે, કે તેમને આખી જીંદગી તેમના રંગના કારણે ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. તેથી જ તેમને તેમની કોમેન્ટ્રી અંગેની ટીકાનો વાંધો નથી.
ભૂતપૂર્વ લેગ-સ્પિનર શિવરામકૃષ્ણન આ દિવસોમાં ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે રમાઈ રહેલી કાનપુર ટેસ્ટ (Kanpur Test) માં અંગ્રેજી કોમેન્ટ્રી પેનલનો એક ભાગ છે. તે મેચના પહેલા દિવસથી સતત કોમેન્ટ્રી કરી રહ્યા છે. જો કે, હંમેશની જેમ, કેટલાક ચાહકોને શિવરામકૃષ્ણનની કોમેન્ટ્રીમાં કહેવામાં આવેલી કેટલીક બાબતો ગમતી નથી, જેમ કે અન્ય ઘણા ટીકાકારો અને ચાહકો આ વિશે ટ્વિટર પર પોતાનો ગુસ્સો અને નારાજગી વ્યક્ત કરતા રહે છે. આવી સ્થિતિમાં એક ટ્વિટર યુઝરે પૂર્વ ભારતીય સ્પિનરનો બચાવ કર્યો અને લખ્યું કે તેની કોમેન્ટ્રીની ટીકા કરવી ખોટું છે.
પોતાના દેશમાં રંગભેદ સહ્યો
ભારત માટે 9 ટેસ્ટ અને 16 વન-ડેમાં 41 વિકેટ ઝડપનાર શિવરામક્રિષ્નને આ ટ્વીટનો જવાબ આપતા કહ્યું કે તેમને આવી ટીકાથી કોઈ વાંધો નથી. કારણ કે તેઓ તેમના જીવનની શરૂઆતથી જ રંગભેદ અને ટીકાનો સામનો કરી રહ્યા છે. પોતાના ટ્વિટમાં શિવરામક્રિષ્નને તેમના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, રંગને કારણે મેં આખી જીંદગી ભેદભાવ અને ટીકાનો સામનો કર્યો છે, તેથી તે હવે મને પરેશાન કરતું નથી. કમનસીબે તે મારા જ દેશમાં બન્યું છે.
I have been criticised and colour discriminated all my life, so it doesn’t bother me anymore. This unfortunately happens in our own country
— Laxman Sivaramakrishnan (@LaxmanSivarama1) November 26, 2021
ભારતમાં રંગભેદ નવી વાત નથી, પરંતુ તેને ક્યારેય ગંભીરતાથી લેવામાં આવતી નથી. આ જ કારણ છે કે IPLમાં રમતી વખતે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ઓલરાઉન્ડર ડેરેન સેમીને પણ તેની જ ટીમના સાથી ભારતીય ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ શરીરના રંગના આધારે મજાકમાં નામથી બોલાવ્યો હતો. સેમીએ ગયા વર્ષે જ આ વાતનો ખુલાસો કર્યો હતો.
ભૂતપૂર્વ ભારતીય ખેલાડીએ પણ ફરિયાદ કરી છે
જ્યાં સુધી ભારતીય ખેલાડીઓનો સવાલ છે, ગયા વર્ષે શિવરામકૃષ્ણન પહેલા ભારતીય અને કર્ણાટકના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડોડા ગણેશે પણ વંશીય ભેદભાવના અનુભવ વિશે વાત કરી હતી. દરમિયાન ટીમ ઈન્ડિયા અને તમિલનાડુના પૂર્વ ઓપનર અભિનવ મુકુંદે પણ આવા ગેરવર્તન વિશે વાત કરી છે. મુકુંદે 2017માં સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
મુકુંદે ભારત માટે સાત ટેસ્ટ મેચ રમી છે. તેણે તેના ટ્વિટર પેજ પર એક નિવેદન પોસ્ટ કર્યું હતું, જેમાં લખ્યું હતું કે, હું 15 વર્ષની ઉંમરથી દેશમાં અને બહાર ફરું છું. હું નાનો હતો ત્યારથી મારી ત્વચાના રંગ માટે લોકોનો ક્રેઝ મારા માટે હંમેશા રહસ્ય રહ્યો છે.