IPL 2022 : શા માટે ચેન્નાઈ અને ગુજરાતના ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને મેચ રમી રહ્યા છે, જાણો મહત્વનું કારણ
IPL 2022 : મહત્વનું છે કે ચેન્નઈ (CSK) ટીમ હવે પ્લે ઓફની રેસમાંથી બહાર થઇ ગઇ છે. જ્યારે ગુજરાત ટાઇટન્સની (GT) ટીમ પ્લે ઓફમાં પહોંચનાર સૌથી પહેલી ટીમ બની છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 62મી લીગ મેચ હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) વચ્ચેની મેચમાં ચેન્નાઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન ટોસ બાદ જ્યારે બંને ટીમો મેદાનમાં આવી ત્યારે બધાએ જોયું કે બંને ટીમના ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં આવ્યા હતા.
હકીકતમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ્સ (Andrew Symonds) ના સન્માનમાં તમામ ખેલાડીઓએ તેમના હાથ પર કાળી પટ્ટી પહેરી હતી. તમને જણાવી દઈએ કે 14 મેના રોજ એક કાર અકસ્માતમાં એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું મોત થયું હતું. જેથી સમગ્ર ક્રિકેટ જગત આઘાતમાં ગરકાવ થઇ ગયું હતું. આ સમાચાર સાંભળ્યા બાદ દુનિયાભરના ઘણા ક્રિકેટરોએ તેમને ભાવુક શ્રદ્ધાંજલિ આપી છે.
સાયમન્ડ્સને ક્રિકેટ ઈતિહાસના મહાન ઓલરાઉન્ડરોમાંના એક ગણવામાં આવે છે. તે તમામ વિભાગોમાં ટીમ માટે મહત્વનો ખેલાડી હતો અને તેના રમતના દિવસોમાં તેની બેટિંગ કુશળતાથી મેદાન પર પાયમાલ કરતો હતો. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર 2 વર્લ્ડ કપ વિજેતા ટીમોનો ભાગ રહી ચુક્યો હતો અને તેના દમ પર ઘણી મેચોમાં ઓસ્ટ્રેલિયન ટીમને જીત અપાવી હતી.
એન્ડ્ર્યુ સાયમન્ડ્સના કેટલાક આંતરરાષ્ટ્રીય આંકડા નીચે મુજબ છે
એન્ડ્ર્યુ સાયમન્ડ્સે 1998માં ઓસ્ટ્રેલિયા માટે ડેબ્યૂ કર્યું હતું અને ઓલરાઉન્ડર તરીકેની તેમની કુશળતાને કારણે ટૂંક સમયમાં જ ટીમનો મહત્વનો સભ્ય બની ગયો હતો. તેની સમગ્ર કારકિર્દી દરમિયાન તેણે 26 ટેસ્ટ મેચ, 198 ODI અને 14 T20I રમી છે. જેમાં તેણે કુલ 165 વિકેટ લીધી હતી અને બેટ વડે 6887 રન બનાવ્યા હતા. 2003 અને 2007 માં ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ વિજેતા ટીમમાં તે મુખ્ય ખેલાડી હતો.
બીજી તરફ જો સાયમન્ડ્સના આઈપીએલના આંકડાની વાત કરીએ તો તેણે આ લીગમાં કુલ 39 મેચ રમી છે. જે દરમિયાન સાયમન્ડ્સએ 36.07 ની એવરેજ અને 129.86 ની સ્ટ્રાઈક રેટથી કુલ 974 રન બનાવ્યા છે. આ લીગમાં તેની 1 અડધી સદી અને 5 સદી પણ છે અને તેનો સર્વોચ્ચ સ્કોર 117* છે.
આ મેચની વાત કરીએ તો, ગુજરાત તેની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યા વિના આવ્યું છે, જ્યારે ચેન્નાઈએ ટીમમાં 4 ફેરફાર કર્યા છે. ઈજાગ્રસ્ત એડમ મિલ્નેના સ્થાને ટીમમાં સ્થાન મેળવનાર શ્રીલંકાના ઝડપી બોલર મતિષા પથિરાનાએ આજે આઈપીએલમાં પદાર્પણ કર્યું હતું અને તે CSK માટે તેની પ્રથમ મેચ રમી રહ્યો છે.