IPL 2022: વિરાટ કોહલીને જાળવી રાખવાને લઇ RCB એ કર્યો રિટેન્શનનો ફેંસલો, આ ચાર ખેલાડીઓ માટે નિર્ણય!
IPL 202 પહેલા, ડિસેમ્બરમાં એક મોટી હરાજી યોજાવાની છે, જેના માટે દરેક ફ્રેન્ચાઇઝીને ફક્ત 4 ખેલાડીઓને જાળવી રાખવાનો વિકલ્પ આપવામાં આવશે અને અન્ય તમામ ખેલાડીઓને હરાજી માટે છોડવા પડશે.
આવતા વર્ષે રમાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની સીઝનને લઈને હલચલ તેજ બની છે. નવી સિઝન શરૂ થવામાં લગભગ 4-5 મહિના બાકી છે, પરંતુ તેના વિશે ઉત્સુકતા પહેલાથી જ છે. તેનું કારણ છે નવી સિઝન પહેલા યોજાનાર મેગા ઓક્શન (IPL Mega auction). જેના માટે તમામ ફ્રેન્ચાઇઝીએ પોતાની ટીમોને નવેસરથી તૈયાર કરવી પડશે.
દરેક ફ્રેન્ચાઈઝી પાસે માત્ર 4 ખેલાડીઓને જ પોતાની સાથે રાખવાની એટલે કે રિટેઇન કરવાની છૂટ છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કઈ ટીમ કયા ખેલાડીને પોતાની સાથે રાખશે. આવી માહિતી કેટલીક ફ્રેન્ચાઈઝી વિશે સામે આવી છે, હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી પણ સમાચાર આવી રહ્યા છે. જે મુજબ, ફ્રેન્ચાઈઝી આગામી 3 સીઝન માટે ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ને જાળવી રાખશે.
મીડિયા રિપોર્ટ અનુસાર, RCB તેમના સૌથી મોટા ખેલાડી કોહલીને આગળ પણ પોતાની સાથે રાખશે. કોહલીએ IPL 2021ની સીઝન બાદ ટીમની કેપ્ટનશિપમાંથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ તેણે સ્પષ્ટ કર્યું હતું કે તે આ ફ્રેન્ચાઈઝી માટે જ આવામાં RCB માટે તે 9 વર્ષ સુધી ટીમનો કેપ્ટન હતો અને લીગ ઈતિહાસના સૌથી સફળ બેટ્સમેન કોહલીને સાથે રાખી RCB પણ તેની સફરને આગળ વધારવા માટે તૈયાર છે. કોહલી ઉપરાંત, ફ્રેન્ચાઇઝી ઓસ્ટ્રેલિયાના T20 વર્લ્ડ કપ વિજેતા ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને પણ જાળવી રાખવા માટે તૈયાર છે.
RCB મેક્સવેલથી પ્રભાવિત
RCBએ છેલ્લી હરાજીમાં મેક્સવેલને 14.25 કરોડ રૂપિયાની મોંઘી કિંમતે ખરીદ્યો હતો અને આ ડેશિંગ ઓસ્ટ્રેલિયન બેટ્સમેને તેના પ્રદર્શનથી તે સાચું સાબિત કર્યું હતું. મેક્સવેલે IPL 2021માં બેંગ્લોર માટે સૌથી વધુ 513 રન બનાવ્યા હતા અને ટીમને પ્લેઓફમાં પહોંચવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રિપોર્ટ અનુસાર, ફ્રેન્ચાઇઝી મેક્સવેલના પ્રદર્શનથી પ્રભાવિત છે અને તેને ફરીથી હરાજીમાંથી ખરીદવા માંગતી નથી. આગામી સિઝન માટે, મેક્સવેલ ફરીથી ટીમનું મોટું હથિયાર હશે.
કોહલી-મેક્સવેલ સિવાય અન્ય કોણ?
કોહલી અને મેક્સવેલ ઉપરાંત બેંગ્લોર અન્ય બે ખેલાડીઓને રિટેન કરી શકે છે અને આ માટે ટીમ પાસે યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ અને દેવદત્ત પડિકલનો વિકલ્પ છે. આમાં યુઝવેન્દ્ર ચહલ અને સિરાજનો દાવો સૌથી મજબૂત છે. લાંબા સમયથી ટીમનો હિસ્સો રહેલા દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન એબી ડી વિલિયર્સે નિવૃત્તિની જાહેરાત કરી છે, જેના કારણે તે આગામી સિઝનથી IPLમાં જોવા નહીં મળે. આવી સ્થિતિમાં RCB છેલ્લા બે સ્થાનો માટે કયા ખેલાડીઓની પસંદગી કરશે, આ સૌથી મહત્વપૂર્ણ મુદ્દો હશે.