IPL 2022 Qualifier 2 : જાણો, આજની મેચમાં કેટલા વાગે સ્ટેડિયમમાં પ્રવેશ મળશે અને શું લઇ જવા પર પ્રતિબંધ રહેશે
IPL 2022 : શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ક્વોલિફાયર 2 ની મેચ રમાશે. જીતનારી ટીમ ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ ટીમ સામે ટાઇટલ માટે ટકરાશે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) તેના અંતિમ તબક્કા પર પહોંચી ગઇ છે. શુક્રવારે સાંજે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે લીગની ક્વોલિફાયર 2 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ રોમાંચક મેચ જોવા માટે અમદાવાદ સહિત આસપાસના ગામડા અને શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ત્યારે 1.32 લાખની ક્ષમતા વાળું વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ ક્વોલિફાયર 2 અને ફાઇનલ મેચ માટેની યજમાની માટે સજ્જ થઇ ગયું છે. ક્રિકેટ ચાહકોમાં અને ખાસ કરીને અમદાવાદના લોકોમાં આ બંને મેચને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઇએ કે ક્વોલિફાયર 2 મેચ સાંજે 7.30 વાગે શરૂ થશે જ્યારે 29 મે ના રોજ રમાનાર ફાઇનલ મેચ સાંજે 8 વાગે શરૂ થશે.
મહત્વનું છે કે આ લીગમાં પહેલીવાર રમી રહેલ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ની ટીમ ફાઇનલમાં પહોંચી ગઇ છે. જેથી ગુજરાત રાજ્ય અને ખાસ કરીને અમદાવાદ (Ahmedabad) ના રહેવાસીઓમાં આ લીગને લઇને ભારે ચર્ચા થઇ રહી છે. રાજસ્થાન અને બેંગ્લોર (RR vs RCB) વચ્ચે રમાનાર ક્વોલિફાયર 2 મેચમાં જીતનારી ટીમ 29 મે ના રોજ ગુજરાત ટાઇટન્સ સામે ફાઇનલ મેચમાં ટાઇટલ માટે ટકરાશે. બીજી ઇનિંગ્સમાં ઝાકળની સાધારણ સમસ્યા નડે તેની સંભાવના છે.
ક્વોલિફાયર 2 મેચમાં 3 કલાક પહેલા સ્ટેડિયમમાં પ્રવેશ મળશે
1.32 લાખની ક્ષમતા વાળું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની ક્વોલિફાયર 2 (Qualifier 2) અને ફાઇનલ (IPL Final) મેચની યજમાની કરવા માટે સજ્જ થઇ ચુક્યું છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્વોલિફાયર 2 મેચ માટે દર્શકોને સાંજે 4 વાગ્યાથી પ્રવેશ આપવાની શરૂઆત કરવામાં આવશે.
પાણીની બોટલ અને હેલ્મેટ સ્ટેડિયમમાં લઇ જવા પર પ્રતિબંધ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં અનેક વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. જેમાં પાણીની બોટલ, હેલ્મેટ, ધાતુની વસ્તીઓ, ફટાકડા, હથિયાર, બેનરને સ્ટેડિયમમાં અંદર લઇ જવા પર પ્રતિબંધ કરવાની જાહેરાત કરી છે. તો આ ઉપરાંત સ્ટેડિયમની અંદર નાસ્તો પણ લઇ જવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે દર્શકો માટે સ્ટેડિયમની અંદર ફુડ સ્ટોલની સાથે પાણીની પણ સુવીધા રાખવામાં આવી છે.