IPL 2022: ‘ભારત મારું બીજું ઘર બની ગયું છે’ જોસ બટલરે IPL શરૂ થાય તે પહેલા આપી પ્રતિક્રિયા
IPL 2022ની હરાજી પહેલા રાજસ્થાન રોયલ્સ ટીમે જોસ બટલરને રીટેન કર્યો હતો. તેની સાથે સુકાની સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલને પણ રીટેન કર્યો હતો.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની 15મી સીઝન શરૂ થવા જઈ રહી છે અને ચાહકો અને તમામ ખેલાડીઓ આ રોમાંચક સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન રાજસ્થાન રોયલ્સના જમણા હાથના બેટ્સમેન જોસ બટલરે (Josh Butler) પણ પ્રતિક્રિયા આપી છે. જોસ બટલર IPL 2021ના બીજા તબક્કામાં ટીમ માટે યોગદાન આપી શક્યો ન હતો. પરંતુ આ વખતે તે રાજસ્થાન રોયલ્સ માટે યોગદાન આપવા માટે તૈયાર છે.
ફેબ્રુઆરી 2022માં યોજાયેલી બે દિવસીય હરાજી પહેલા રાજસ્થાન રોયલ્સે જોસ બટલરને IPL 2022 માટે રીટેન કર્યો હતો. બટલર ઉપરાંત ફ્રેન્ચાઈઝીએ કેપ્ટન સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલને પણ રીટેન કર્યા હતા. જોસ બટલરે ટૂર્નામેન્ટ અને રાજસ્થાનની ટીમ વિશે પ્રતિક્રિયા આપી હતી. જોસ બટલરે ટૂર્નામેન્ટ વિશે કહ્યું, “જ્યારે પણ કોઈ વિદેશી ખેલાડી IPL માટે ભારત આવે છે, ત્યારે વાતાવરણ ઉત્સાહથી ભરેલું દેખાય છે. તેથી અહીં આવવું સારું લાગે છે. ભારત મારું બીજું ઘર બની ગયું છે અને મેં અહીં ઘણો સમય વિતાવ્યો છે. હું અહીંના લોકોની મિત્રતા અને રમત પ્રત્યેના જુસ્સાથી આશ્ચર્યચકિત છું.”
Just going to leave this here… 👀💗#RoyalsFamily | #TATAIPL2022 | @ashwinravi99 | @josbuttler pic.twitter.com/zgDoRKeVFe
— Rajasthan Royals (@rajasthanroyals) March 22, 2022
“મને હંમેશા આ ફ્રેન્ચાઈઝી માટે રમવાની મજા આવે છે”: જોસ બટલર
રાજસ્થાન રોયલ્સ દ્વારા તેને રિટેન કરવા અંગે બટલરે કહ્યું, “કેટલાક જૂના ખેલાડીઓ હતા જેઓ ટીમ સાથે રહી શકતા હતા અને તેઓએ મને જાળવી રાખ્યો. જે મને ખૂબ સારું લાગ્યું. મારી પાસે આ ફ્રેન્ચાઈઝી સાથે ઘણી યાદો જોડાયેલી છે અને મને હંમેશા ટીમ માટે રમવાની મજા આવે છે. જોકે મને પહેલેથી જ ખબર હતી કે સેમસન અને યશસ્વી જયસ્વાલની સાથે ફ્રેન્ચાઈઝી મારા પર વિશ્વાસ કરશે. મેગા ઓક્શન પહેલા ઘણી ચર્ચા હતી અને અમે અમારા માટે એક મજબૂત ટીમ તૈયાર કરવામાં વ્યસ્ત હતા.”
રાજસ્થાન રોયલ્સ ટીમ વિશે તેણે કહ્યું, “આ સિઝનમાં અમારી ટીમ નવી શરૂઆત કરશે અને તે ટીમ માટે રોમાંચક સિઝન હશે. અમારી નજર IPL ટાઈટલ પર છે. આ સિઝનમાં ટીમમાં મારું યોગદાન આપવા માટે ઉત્સુક છું.”
ટીમના ખેલાડીઓ વિશે જોસ બટલરે કહ્યું, “અમારી ટીમમાં ઘણા મહાન ખેલાડીઓ છે અને અમે તે ખેલાડીઓને ટીમમાં રાખીને ખુશ છીએ. અમારી પાસે મજબૂત બેટિંગ લાઈન અપ છે અને કેટલાક સારા ઓલરાઉન્ડર પણ છે. એમાં પણ કોઈ શંકા નથી કે અમારી પાસે અશ્વિન અને ચહલ જેવા અનુભવી સ્પિનરો છે. તેથી મને લાગે છે કે તે અમારી ટીમ માટે રોમાંચક સિઝન બની રહેશે.”
આ પણ વાંચો : IPL 2022: માર્ક વુડના સ્થાને લખનૌ સુપર જાયન્ટ્સ ટીમે ઓસ્ટ્રેલિયાના આ બોલરને ટીમ સાથે જોડ્યો
આ પણ વાંચો : IPL 2022: મુંબઈ અને ચેન્નાઈના આ 3 ખેલાડીઓ એકલા હાથે મેચનો પાસો પલટી શકે છે