IPL 2022 Final : ગુજરાત ટાઇટન્સ ટીમની આ 5 તાકાત જે તેને ફાઇનલ સુધી લઇ ગઇ
IPL 2022 Final : ગુજરાત ટાઇટન્સ (GT) ટીમે આ લીગમાં અત્યાર સુધી કુલ 15 મેચ રમી છે. જેમાં ગુજરાત ટીમે 11 મેચમાં જીત મેળવી છે જે આ લીગમાં સૌથી વધુ છે. તો માત્ર 4 મેચમાં જ હારનો સામનો કરવો પડ્યો છે.
IPL 2022 ની ફાઇનલ મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ (GTvRR) વચ્ચે રમાશે. ફેબ્રુઆરી મહિનામાં આ લીગ માટે મેગા ઓક્શન બાદ તમામ નિષ્ણાતોએ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ને IPL 2022 ની સૌથી નબળી ટીમ ગણાવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે ટીમમાં મોટા સ્ટાર્સ નથી અને બેટિંગ પણ નબળી છે. હવે આ ટીમ પોતાની ડેબ્યૂ સિઝનમાં જ ફાઇનલમાં પહોંચી ને તમામની બોલતી બંધ કરી દીધી છે. ચાલો જાણીએ કે ગુજરાતે તમામ અટકળોને ખોટી સાબિત કરીને આટલો લાંબો રસ્તો કેવી રીતે કાઢ્યો છે. આ માટે આપણે ટીમની ટોપ-5 તાકાત વિશે જાણીશું.
1) પાવર-પ્લેમાં શાનદાર બોલિંગ
ગુજરાતની સફળતા પાછળ ટીમના નવા બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. શરૂઆતની ઓવરમાં જ વિકેટ મેળવીને ગુજરાતે હરીફ ટીમો પર દબાણ બનાવ્યું હતું. ટીમે પાવર પ્લેમાં હરીફ ટીમની 26 વિકેટ ઝડપી હતી. રાજસ્થાન રોયલ્સે પણ પાવર પ્લેમાં 26 વિકેટ લીધી છે. એટલે કે પાવર પ્લેમાં બે શ્રેષ્ઠ ટીમો ફાઇનલમાં પહોંચી છે.
2) છગ્ગા નહીં પણ ચોગ્ગા પર રહ્યું હતું જોર
Gujarat Titans એ બેટિંગમાં વધુ જોખમ લીધા વિના બેટિંગ કરવાની વ્યૂહરચના ઘડી હતી. આ જ કારણ છે કે આ સિઝનમાં ટીમે માત્ર 75 સિક્સર ફટકારી છે. પરંતુ, ચોગ્ગા ફટકારવાના મામલે ગુજરાતની ટીમ ટોપ 3 માં છે. ગુજરાતે 207 ચોગ્ગા ફટકાર્યા છે. આ વ્યૂહરચનાને કારણે ગુજરાતે ચોક્કસપણે મોટાભાગની મેચોમાં એટલા રન બનાવ્યા કે તેઓ અંત સુધી લડી શકે. જ્યારે કોઈ ટીમ છેલ્લા બોલ સુધી મેચમાં ટકી રહેવાનો આગ્રહ રાખે છે ત્યારે તેની જીતવાની શક્યતાઓ પણ વધી જાય છે. ગુજરાતે 8 મેચમાં બીજી ઇનિંગમાં બેટિંગ કરી અને તેમાંથી 7 મેચમાં જીત મેળવી. રસપ્રદ વાત એ છે કે સાતેય જીત મેચની છેલ્લી ઓવરમાં મળી હતી. બે વખત તે છેલ્લા બોલ પર જીતી હતી.
3) દરેક મેચમાં 7 બોલિંગના વિકલ્પ
ટીમની સફળતામાં તેની બોલિંગનો પણ મહત્વનો ફાળો છે. સ્કોરનો પીછો કરવો અથવા બચાવ કરવો. ટીમ પાસે હંમેશા 7 બોલિંગ વિકલ્પો રહ્યો છે. ક્વોલિફાયર-1 વિશે વાત કરીએ તો સુકાની હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાશિદ ખાન, સાઈ કિશોર, અલજફરી જોસેફ, યશ દયાલ અને મોહમ્મદ શમી તેની પ્લેઇંગ ઇલેવનમાં હતા. આવી સ્થિતિમાં કેપ્ટન પરિસ્થિતિ અનુસાર બોલરની પસંદગી કરતો હતો.
4) જ્યારે જરુરીયાત પડી સામે આવ્યો નવો ફિનિશર
જ્યારે પણ ટીમને જરૂર પડી ત્યારે એક યા બીજા ખેલાડીએ આગળ આવીને જવાબદારી લીધી અને અશક્ય લાગતી જીતને શક્ય બનાવી. ભલે તે ક્વોલિફાયર 1 માં પ્રસિદ્ધ કૃષ્ણાની 19મી ઓવરમાં મિલરની સતત 3 સિક્સર હોય અથવા તેવટિયાએ બેંગ્લોર સામે 25 બોલમાં 43 રનની ઇનિંગ રમી હતી તે હોય. તેવટિયાએ 2 બોલમાં 2 સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. ત્યાર બાદ રાશિદ ખાન છે. જેણે બોલની સાથે સાથે બેટથી પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. રાશિદે 28 એપ્રિલે લખનૌ સામે 19મી ઓવરમાં માર્કો યેસેન્સનના છેલ્લા 3 બોલમાં 3 સિક્સર ફટકારી હતી. તે ઓવરમાં ટીમને જીતવા માટે 22 રન બનાવવાના હતા.
5) હાર્દિકની કેપ્ટનશિપ અને ટીમની એકતા
લીગની વર્તમાન સિઝનમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ પણ પોતાની લીડરશીપ સ્કિલ સાબિત કરી છે. તેણે ઘણા મહત્વના સમયે નિર્ણય લઈને મેચ જીતી છે. તેણે મેદાન પર તેના વર્તન પર ધ્યાન આપ્યું અને તેના આક્રમક સ્વભાવથી વિપરીત તે શાનદાર દેખાવ કર્યો હતો. તેણે ટીમની જરૂરિયાત મુજબ પોતાની બેટિંગ શૈલીમાં પણ ફેરફાર કર્યો. તે નંબર 3 અને નંબર 4 પર આવીને ઇનિંગ્સ બનાવવાનો પ્રયાસ કરતો હતો. અગાઉ તેની છબી પાવર હિટરની હતી. જે દરેક બોલ પર માત્ર ચાર કે છગ્ગા જ ફટકારતો હતો.