IPL 2022: KKR ના નવા કેપ્ટન Shreyas Iyer પર બ્રેન્ડન મેક્કુલમ ફીદા, કહ્યુ દશક નો શ્રેષ્ઠ ખેલાડી બનવાની ક્ષમતા
શ્રેયસ અય્યર (Shreyas Iyer) ને કોલકાતા નાઈટ રાઈડર્સે (Kolkata Knight Riders) રૂ. 12.25 કરોડમાં ખરીદ્યો હતો અને તેની કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવી છે. અય્યરે પોતાની કપ્તાની હેઠળ દિલ્હી કેપિટલ્સને ફાઈનલ ખવડાવી હતી.
કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) IPL 2022 માં નવા કેપ્ટન સાથે પ્રવેશ કરશે. પોતાની કપ્તાની હેઠળ દિલ્હી કેપિટલ્સને ફાઇનલમાં લઈ જનાર શ્રેયસ અય્યર (Shreyas Iyer) આ સિઝનમાં કોલકાતાની કેપ્ટનશીપ કરશે અને ટીમને આશા છે કે આ ખેલાડી પોતાની આગેવાનીમાં ટીમનો ખિતાબનો દુષ્કાળ ખતમ કરશે. કોલકાતાએ છેલ્લે 2014માં ગૌતમ ગંભીરની કપ્તાનીમાં ખિતાબ જીત્યો હતો પરંતુ ત્યારથી ટીમ ટ્રોફી જીતવામાં સફળ રહી નથી. કોલકાતાએ પોતાની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે રમવાની છે અને આ મેચ સાથે જ આઈપીએલની વર્તમાન સિઝન શરૂ થશે. આ મેચ પહેલા ટીમના કોચ બ્રેન્ડન મેક્કુલમે (Brendon McCullum) અય્યરની જોરદાર પ્રશંસા કરી હતી.
કોલકાતા નાઈટ રાઈડર્સના કોચ બ્રેન્ડન મેક્કુલમે શુક્રવારે કહ્યું કે તેમના નવા કેપ્ટન શ્રેયસ અય્યરમાં ટીમનો “દશકનો શ્રેષ્ઠ ખેલાડી” બનવાના તમામ ગુણો છે. 2020માં દિલ્હીને IPL ફાઇનલમાં લઈ જનાર ઐયરને KKR એ 12 કરોડ 25 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેને બે વખતની ચેમ્પિયન ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કોલકાતાએ ગત સિઝનમાં ઈંગ્લેન્ડના ઈયોન મોર્ગનની કપ્તાનીમાં ફાઈનલ રમી હતી પરંતુ ચેન્નાઈ સામે હાર થઈ હતી.
તેનામાં સુપર સ્ટાર બનવાના તમામ ગુણ
મેચની પૂર્વ સંધ્યાએ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મેક્કુલમે કહ્યું, “તે KKR માટે દાયકાનો સર્વશ્રેષ્ઠ ખેલાડી બની શકે છે. અમારે ક્યાંકથી શરૂઆત કરવી છે અને તે આવતીકાલે (શનિવારે) છે.” સમગ્ર વિશ્વમાં તેનું સન્માન થાય છે અને તેનું શ્રેષ્ઠ પ્રદર્શન હજુ આવવાનું બાકી છે. તેની પાસે રમતનો સુપરસ્ટાર બનવાના ગુણો છે અને હું તેની સાથે કામ કરવા માટે ઉત્સુક છું.”
ઐયરની આક્રમક માનસિકતા
ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેને કહ્યું કે તે ખૂબ જ રોમાંચિત છે કે અય્યર પણ આક્રમક માનસિકતા ધરાવતો ખેલાડી છે. તેણે કહ્યું, “આપણા બંનેની રમતને લઈને સમાન માનસિકતા છે. અમે સાથે મળીને આ સફર કરીશું અને ફોકસ માત્ર પરિણામો પર નહીં પણ કંઇક આપવા પર રહેશે.
ઉમેશ યાદવ જવાબદાર રહેશે
મેક્કુલમે કહ્યું કે ટિમ સાઉથીની ગેરહાજરીમાં ભારતના ઝડપી બોલર ઉમેશ યાદવ બોલીંગ આક્રમણની આગેવાની કરશે. પ્રથમ મેચમાં કોલકાતાને સાઉથીનો લાભ નહીં મળે તેમજ ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ પણ કેટલીક મેચો માટે ઉપલબ્ધ રહેશે નહીં. કોચે કહ્યું, “કમનસીબે, સાઉદી પ્રથમ મેચ માટે ઉપલબ્ધ નથી. તેમને ભારત પહોંચવામાં થોડો સમય થયો છે. તેથી તે પ્રથમ મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. ઉમેશ યાદવ અમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તે બોલને સારી રીતે સ્વિંગ કરે છે અને વિકેટ પણ લે છે.