IPL 2022: શનિવારે BCCI ની યોજાશે બેઠક, ટૂર્નામેન્ટ સ્થળ અને મેગા ઓક્શનને લઇ લેવાશે નિર્ણય!
BCCI એ ગયા વર્ષે ભારતમાં IPL 14 નું આયોજન કર્યું હતું, પરંતુ કોરોના સંક્રમણને કારણે માત્ર 29 મેચો પછી તેને અટકાવવી પડી હતી અને પછી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં UAE માં પૂર્ણ થઈ હતી.
કોરોના વાયરસના વધતા જતા કેસ વચ્ચે ભારતે ફરી એકવાર ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની નવી સીઝનમાં ધમાલ મચાવવાનું શરૂ કરી દીધું છે. આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં 10 ટીમો સાથે યોજાનારી નવી સિઝનને લઈને ભારે ઉત્સુકતા અને આશંકા પણ છે. પરંતુ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા મોટી હરાજી પણ એક મહત્વપૂર્ણ આયોજ છે. જેમાં તમામ 10 ફ્રેન્ચાઇઝી પોતાની ટીમ તૈયાર કરશે. આ હરાજી ક્યારે અને ક્યાં થશે તે અંગે હજુ સ્પષ્ટતા આવી નથી. આ તમામ મુદ્દાઓને ઉકેલવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) શનિવાર 22 જાન્યુઆરીએ તમામ ફ્રેન્ચાઇઝીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરશે. આ બેઠકમાં, હરાજીની તારીખ અને સ્થળ અને ટૂર્નામેન્ટ ભારતમાં યોજવામાં આવશે કે ભારત બહાર તે પણ નક્કી કરવામાં આવે તેવી અપેક્ષા છે.
રિપોર્ટ અનુસાર, શનિવારે યોજાનારી આ વર્ચ્યુઅલ મીટિંગમાં બોર્ડ ટૂર્નામેન્ટના સ્થળ વિશે ફ્રેન્ચાઇઝીઓ સાથે ચર્ચા કરશે. ટુર્નામેન્ટની 15મી સિઝનની શરૂઆત 2 એપ્રિલથી થવાની છે, પરંતુ સ્થળને લઈને હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. ગયા વર્ષે BCCIએ ભારતમાં ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતું, પરંતુ કોરોનાની બીજી લહેર ફાટી નીકળવાના કારણે તેને માત્ર 29 મેચો બાદ અટકાવવી પડી હતી અને પછી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં UAEમાં પૂર્ણ થઈ હતી.
IPL વેન્યુ અને મેગા ઓક્શન પર મહત્વના નિર્ણયો
રિપોર્ટ અનુસાર, બોર્ડ તમામ ફ્રેન્ચાઇઝીઓને ખાતરી આપવા માંગે છે કે દેશમાં જ ભારતીય લીગનું આયોજન કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો આને અમુક શહેરો પૂરતું મર્યાદિત રાખવું હોય તો મુંબઈ અને પૂણેને પસંદ કરી શકાય. તાજેતરના મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા પણ વૈકલ્પિક સ્થળ તરીકેની રેસમાં છે.
મેગા હરાજી પણ એક મોટો મુદ્દો છે અને બોર્ડ આ અંગે તમામ ફ્રેન્ચાઇઝીઓને તેની સ્થિતિ વિશે માહિતગાર કરશે. અત્યાર સુધી એવું માનવામાં આવે છે કે હરાજી 12 અને 13 ફેબ્રુઆરીએ થશે અને સ્થળ દર વર્ષની જેમ બેંગલુરુ હશે. જો કે, બેંગલુરુમાં હરાજી હાથ ધરવા અંગે પરિસ્થિતિ સ્પષ્ટ નથી અને તેને મુંબઈમાં શિફ્ટ કરવાની યોજના અંગે પણ ચર્ચા કરવામાં આવશે કારણ કે મોટાભાગની ફ્રેન્ચાઈઝીઓનું મુખ્ય મથક મુંબઈમાં છે.
લખનૌ-અમદાવાદ ની ફ્રેન્ચાઇઝી પોતાના ખેલાડીઓના નામ જણાવશે?
ઉપરાંત, લીગની બે નવી ફ્રેન્ચાઈઝી અમદાવાદ અને લખનૌએ શનિવાર સુધીમાં જ તેમના ત્રણ ખેલાડીઓની પસંદગી અંગે બોર્ડને જાણ કરવાની રહેશે. બીસીસીઆઈએ બંને ફ્રેન્ચાઈઝીને હરાજી પહેલા 3-3 ખેલાડીઓને સાઈન કરવાની તક આપી હતી અને તેની સમયમર્યાદા 22 જાન્યુઆરીએ જ પૂરી થાય છે. આવી સ્થિતિમાં આ નામોની જાહેરાત પણ આ બેઠક બાદ થાય તેવી શક્યતા છે.
અત્યાર સુધીની માહિતી અનુસાર લખનૌ કેએલ રાહુલને કેપ્ટન બનાવી રહ્યું છે, જ્યારે માર્કસ સ્ટોઈનિસ અને રવિ બિશ્નોઈને પણ સાઈન કરવામાં આવ્યા છે. તે જ સમયે, અમદાવાદ તરફથી હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપ આપવામાં આવી રહી છે, જ્યારે રાશિદ ખાન અને શુભમન ગિલ પણ આ ટીમમાં સામેલ થઈ રહ્યા છે.