IPL 2022: કેએલ રાહુલ બાદ પંજાબ કિંગ્સનો સાથ આ દિગ્ગજે પણ છોડી દીધો, નવી ટીમો દ્વારા મળી કરોડોની ઓફર!
પંજાબ કિંગ્સે IPL 2022 રિટેન્શન (IPL Retention) માં માત્ર 2 ખેલાડીઓને જાળવી રાખ્યા હતા પરંતુ હવે સહાયક કોચ એન્ડી ફ્લાવરે (Andy Flower) પણ ફ્રેન્ચાઇઝી છોડી દીધી છે.
IPL 2022 રિટેન્શન (IPL 2022 Retention) માં માત્ર 2 ખેલાડીઓને રિટેન કરનાર પંજાબ કિંગ્સ (Punjab Kings) ને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. પંજાબ કિંગ્સના સહાયક કોચ એન્ડી ફ્લાવરે (Andy Flower) ટીમ છોડી દીધી છે. સમાચાર અનુસાર, એન્ડી ફ્લાવર IPLની 2 નવી ટીમોમાંથી કોઈપણ એક સાથે જોડાવા જઈ રહ્યો છે. કેએલ રાહુલ (KL Rahul) ને પંજાબ કિંગ્સની ટીમમાં જાળવી ન રાખવાને કારણે ફ્રેન્ચાઈઝીને પહેલાથી જ મોટો આંચકો લાગ્યો હતો. હવે એન્ડી ફ્લાવર જેવા લડાયક કોચનો સાથ છોડવો તેના માટે ખૂબ જ ખરાબ સમાચાર છે.
ઇંગ્લેન્ડમાં એક દાયકાથી વધુ સમય સુધી કોચ તરીકે કામ કરનાર ફ્લાવર 2020ની સિઝન પહેલા પંજાબ કિંગ્સ સાથે સંકળાયેલા હતા. એ પ્રથમ વખત હતુ જ્યારે તે IPL ટીમ સાથે જોડાયા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક અધિકારીએ સમાચાર એજન્સીને જણાવ્યું, તેમણે તાજેતરમાં જ ટીમને પોતાનું રાજીનામું મોકલ્યું છે. તેનો સ્વીકાર કરવામાં આવ્યુ છે.
તે નવી ટીમ (લખનૌ કે અમદાવાદ) સાથે જોડાય તેવી દરેક સંભાવના છે. આગામી IPLમાં 53 વર્ષીય પૂર્વ બેટ્સમેનને વધુ મહત્વની જવાબદારી સોંપવામાં આવે તેવી પૂરી સંભાવના છે. શક્ય છે કે બે નવી ટીમોમાંથી એક દ્વારા ફ્લાવરને વધુ પૈસાની ઓફર કરવામાં આવી હોય.
શું ફ્લાવર રાહુલ સાથે લખનૌમાં જોડાશે?
ફ્લાવર છેલ્લા બે વર્ષથી મુખ્ય કોચ અનિલ કુંબલે સાથે કામ કરી રહ્યા હતા. તેમણે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે એવી અટકળો ચાલી રહી છે કે છેલ્લી બે સિઝનથી પંજાબ કિંગ્સના કેપ્ટન રહી ચૂકેલા કેએલ રાહુલ લખનૌ ફ્રેન્ચાઈઝી સાથે જોડાઈ શકે છે. પંજાબ રાહુલને ટીમમાં જાળવી રાખવા માંગતા હતા, પરંતુ આ ઓપનિંગ બેટ્સમેન કોઈ અન્ય ટીમમાં સામેલ થવા માંગે છે. કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)માં ફ્લાવર સેન્ટ લુસિયા કિંગ્સના કોચ તરીકે ચાલુ રહેશે કે કેમ તે જોવું રહ્યું.
CPL ની આ ફ્રેન્ચાઈઝીની માલિકી પણ પંજાબ કિંગ્સ પાસે છે. તમને જણાવી દઈએ કે ગત સિઝનમાં વસીમ જાફર પંજાબ કિંગ્સના બેટિંગ કોચ અને જોન્ટી રોડ્સ ફિલ્ડિંગ કોચ હતા. પંજાબે જાન્યુઆરીમાં યોજાનારી હરાજી પહેલા માત્ર બે ખેલાડીઓ મયંક અગ્રવાલ અને અર્શદીપ સિંહને પોતાની ટીમમાં જાળવી રાખ્યા છે. પંજાબ કિંગ્સ પણ કેએલ રાહુલને ટીમમાં જાળવી રાખવા માંગતી હતી પરંતુ આ ખેલાડી તેના માટે તૈયાર નહોતો.