IPL 2021: સનરાઇઝર્સ હૈદરાબાદને લાગ્યો ઝટકો, તોફાની બેટ્સમેનના પિતાનુ અવસાન, ટૂર્નામેન્ટ છોડી પરત ફર્યો
IPL 2021: આ ક્રિકેટર પ્રથમ વખત સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ની ટીમમાં જોડાયો હતો. તેણે જોની બેયરસ્ટોનું સ્થાન લીધું હતુ.
IPL 2021 માં સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ને મોટો આંચકો લાગ્યો છે. તેના બેટ્સમેન શેરફાન રધરફોર્ડે (Sherfane Rutherford) ટૂર્નામેન્ટને અધવચ્ચે છોડી દેવી પડી છે. તેના પિતાનું અવસાન થયું છે. આ કારણે, શેરફાન રધરફોર્ડે IPL 2021 માં સનરાઇઝર્સ હૈદરાબાદ છોડવાનો નિર્ણય કર્યો છે. તે IPL 2021 ના બાયો-બબલને છોડીને ઘરે જઈ રહ્યો છે.
શેરફાન રધરફોર્ડ વેસ્ટઇન્ડીઝનો ક્રિકેટર છે અને આ વખતે પ્રથમવાર સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં જોડાયો હતો. તેણે જોની બેયરસ્ટોનું સ્થાન લીધું હતુ. આ પહેલા તે IPL માં મુંબઈ ઇન્ડીયન્સ ટીમનો ભાગ રહી ચૂક્યો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદે રધરફોર્ડના જવા અંગેની માહિતી સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. ટીમે લખ્યું, સનરાઇઝર્સ હૈદરાબાદ પરિવાર શેરફાન રધરફોર્ડ અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. શેરફાનના પિતાનું નિધન થયું છે. શેરફાન આ મુશ્કેલ સમયમાં પરિવાર સાથે રહેવા માટે IPL બાયો-બબલને છોડી દેશે. સનરાઇઝર્સ હૈદરાબાદે IPL 2021 ના બીજા ભાગમાં એક મેચ રમી છે. આ મેચ 22 સપ્ટેમ્બરે દિલ્હી કેપિટલ્સ સામે રમાઈ હતી. જેમાં હૈદરાબાદનો પરાજય થયો હતો. જોકે રધરફોર્ડ આ મેચમાં રમ્યો ન હતો.
The #SRH family conveys its heartfelt condolences to Sherfane Rutherford and his family on the passing away of his father.
Sherfane will be leaving the IPL bio-bubble to be with his family in this difficult hour.#OrangeArmy #OrangeOrNothing #IPL2021 pic.twitter.com/cQTbJD2paK
— SunRisers Hyderabad (@SunRisers) September 23, 2021
રધરફોર્ડ IPL 2019 માં મુંબઈ તરફથી રમ્યો હતો
તે IPL 2019 માં મુંબઈની ટીમનો ભાગ હતો. તે પહેલી વખત હતું જ્યારે રધરફોર્ડ IPL માં રમ્યો હતો. તેણે અત્યાર સુધી IPL માં કુલ સાત મેચ રમી છે અને 73 રન બનાવ્યા છે. તેણે IPL 2019 માં જ તમામ મેચ રમી હતી. અગાઉ તેને 2018 માં દિલ્હી કેપિટલ્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો પરંતુ અંતિમ-11 માં તેને તક મળી ન હતી. 2018 માં જ તેની વેસ્ટઈન્ડીઝ ટીમમાં પસંદગી થઈ હતી. તેણે બાંગ્લાદેશ સામે T20 ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ છ T20 મેચ રમી છે અને 43 રન બનાવ્યા છે.
IPL 2021 માં સનરાઈઝર્સ હૈદરાબાદ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. તેણે આઠમાંથી માત્ર એક જ મેચ જીતી છે. ટીમના ઘણા ખેલાડીઓ હજુ રમવા માટે ઉપલબ્ધ નથી. જોની બેયરિસ્ટો રમવા આવ્યો ન હતો. જ્યારે ટી નટરાજનને કોરોના થયો અને વિજય શંકર તેના નજીકના સંપર્કને કારણે ક્વોરન્ટાઇનમાં છે.