IND vs AFG: રાહુલે એ કામ કરી દેખાડ્યુ જેમાં રોહિત શર્મા રહ્યો નિષ્ફળ, પહેલા બોલથી જ જોવા મળી અસર
પાકિસ્તાન અને શ્રીલંકા સામેની મેચમાં ભારતીય ટીમ (Indian Cricke Team) માત્ર 5 મહત્વના બોલરો સાથે આવી હતી અને છઠ્ઠા બોલરનો વિકલ્પ હોવા છતાં કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ ઉપયોગ કર્યો ન હતો.
એશિયા કપ 2022 ભારત માટે નિરાશાજનક રીતે સમાપ્ત થયો, પરંતુ ભારતીય ટીમે વિદાય લેતા પહેલા જોરદાર જીત મેળવી. અફઘાનિસ્તાન સામેની છેલ્લી મેચમાં ભારતીય ટીમે 101 રનથી જંગી જીત નોંધાવી હતી. જો કે આ જીતમાં સૌથી વધુ ચર્ચા વિરાટ કોહલી (Virat Kohli) ની બહુપ્રતીક્ષિત 71મી સદી અને ભુવનેશ્વર કુમારની હતી, પરંતુ મેચની કેપ્ટનશીપ કરી રહેલા કેએલ રાહુલે (KL Rahul) કંઈક એવું કર્યું જે રોહિત શર્મા (Rohit Sharma) કરી રહ્યો ન હતો અને તેના માટે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
દુબઈમાં ગુરુવારે 8 સપ્ટેમ્બરે ભારતીય ટીમ એશિયા કપમાં છેલ્લી વખત મેદાનમાં ઉતરી હતી. આ વખતે તેની સામે અફઘાનિસ્તાનની ટીમ હતી, જે એક દિવસ પહેલા જ પાકિસ્તાન સામેની કપરી મેચમાં હારીને બહાર થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી આ મેચમાં રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો હતો અને આવી સ્થિતિમાં રાહુલે કમાન સંભાળી હતી. ભારતે વિરાટ કોહલીની 122 રનની રેકોર્ડ સદીની મદદથી 212 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હતો.
રાહુલની ચાલ કામ કરી ગઈ
જેના જવાબમાં ભુવનેશ્વરે 7 ઓવરમાં જ 5 વિકેટ લઈને અફઘાનિસ્તાનની ઈનિંગ્સનુ પતન કર્યુ હતુ. આવી સ્થિતિમાં ભારતની જીત નિશ્ચિત હતી. માત્ર 21 રનમાં 6 વિકેટ પડી ગયા બાદ રાશિદ ખાન અને ઈબ્રાહિમ ઝદરાન વચ્ચે પાર્ટનરશિપ થઈ હતી. ભારત વિકેટ શોધી રહ્યું હતું અને ત્યારબાદ રાહુલે ઓફ સ્પિનર દીપક હુડાને આક્રમણ પર મૂક્યો હતો.
બોલિંગ કરવા આવતા જ હુડ્ડાએ પોતાનું કામ કરી દીધું. પોતાના પહેલા જ બોલ પર હુડ્ડાએ ખતરનાક ફોર્મ અપનાવી રહેલા રાશિદ ખાનની વિકેટ લઈને ભાગીદારી તોડી હતી. દીપક હુડ્ડાએ માત્ર 1 ઓવર કરી હતી, જેમાં તેને 3 રનમાં આ વિકેટ મળી હતી. અફઘાનિસ્તાનની હાર પૂર્વનિર્ધારિત હોવા છતાં રાહુલે હુડ્ડાનો ઉપયોગ કરીને સાબિત કર્યું કે તે ટીમ માટે ઉપયોગી થઈ શકે છે.
રોહિતની થઈ હતી ટીકા
હુડ્ડા આ પહેલા પાકિસ્તાન અને શ્રીલંકા સામેની મેચમાં પણ ટીમનો ભાગ હતો, પરંતુ ત્યાં જ તેને ખૂબ જ નીચી બેટિંગ કરવા માટે નીચે લાવવામાં આવ્યો હતો એટલું જ નહીં, તેના દ્વારા એક પણ બોલ ફેંકવામાં આવ્યો ન હતો. બંને મેચમાં જ્યારે ભારતને મધ્ય ઓવરોમાં સફળતાની જરૂર હતી અને દબાણ બનાવવાની જરૂર હતી, ત્યારે ટીમ તેમાં સંપૂર્ણ રીતે સફળ થઈ શકી ન હતી. માત્ર પાંચ અગ્રણી બોલરો સાથે મેદાનમાં ઉતરેલા કેપ્ટન રોહિતે આ સમયગાળા દરમિયાન છઠ્ઠા બોલર તરીકે એક પણ વખત હુડ્ડાની ઓફ સ્પિનનો ઉપયોગ કર્યો ન હતો અને બંને મેચ બાદ તેની ભારે ટીકા થઈ હતી.