IND vs WI: હર્ષલ પટેલ ઈજાને લઈ બે મેચ માટે બહાર, એક બાદ એક ખેલાડી ઘાયલ થવાને લઈ ટીમ ઈન્ડિયા પર મુશ્કેલી
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ને તાજેતરના સમયમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા ખેલાડીઓ સહિત ઘણા ખેલાડીઓની ઈજાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) સતત દુનિયાના અલગ-અલગ ભાગોમાં જઈ રહી છે અને મેદાન પર કોઈ રોકાયા વિના સતત એક્શનમાં જોવા મળે છે. ઈંગ્લેન્ડમાં સીરિઝ સેટ કર્યા બાદ ટીમ ઈન્ડિયા (Team India) સીધી વેસ્ટ ઈન્ડિઝ પહોંચી ગઈ છે અને અહીં ક્રિકેટ ખૂબ આરામ કર્યા વિના રમાઈ રહી છે. આનું પરિણામ ખેલાડીઓની ફિટનેસ પર પણ જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા ખેલાડીઓ અલગ-અલગ કારણોસર પસંદગી માટે ઉપલબ્ધ નહોતા અને તેમાં વધુ એક નામ ઉમેરાયું છે. ટીમનો મીડિયમ પેસર હર્ષલ પટેલ (Harshal Patel) વેસ્ટ ઈન્ડિઝ સામેની બે મેચ માટે બહાર થઈ ગયો છે.
હર્ષલ બીજી-ત્રીજી મેચમાંથી બહાર
સોમવાર, 1 ઓગસ્ટના રોજ સેન્ટ કિટ્સમાં શ્રેણીની બીજી મેચમાં ટોસ બાદ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે હર્ષલ પટેલની ફિટનેસ વિશે માહિતી આપી હતી. બોર્ડે તેના નિવેદનમાં કહ્યું, “હર્ષલ પટેલને પાંસળીમાં ઈજા થઈ છે અને તેથી તે બીજી અને ત્રીજી ટી20માં પસંદગી માટે ઉપલબ્ધ નથી. BCCIની મેડિકલ ટીમ તેના પર નજર રાખી રહી છે.
Team News – Harshal Patel has a rib injury and is unavailable for selection for the 2nd and 3rd T20I. He is being monitored by the BCCI medical team.#WIvIND
— BCCI (@BCCI) August 1, 2022
આ ખેલાડીઓને પણ ઈજાની પરેશાની
ભારતીય ટીમને છેલ્લા કેટલાક સપ્તાહમાં ઘણા ખેલાડીઓની ઈજાનો સામનો કરવો પડ્યો છે. ટીમનો સૌથી ફિટ મેમ્બર અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ ઈજાના કારણે ઈંગ્લેન્ડમાં વનડે સીરીઝની એક મેચ રમી શક્યો ન હતો. તે જ સમયે, રવિન્દ્ર જાડેજા અને અર્શદીપ સિંહને પણ ઈજાઓનો સામનો કરવો પડ્યો હતો. જાડેજા પ્લેઈંગમાં ફરી સામેલ થઈ ચુક્યો છે. આ સિવાય કેએલ રાહુલ લગભગ બે મહિનાથી ઈજાગ્રસ્ત છે અને હજુ સુધી મેદાનમાં પરત ફરી શક્યો નથી. સ્વાભાવિક છે કે એશિયા કપ અને પછી T20 વર્લ્ડ કપ પહેલા ખેલાડીઓની ફિટનેસ ટીમ માટે ચિંતાનો વિષય હશે.
મેચ 3 કલાક મોડી શરૂ થઈ હતી
બીજી T20ની વાત કરીએ તો, વિચિત્ર સંજોગોને કારણે, આ મેચ નિર્ધારિત સમય કરતાં 3 કલાકના વિલંબ પછી શરૂ થઈ. મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ મેચ પહેલા વિન્ડીઝ બોર્ડે કહ્યું કે ખેલાડીઓનો સામાન સમયસર પહોંચી શક્યો નથી, જેના કારણે બે કલાક બાદ મેચ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જો કે, આ પછી પણ, બંને ટીમો મેચના અડધા કલાક પહેલા સુધી મેદાન પર પહોંચી ન હતી અને ત્યારબાદ તેને વધુ એક કલાક માટે સ્થગિત કરવી પડી હતી. આખરે, મેચ 11 વાગ્યે શરૂ થઈ શકે છે. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.