IND vs NZ: રોહિત શર્માએ શાર્દૂલ ઠાકુરનુ ખોલ્યુ રાઝ, કહ્યુ-ટીમ ઈન્ડિયામાં જાદુગરથી ઓળખાય છે
ટીમ ઈન્ડિયા માટે વર્ષની શરુઆત શાનદાર રહી છે. પહેલા શ્રીલંકા અને બાદમાં ન્યુઝીલેન્ડના સુપડા સાફ કરી દીધા, કિવી ટીમ સામે ઈન્દોરમાં શાર્દૂલ ઠાકુરે કમાલની બોલિંગ કરીને જીતમાં મોટી ભૂમિકા ભજવી
ટીમ ઈન્ડિયાએ કમાલ કર્યો છે. વનડે માં સળંગ બંને દ્વીપક્ષીય સિરીઝ 3-0 થી જીતી લીધી છે. પહેલા શ્રીલંકા અને બાદમાં ન્યુઝીલેન્ડની ટીમને હારનો સ્વાદ 3-0થી ચખાડ્યો છે. ભારતે આ સાથે જ વનડે ક્રિકેટમાં નંબર વનનુ સ્થાન મેળવી લીધુ છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ વનડે મેચ ઈન્દોરમાં રમાઈ હતી. જ્યાં ભારતીય ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 386 રનનુ લક્ષ્ય કિવી ટીમ સામે રાખ્યુ હતુ. જેનો પિછો કરવા માટે ઉતરેલી કિવી ટીમને ભારતીય બોલરોએ ઓલઆઉટ કરી દીધી હતી. શાર્દૂલ ઠાકુરે આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ટીમ ઈન્ડિયાના જાદૂગર શાર્દૂલ ઠાકુરને આ માટે પ્લેયર ઓફ ધ મેચ માટે પસંદ કરવામાં આવ્યો હતો. શાર્દૂલે 3 વિકેટ ઝડપી હતી. જેમાં તેણે ઝડપેલી સળંગ બે વિકેટ ન્યુઝીલેન્ડની ટીમની તોફાની શરુઆત વડે પિછો કરવાની આશાઓને વેર વિખેર કરી દીધી હતી. ત્યારબાજ બાજી સંપૂર્ણ રીતે ભારતીય ટીમના પક્ષમાં રહી હતી.
રોહિતે જાદુગરનુ રાઝ ખોલ્યુ
વનડે સિરીઝ જીત્યા બાજ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઈન્દોરમાં પોસ્ટ મેચ વાતચિત દરમિયાન શાર્દૂલ ઠાકુરને લઈ વાત કહી હતી. તેણે કહ્યુ કે ટીમ ઈન્ડિયામાં તેને સૌ કોઈ જાદુગર કહે છે. કારણ કે તે છેલ્લા કેટલાક સમયથી કમાલ કરતો રહે છે. શાર્દૂલ ઠાકુરે ત્રીજી વનડે દરમિયાન 3 વિકેટ ઝડપવા સાથે વનડે ક્રિકેટમાં 50 વિકેટ પુરી કરી હતી. આ 50 વિકેટ તેનો ગવાહ છે કે, તે જાદુગર છે. શાર્દુલે આ સિદ્ધી 34 મેચમાં હાંસલ કરી હતી.
વર્ષ 2017માં શ્રીલંકા સામે વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા શાર્દૂલ ઠાકુરે ગત વર્ષ જાન્યુઆરીમાં ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો હતો. ત્યારથી તેણે પાછુ વળીને જોયુ નથી. ગત વર્ષે મોકો મળ્યા બાદ અત્યાર સુધીમાં 19 વનડે મેચ રમીને 29 વિકેટ શાર્દુલે ઝડપી છે. આ દરમિયાન તેણે 4 વાર ત્રણ કે તેનાથી વધુ શિકાર ઝડપ્યા છે. તો એક અડધી સદી પણ ફટકારી છે.
કિવી ટીમના પ્રયાસ પર બ્રેક લગાવી
શાર્દૂલ ઠાકુરે કમાલની બોલિંગ કરતા એક જ ઓવરમાં ડેરેલ મિશેલ અને ટોમ લાથમની વિકેટ સળંગ ઝડપીને કિવી ટીમને ચોંકાવી દીધી હતી. આટલે જ ભારતીય ટીમે મેચ પર સંપૂર્ણ પ્રભાવ બનાવી દીધો હતો. આ પહેલા કિવી ટીમની તોફાની રમતની શરુઆત અને કોન્વેની સદીને લઈ એક સમયે રોમાંચક હાઈસ્કોરીંગ મેચ બને એવી સ્થિતી લાગી રહી હતી. જોકે શાર્દૂલે ઈનીંગની 26મી ઓવરમાં બેક ટુ બેક વિકેટ ઝડપતા જ માહોલ બદલાઈ ગયો હતો.
ઠાકુરે મેચમાં પોતાની પ્રથમ ઓવર કરતા 14 રન ગુમાવ્યા હતા. પરંતુ ત્યાર બાદ તેણે આગળની ઓવરોમાં પોતાનો કમાલ દેખાડવો શરુ કર્યો હતો. શાર્દૂલે 3 વિકેટ ઝડપી હતી. ડેરેલ મિશેલ અને ટોમ લાથમને એક જ ઓવરમાં તેનો શિકાર થઈ ગયા હતા. ટીમ ઈન્ડિયાના જાદુગરે લાથમને ગોલ્ડન ડક પર આઉટ કર્યો હતો. ગ્લેન ફિલિપ્સ પણ ઠાકુરના શિકાર બન્યા હતા.