India vs Leicestershire: ટીમ ઈન્ડિયા લેસ્ટરશાયરને ઓલઆઉટ ના કરી શકી, મેચ ડ્રો રહી
ભારતે (Indian Cricket Team) 364 રન પર બીજી ઇનિંગ ડિકલેર કરી હતી. ટીમ માટે વિરાટ કોહલી (Virat Kohli) , ચેતેશ્વર પુજારા અને શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારી હતી.
ભારત અને લેસ્ટરશાયર (India vs Leicestershire) વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ચાર દિવસીય વોર્મ-અપ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ઓપનર શુભમન ગીલે શાનદાર અડધી સદી ફટકારી હતી. જ્યારે રવિચંદ્રન અશ્વિને કોવિડ-19 થી સાજા થયા બાદ રમતમાં પરત ફરતી વખતે બે વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડ સામે 1 જુલાઈથી શરૂ થનારી ટેસ્ટ મેચ પહેલા આ ચાર દિવસીય વોર્મ-અપ મેચમાં પાંચ ભારતીય ખેલાડીઓએ બંને ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અશ્વિન માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ હતી કારણ કે તે કોવિડ-19થી સંક્રમિત થવાને કારણે મોડેથી ઈંગ્લેન્ડ માટે રવાના થયો હતો. તેણે 11 ઓવરની બોલિંગમાં 31 રન આપીને બે વિકેટ ઝડપી હતી. ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ચોથા અને અંતિમ દિવસે ભારતનું નેતૃત્વ કર્યું કારણ કે ટીમનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા (Rohi Sharma) કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો હતો.
ગિલે બીજા દાવમાં અડધી સદી ફટકારી
જો રોહિત ઈંગ્લેન્ડ સામે મેદાનમાં ઉતરવામાં નિષ્ફળ જશે તો ગિલ પર ભારતને સારી શરૂઆત કરાવવાની જવાબદારી રહેશે. પંજાબના આ બેટ્સમેને પ્રેક્ટિસ મેચના છેલ્લા દિવસે 77 બોલમાં 62 રન બનાવ્યા હતા. આ પહેલા તેણે 21 અને 38 રન બનાવ્યા હતા. લેસ્ટર માટે બેટિંગ કરતી વખતે તે ટોપ સ્કોરર તરીકે રહ્યો હતો.
ભારતે સાત વિકેટે 364 રન પર પોતાનો દાવ ડિકલેર કર્યો હતો, જે બાદ લેસ્ટરશાયરને મેચ જીતવા માટે 367 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. હનુમા વિહારીએ પણ ક્રિઝ પર સારો સમય પસાર કર્યો અને 86 બોલમાં 26 રન બનાવ્યા. પ્રસિદ્ધ કૃષ્ણા અને બુમરાહે બંને ટીમો માટે બોલિંગ કરી હતી પરંતુ છેલ્લા દિવસે બંને વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા હતા. કૃષ્ણાએ પાંચ ઓવરમાં 19 રન આપ્યા હતા જ્યારે બુમરાહે આઠ ઓવરમાં 12 રન આપ્યા હતા.
Both sides shake hands to end a fantastic four days of cricket here at Uptonsteel County Ground.
Thank you to the fans that came out to create a festival atmosphere and to @BCCI for their phenomenal attitude and professionalism across the week. pic.twitter.com/RoAg3ItotF
— Leicestershire Foxes (@leicsccc) June 26, 2022
અય્યર અને જાડેજાએ એક દાવમાં બે વખત બેટિંગ કરી હતી
અન્ય ભારતીયોમાં, ચેતેશ્વર પૂજારાએ પણ બંને ટીમો માટે બેટિંગ કરી હતી, જ્યારે શ્રેયસ અય્યર અને જાડેજાએ શનિવારે ભારતની બીજી ઇનિંગમાં બે વખત બેટિંગ કરી હતી. ભારતીય ટીમે પ્રથમ દાવ આઠ વિકેટે 246 રન પર ડિકલેર કર્યો હતો જેના જવાબમાં લેસ્ટરશાયર 244 રન બનાવી શક્યો હતો. ત્યારબાદ ભારતે 364 રન પર બીજી ઇનિંગ ડિકલેર કરી હતી. ટીમ માટે વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા અને શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારી હતી.