Team India ને આરામ માટે મળશે 5 દિવસ, શરુ કરાશે બોર્ડર-ગાવાસ્કર ટેસ્ટ શ્રેણીની તૈયારીઓ
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ભારત પ્રવાસે આવી રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની બોર્ડર-ગાવાસ્કર ટેસ્ટ શ્રેણી રમાનારી છે. જેની પ્રથમ મેચ નાગપુરમાં રમાશે.
હાલમાં ભારતીય ટીમ વ્હાઈટ બોલ સિરીઝમાં વ્યસ્ત છે. શ્રીલંકન ટીમ ભારત પ્રવાસે આવી હતી. ભારત અને શ્રીલંકા વચ્ચે 3-3 મેચોની વનડે અને ટી20 સિરીઝ રમાઈ હતી. ત્યાર બાદ ન્યુઝીલેન્ડ ટીમ ભારત પ્રવાસે આવી અને વનડે સિરીઝ રમાઈ હતી. હવે શુક્રવાર થી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 સિરીઝની શરુઆત થઈ રહી છે. જેની અંતિમ મેચ 1 ફેબ્રુઆરીએ રમાનારી છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને આ સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. પરંતુ આ આરામ પુરુ એક સપ્તાહ પણ નહીં હોય અને ટેસ્ટ સિરીઝ માટે પસંદ કરાયેલા ખેલાડીઓએ ટીમ ઈન્ડિયામાં હાજર થઈ જવુ પડશે. કારણ કે ફેબ્રુઆરીમાં મીશન બોર્ડર-ગાવાસ્કર ટેસ્ટ સિરીઝ ટીમ ઈન્ડિયા સામે હશે.
ઓસ્ટ્રેલિયાની ટીમ ફેબ્રુઆરી માસમાં ભારત પ્રવાસે આવશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ સિરીઝ રમાશે. આ સિરીઝ ભારત માટે ખૂબ મહત્વની છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં સ્થાન પાક્કુ કરવા માટે કાંગારુઓ સામે દમ દેખાડવો પડશે.
ટી20 સિરીઝ બાદ 5 દિવસનો આરામ
ટીમ ઈન્ડિયાના સુકાની રોહિત શર્મા અને વિરાટ કોહલી ન્યુઝીલેન્ડ સામેની ટી20 સિરીઝમાં સામેલ નથી. બંને હાલમાં આરામ પર છે. યુવા ખેલાડીઓ ટી20 સિરીઝમાં કિવી ટીમને ટક્કર આપશે. હાર્દિક પંડ્યા ટી20 ટીમનુ સુકાન સંભાળી રહ્યો છે. આ સિરીઝ ખતમ થવા સાથે જ કેટલાક ખેલાડીઓએ ટેસ્ટ સિરીઝ માટે ઝડપથી ટીમ ઈન્ડિયા સાથે પરત ફરવુ પડશે.
સિનિયર ખેલાડીઓને આમ તો ગત 24 જાન્યુઆરીએ રમાયેલ અંતિમ વનડે મેચ બાદ તુરત જ આરામ આપી દેવામાં આવ્યો હતો. આ ખેલાડીઓને માત્ર 5 જ દિવસનો બ્રેક આપવામાં આવ્યો છે. ત્યાર બાદ તેઓએ ટીમ ઈન્ડિયા માટેની તૈયારીઓ માટે રિપોર્ટીંગ કરવુ પડશે. આ માટે પહેરલા મુંબઈમાં લાગનારો તૈયારીઓનો કેમ્પ હવે નાગપુરમાં લાગનારો છે.
નાગપુરમાં લગાવાશે કેમ્પ
મીડિયા રિપોર્ટ્સનુસાર ભારતીય ક્રિકેટ બોર્ડના સૂત્રોના હવાલાથી બતાવવામાં આવ્યુ છે કે, ટૂંકા બ્રેક બાદ ટેસ્ટ સિરીઝની તૈયારીઓ માટે ભારતીય ખેલાડીઓ 2 ફેબ્રુઆરીએ મુંબઈમાં એકઠા થશે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સિરીઝ પહેલા અભ્યાસ શિબિરમાં સમય આપશે. જે 4-5 દિવસ ચાલી શકે છે.
જો કે, પહેલા આ કેમ્પ મુંબઈમાં યોજાવાનો હતો, પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવે આ કેમ્પને નાગપુર ખસેડવામાં આવ્યો છે. ચાર મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ 9 ફેબ્રુઆરીએ નાગપુરમાં જ રમાશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટેસ્ટ ટીમના તમામ ખેલાડીઓ અને કોચ રાહુલ દ્રવિડ સહિત સમગ્ર સપોર્ટ સ્ટાફ 2 ફેબ્રુઆરીએ મુંબઈમાં ભેગા થશે, ત્યારબાદ તેઓ નાગપુર જવા રવાના થશે. રાહુલ દ્રવિડ ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ પૂરી કર્યા બાદ ટીમ સાથે જોડાશે. ત્રણ મેચની T20 શ્રેણી 1 ફેબ્રુઆરીએ અમદાવાદમાં છેલ્લી મેચ સાથે સમાપ્ત થશે.
ટેસ્ટ શ્રેણી શેડ્યૂલ
- પ્રથમ ટેસ્ટ – 9 ફેબ્રુઆરી, નાગપુર
- બીજી ટેસ્ટ – 17 ફેબ્રુઆરી, નવી દિલ્હી
- ત્રીજી ટેસ્ટ – 1 માર્ચ, ધર્મશાલા
- ત્રીજી ટેસ્ટ – 9 માર્ચ, અમદાવાદ