Nagpur Test પહેલા સચિન તેંડુલકરે કહ્યુ, ચેતેશ્વર પુજારાને પુરો શ્રેય નથી મળ્યો
IND VS AUS: ચેતેશ્વર પુજારા હાલમાં પ્રભાવિત કરનારુ પ્રદર્શન કરી રહ્યો છે. નાગપુર ટેસ્ટ અને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં મહત્વનો ખેલાડી સાબિત થઈ શકે છે. આ પહેલા સચિ તેંડુલકરે મોટી વાત કરી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ સિરીઝની શરુઆત ગુરુવારથી થવા જઈ રહી છે. નાગપુરમાં સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ રમાનારી છે. સિરીઝને લઈ ખૂબ જ રાહ જોવાઈ રહી હતી અને તેનો અંત હવે કલાકો બાદ થનારો છે. ક્રિકેટ ચાહકો જ નહીં પરંતુ ખેલાડીઓ પણ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન સચિન તેંડુલકરે નાગપુર ટેસ્ટ પહેલા પોતાની વાત રાખી છે. ચેતેશ્વર પુજારાને લઈ સચિને કહ્યુ કે, તેને અત્યાર સુધી ઓળખવામાં આવ્યો નથી. ચેતેશ્વર પુજારા હવે 100 ટેસ્ટ મેચ પુરી કરવાની નજીક પહોંચ્યો છે.
સચિન તેંડુલકરે કહ્યું, “મને લાગે છે કે પૂજારાની સિદ્ધિઓનો સંપૂર્ણ શ્રેય આપવામાં આવ્યો નથી અને ટીમમાં તેના મહત્વને સંપૂર્ણ શ્રેય આપવામાં આવ્યો નથી. તેણે દેશ અને ભારતીય ક્રિકેટ ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેની પાસે એક વિશાળ છે. જે પણ સફળતા મળી છે તેમાં યોગદાન છે”. આ ટેસ્ટ સિરીઝની બીજી મેચમાં પૂજારા 100 ટેસ્ટ રમવાનો મોટો સીમાચિહ્ન હાંસલ કરશે.
સૂર્યાથી લઈ રાહુલ અને ગિલ માટે આમ કહ્યુ
ચેતેશ્વર પુજારાને લઈ સચિને મહત્વની વાત કરી હતી. પુજારા માટે નાગપુર ટેસ્ટ 99મી મેચ હશે. આમ તે હવે 100મી મેચ રમવા માટે આતુર હશે. સચિને પુજારા ઉપરાંત ભારતીય બેટિંગ લાઈનના મહત્વના ખેલાડીઓ વિશે પણ વાત કરી હતી. તેંડુલકરે કહ્યું, “T20 અને ODI રમવાથી લઈને હવે ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવા સુધી, સૂર્યકુમાર યાદવે સમગ્ર વિશ્વમાં અજોડ છાપ છોડી છે. જે પણ સૂર્યકુમારની રમત પર નજર રાખે છે, તે તેની ક્ષમતા અને વિચારવાની રીતની ખાતરી થઈ જાય છે”.
આગળ પણ તેમણે કહ્યું, “પરંતુ ટેસ્ટ ક્રિકેટ એક અલગ પ્રકારની રમત છે. સૂર્યકુમાર ટેસ્ટ ક્રિકેટ રમવા માટે સંપૂર્ણ રીતે તૈયાર દેખાય છે. લોકેશ રાહુલ અને શુભમન ગિલની સાથે તેની ક્ષમતાના કોઈ ખેલાડીના નામ પર વિચાર કરવો જોઈએ. ત્રણેય સક્ષમ ખેલાડી છે અને હું અહીં કોઈ જજમેન્ટ આપવા માંગતો નથી પરંતુ ત્રણેય ટીમમાં જગ્યા બનાવવામાં સક્ષમ છે”.
વિરાટ અને ગિલના ફોર્મને લઈ કરી વાત
માસ્ટર બ્લાસ્ટરે વિરાટ કોહલીને પણ યાદ કર્ય હતો અને કહ્યુ હતુ કે, “છેલ્લા કેટલાક મહિનામાં વિરાટ જે રીતે રમ્યો તે જોઈને મને ખરેખર ગમ્યું. વિરાટે દમદાર રમત બતાવી હતી”. વિરાટ હવે ટેસ્ટ સિરીઝમાં સદી નોંધાવે એવી રાહ સૌ કોઈ જોઈ રહ્યુ છે.
દરમિયાન ગિલ વિશે કહ્યું, “હું ટીમ કમ્પોઝિશન અને તે બધામાં આવવા માંગતો નથી. પરંતુ જો તાજેતરના સમયની વાત કરીએ તો શુભમન ગિલ સારા ફોર્મમાં છે અને રાહુલ યોગદાન આપી શક્યો નથી પરંતુ તે જીવન છે. તમે આ ઉતાર-ચઢાવમાંથી પસાર થશો. આ બંને શાનદાર ખેલાડી છે અને ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે રન બનાવતા રહેવું પડશે”.