IND vs SL 2023 : રાજકોટમાં ભારત-શ્રીલંકા વચ્ચે યોજાશે T20 મેચ, ઓનલાઇન બુકિંગ શરૂ
શ્રીલંકાની ક્રિકેટ ટીમ જાન્યુઆરી 2023માં ભારતનો પ્રવાસ કરશે. આ દરમિયાન તે ત્રણ ટી-20 અને ત્રણ વન-ડેની સિરીઝ રમશે. 7 જાન્યુઆરીના રોજ ટી 20 મેચ રમાશે. મેચને લઈ ઓનલાઈન બુકિંગ પણ શરુ થઈ ચૂક્યું છે.
ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં 7 જાન્યુઆરીએ ઇન્ડિયા Vs શ્રીલંકા વચ્ચે T 20 મેચ રમાશે. ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ક્રિકેટરસીકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. ટીમ ઇન્ડિયા જ્યારે રાજકોટ આવી રહી હોય ત્યારે મેચ માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. એક ટિકિટનો ભાવ રૂપિયા 1100થી લઈ ₹7,000 સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. રાજકોટને બીજા T-20 મુકાબલાનું યજમાનપદ મળ્યું છે.
તડામાર તૈયારીઓ શરૂ
શ્રીલંકાની ટીમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (SCA) ઉપર પહેલીવાર T-20 મુકાબલો રમવા ઉતરશે. આ માટે એસોસિએશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શ્રીલંકાની ટીમ રાજકોટ રમવા આવનારી છે ત્યારે રાજકોટની મહેમાન બનનારી ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, વેસ્ટઇન્ડીઝ, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ અને આફ્રિકા પછીની 7મી ટીમ હશે.રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ક્રિકેટરસિકો માટે આનંદના સમાચાર છે.
શ્રીલંકા ત્રણ ટી-20 અને વન-ડે મેચની સિરીઝ રમશે
શ્રીલંકાની ક્રિકેટ ટીમ આ વર્ષે ભારતના પ્રવાસ પર ત્રણ ટી-20 અને વન-ડે મેચની સિરીઝ રમશે. આ સિરીઝ જાન્યુઆરી 2023માં બંને દેશો વચ્ચે રમાશે. સિરીઝની શરૂઆત ટી-20 સિરીઝથી થશે. બંને દેશો વચ્ચે રમાનારી T20 અને ODI સિરીઝ માટે સ્થળની જાહેરાત કરવામાં આવી છે. શ્રીલંકાની ટીમ આજ સુધી ભારતીય ધરતી પર T20 સિરીઝ જીતવામાં નિષ્ફળ રહી છે. ભારતની ધરતી પર ટી20 સિરીઝમાં શ્રીલંકાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન વર્ષ 2009માં હતું. ત્યારબાદ શ્રીલંકાની ટીમે 2 મેચની સિરીઝમાં 1-1થી બરાબરી કરી હતી.સાતમી જાન્યુઆરીના રોજ રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે સાંજના સાત વાગ્યા બાદ ટી-20 મેચ રમાશે.
ભારત-શ્રીલંકા T20/ODI શેડ્યૂલ
શ્રીલંકા તેના ભારત પ્રવાસની શરૂઆત T20 સિરીઝથી કરશે. T20 સિરીઝની પ્રથમ મેચ 3 જાન્યુઆરીએ મુંબઈમાં, બીજી મેચ 5 જાન્યુઆરીએ પુણેમાં જ્યારે ત્રીજી અને છેલ્લી મેચ 7 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે. આ સિરીઝ બાદ બંને દેશોની વનડે સિરીઝનું આયોજન કરવામાં આવશે. વનડે સિરીઝની પ્રથમ મેચ 10 જાન્યુઆરીએ ગુવાહાટીમાં, બીજી મેચ 12 જાન્યુઆરીએ કોલકાતામાં જ્યારે ત્રીજી અને છેલ્લી વનડે 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે.
શ્રીલંકા સામે ભારતની T20 ટીમ – હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન , રુતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ , દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંઘ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર.