IND vs SL: વિરાટ કોહલીની 100 મી ટેસ્ટમાં મોહાલી સ્ટેડિયમ માં દર્શકોની ભીડ ઉત્સાહ વધારી દેશે, 2 દિવસમાં વેચાઇ ગઇ તમામ ટિકિટ
1 માર્ચ પહેલા, BCCI એ આ મેચ માટે દર્શકોને આવવા દેવાની ના પાડી દીધી હતી, પરંતુ ભારે વિરોધ બાદ BCCIએ પોતાનો નિર્ણય બદલ્યો અને દર્શકોને 50 ટકા ક્ષમતામાં આવવાની મંજૂરી આપી હતી.
આજે શુક્રવાર 4 માર્ચ ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ ખાસ દિવસ બની રહ્યો છે. ટીમ ઈન્ડિયાના સૌથી સફળ બેટ્સમેનોમાંના એક અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પોતાની 100મી ટેસ્ટ મેચ (Virat Kohli 100th Test) રમશે. ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચેની આ મેચ મોહાલી (Mohali Test) માં યોજાવાની છે અને તેના માટે ભારતીય ટીમે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. પરંતુ ટીમોની તૈયારી સિવાય ટીમ ઈન્ડિયા અને ખાસ કરીને વિરાટ કોહલીના ચાહકોએ પણ આ મેચ માટે તૈયારી કરી લીધી છે, જેમાં સૌથી મહત્વની છે મેચની ટિકિટ.
મોહાલીમાં યોજાનારી આ ઐતિહાસિક ટેસ્ટ મેચના સાક્ષી બનવા ચાહકો ખૂબ જ ઉત્સુક છે અને આ જ કારણ છે કે આ મેચની ઉપલબ્ધ લગભગ તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. પંજાબ ક્રિકેટ એસોસિએશન (PCA) એ આ વિશે માહિતી આપી.
કોહલીની આ યાદગાર ટેસ્ટ માટે બે દિવસ પહેલા સુધી દર્શકોને આવવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કોરોના વાયરસના સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને દર્શકોની હાજરી વિના આ ટેસ્ટ કરાવવાની જાહેરાત કરી હતી. પરંતુ બીસીસીઆઈના આ નિર્ણયથી સૌ કોઇ નારાજ હતુ અને સોશિયલ મીડિયા પર બોર્ડ વિરુદ્ધ જબરદસ્ત અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ પછી, બીસીસીઆઈએ 1 માર્ચે મેદાનની ક્ષમતાના 50 ટકા દર્શકોને મંજૂરી આપી હતી, ત્યારબાદ 2 માર્ચથી ટિકિટોનું વેચાણ શરૂ થયું હતું.
લગભગ બધી ટિકિટો વેચાઈ ગઈ
મોહાલીના પીસીએ સ્ટેડિયમમાં લગભગ 27 હજાર દર્શકોની ક્ષમતા છે. આવી સ્થિતિમાં 50 ટકા એટલે લગભગ 13500 ટિકિટ. PCA અનુસાર, લગભગ તમામ ટિકિટો વેચાઈ ગઈ છે, જે આ મેચ માટે ચાહકોની ઉત્સુકતાનો પુરાવો આપે છે.
એક મીડિયા અહેવાલ મુજબ પીસીએ સેક્રેટરી આરપી સિંગલાએ માહિતી આપતા કહ્યુ હતું કે, એસી લોન્જ અને પેવેલિયન ટેરેસ સિવાય, ચેર બ્લોક અને વીઆઈપી સ્ટેન્ડ સહિતની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે, સાઉથ બ્લોકમાં માત્ર 200 સીટો જ વેચવાની બાકી છે. અમે આ બેઠકો વિદ્યાર્થીઓ માટે છોડી દીધી છે, જેઓ ગમે ત્યારે આવીને ખરીદી શકે છે. 50 ટકા ક્ષમતા મુજબ સંપૂર્ણ ભરેલ સ્ટેડિયમમાં વિરાટ કોહલીની 100મી ટેસ્ટ જોઈને અમને આનંદ છે અને અમે COVID-19 માર્ગદર્શિકાનું પાલન કરીશું.
કોહલીનું સન્માન કરશે પીસીએ
પંજાબ ક્રિકેટ એસોસિએશન પણ પોતાના તરફથી ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનનું સન્માન કરવા જઈ રહ્યું છે. આ માટે મેચ પહેલા કોહલીને સિલ્વર પ્લેક આપવાની યોજના છે. આ અંગે સિંગલાએ જણાવ્યું હતું કે બાયો બબલના કારણે તે સીધુ કોહલીને આપી શકાય તેમ નથી અને આવી સ્થિતિમાં પીસીએ કોહલીનું સન્માન કેવી રીતે કરવું તે અંગે આયોજન કરી રહી છે.