IND vs SL: ટીમ ઈન્ડીયામાં આજે જોવા મળી શકે છે 7 મોટા પરીવર્તન, આ ખેલાડીઓ કરી શકે છે ડેબ્યૂ
કૃણાલ પંડ્યા સાથે નજીકના સંપર્ક ધરાવતા ખેલાડીઓના RTPCR ટેસ્ટ નકારાત્મક આવ્યા છે. પરંતુ એમ કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષા કારણોસર તેઓ બીજી T20 મેચમાં ભાગ લઈ શકશે નહીં.
શ્રીલંકા સામે વનડે સિરીઝ જીત્યા બાદ ભારતીય ટીમ (Team India) T20 સિરીઝ જીતવાના ઈરાદે મંગળવારે મેદાને ઉતરનાર હતી. પરંતુ મેચની શરૂઆતના થોડા સમય પહેલા જ ટીમ ઈન્ડિયાના ખેલાડી કૃણાલ પંડ્યા (Krunal Pandya) કોરોના સંક્રમિત જણાયો હતો. ટીમના આઠ ખેલાડીઓ કૃણાલના સંપર્કમાં આવ્યા હતા.
તેમને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા હતા અને મેચ મુલતવી રાખવામાં આવી હતી. હવે T20 સિરીઝની બીજી મેચ આજે 28 જુલાઈએ રમાશે. આજની મેચમાં એક મોટો રેકોર્ડ બની શકે છે. શ્રીલંકા સામેની બીજી મેચમાં ઘણા ખેલાડીઓ ભારત તરફથી આંતરરાષ્ટ્રીય T20 મેચમાં ડેબ્યૂ કરી શકે છે.
કૃણાલ પંડ્યા સાથે નજીકના સંપર્ક ધરાવતા ખેલાડીઓના RTPCR ટેસ્ટ નકારાત્મક આવ્યા છે. પરંતુ એમ કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષા કારણોસર તેઓ બીજી T20 મેચમાં ભાગ લઈ શકશે નહીં. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આજે ઘણા બદલાવ સાથે મેદાને ઉતરી શકે છે. જોકે હજી સુધી આ સંદર્ભમાં કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આ ખેલાડી આજે ઉપલબ્ધ નહીં હોય શકે
એક રિપોર્ટ મુજબ હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, સૂર્યકુમાર યાદવ, પૃથ્વી શો, કૃષ્ણપ્પા ગૌતમ, શિખર ધવન, ઈશાન કિશન અને મનીષ પાંડે કૃણાલના સંપર્કમાં આવ્યા હતા. જો કે આ ખેલાડીઓમાંથી મનીષ અને ગૌતમ પ્રથમ ટી 20 મેચ રમ્યા ન હતા. જો આ ખેલાડીઓ ઉપલબ્ધ ન રહી શકે એમ હોય તો ભારતે ઓછામાં ઓછા સાત ફેરફાર કરવા પડશે.
બદલાઈ જશે કેપ્ટન
આવી સ્થિતિમાં ભારતની પ્લેઈંગ ઇલેવન કેવી રહેશે તે જોવું રસપ્રદ રહેશે. દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન અને નીતીશ રાણા ટીમમાં બાકી રહેલા બેટ્સમેન છે. આવી સ્થિતિમાં ભારતને સાત બોલરોને મેદાન પર ઉતારવાની ફરજ પડશે. આ સાથે કેપ્ટનશીપની કમાન ભુવનેશ્વર કુમારના ખભા પર આવશે. ઉપકેપ્ટન ભુવનેશ્વર કુમાર ટીમનું નેતૃત્વ કરશે. શાનદાર બોલિંગ ઉપરાંત ભુવનેશ્વરે પણ પાંચ અથવા છ નંબર પર બેટિંગ કરતી વખતે રન બનાવવાના રહેશે. દીપક ચહરે પણ રન બનાવવાની જવાબદારી નિભાવવાની રહેશે.
અનેક ખેલાડીઓ કરી શકે છે ડેબ્યૂ
કુલદીપ યાદવ, રાહુલ ચાહર, ચેતન સાકરીયા, નવદીપ સૈની અને વરૂણ ચક્રવર્તીએ બોલિંગની જવાબદારી સંભાળવી પડશે. શું આ આક્રમણ નબળા બેટિંગ ક્રમને ભરપાઈ કરી શકે છે? એ તો માત્ર સમય જ કહેશે. પરંતુ જો તમે એક નજર કરો તો આજે ઘણા ખેલાડીઓ ડેબ્યુ કરી શકે છે. જેમાં દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, ચેતન સાકરીયા અને નીતીશ રાણા સામેલ છે.
ભારતની સંભવિત XI: દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન (વિકેટકીપર), નીતીશ રાણા, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર (કેપ્ટન), વરૂણ ચક્રવર્તી, દિપક ચાહર, રાહુલ ચાહર, ચેતન સાકરીયા અને નવદીપ સૈની.