IND vs SL: શ્રીલંકા પ્રવાસને શિખર ધવને આ ગણતરીઓથી ખાસ ગણાવ્યો, યુવા ખેલાડીઓ માટે કહી મહત્વની વાત
IND vs SL : ટીમ ઇન્ડીયા માટે આંતરરાષ્ટ્રીય T20 શ્રેણીની દૃષ્ટીએ શ્રીલંકા પ્રવાસ મહત્વનો છે. ખેલાડીઓને પોતાની પ્રદર્શન T20 વિશ્વકપ પહેલા દેખાડવાનો આ અંતિમ મોકો માનવામાં આવી રહ્યો છે. જેથી યુવાઓ એ જ નહી સિનીયરોને માટે પણ કસોટી રુપ પ્રવાસ બની રહેશે.
વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશીપ ધરાવતી ટીમ ઇન્ડીયા હાલમાં ઇંગ્લેન્ડમાં રજાઓ ગાળી રહી છે. આઇસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (WTC Final) માં ભારતીય ટીમ 8 વિકેટે હારી હતી. ત્યાર બાદ હવે ટીમનો આગળનો પડાવ ઓગષ્ટ માસથી શરુ થશે. આ દરમ્યાન ભારતીય ફેન્સની નજર બીજી ટીમ પર હશે. જે શ્રીલંકામાં વન ડે અને T20 સિરીઝમાં દમ બતાવી રહી હશે. શિખર ધવન (Shikhar Dhawan) ની કેપ્ટનશીપ હેઠળ ટીમ, શ્રીલંકા પ્રવાસ (Sri Lanka Tour) ખેડી રહી છે.
ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ દરમ્યાન 3 વન ડે અને 3 T20 મેચ રમશે. જેની શરુઆત 13 જૂલાઇ થી થશે, જે પ્રવાસ માટે 20 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી હતી. 14 જૂન થી ટીમના સભ્યો મુંબઇમાં ક્વોરન્ટાઇન હેઠળ હતા.
હવે ટીમનુ ક્વોરન્ટાઇન આજે સોમવારથી સમાપ્ત થઇ રહ્યુ છે. ત્યાર બાદ ટીમ BCCI ના બાયોબબલથી શ્રીલંકન બોર્ડના બાયોબબલમાં શીફ્ટ થશે. ચારેક સપ્તાહના પ્રવાસની શરુઆત પહેલા શિખર ધવન અને હેડ કોચ રાહુલ દ્રાવિડે મીડિયા સાથે વાતચીત કરી હતી.
કૌશલ્ય દર્શાવવાનો શાનદાર મોકો-ધવન
ધવને ટીમને લઇને કહ્યુ હતુ કે, આ એક નવો અને અલગ જ પ્રકારનો પડકાર છે. ટીમનો દરેક સભ્ય આ પ્રવાસ દરમ્યાન પોતાનુ કૌશલ્ય દર્શાવવા માટે ઉત્સાહિત છે. વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ મારફતે ધવને કહ્યુ, આ એક ખૂબ સારી ટીમ છે. અમારી ટીમમાં હકારાત્મકતા છે, વિશ્વાસ છે અને દરેકને સારા પ્રદર્શનનો ભરોસો છે. ખેલાડીઓ ખૂબ જ ઉત્સાહિત છે. આ એક નવો જ પડકાર છે. એ સાથે જ અમારા બધા માટે કૌશલ્ય દર્શાવવાનો એક શાનદાર મોકો છે. જેની સૌ કોઇ રાહ જોઇ રહ્યુ હતુ.
નવા ચહેરા અગાઉ પોતાને સાબિત કરી ચુક્યા છે
ધવને કહ્યુ હતુ કે, બે સપ્તાહ ક્વોરન્ટાઇન હેઠળ વિતાવવા બાદ ખેલાડીઓ હવે મેદાને ઉતરવા માટે બેતાબ છે. શ્રીલંકા પહોંચવા બાદ ટીમની પાસે દશ થી બાર દિવસનો સમય છે. નવા ખેલાડીઓએ પણ અલગ અલગ સ્તર પર પોતાની કાબેલિયત દર્શાવી છે. ધવને આગળ કહ્યુ, ખેલાડીઓ તૈયાર છે અને તે આ શ્રેણીઓમાં રમવા માટે ઉત્સાહીત છે. આ ખેલાડીઓ આઇપીએલ અને અન્ય ટૂર્નામેન્ટમાં પહેલા પોતાને સાબિત કર્યા છે અને અનુભવનુ સારુ મિશ્રણ છે.
આ ખેલાડીઓ માટે મહત્વનો પ્રવાસ
ભારતીય ટીમમાં મોટાભાગે એવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે, જેઓને આગામી T20 વિશ્વકપમાં મોકો મળી શકે છે. તો વળી પહેલા થી જ ટીમનો હિસ્સો રહેલા, અનેક ખેલાડીઓ પાસે પોતાની દાવેદારી પાક્કી કરવા અને વિશ્વાસ જીતવા માટે આખરી મોકો છે. કુલદિપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ ની જોડી છેલ્લા કેટલાક સમય થી ખરાબ ફોર્મમાં ચાલી રહી છે. જ્યારે મનિષ પાંડે નિરંતર રન નથી બનાવી રહ્યો.