IND vs SL: ભારત સામે શ્રીલંકા ભીંસમાં, ઈજાને લઈને મહત્વનો બેટ્સમેન શ્રેણીથી બહાર
ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી T20 મેચ કૃણાલ પંડ્યા કોરોનાની ઝપેટમાં આવતા સ્થગીત કરી દેવાઈ છે તો બીજી તરફ શ્રીલંકાને પણ ખેલાડીઓની ઈજા પરેશાન કરી રહી છે.
ભારત (India) સામેની વન ડે સિરીઝ ગુમાવ્યા બાદ T20 શ્રેણીની પ્રથમ મેચમાં હારી ગયેલી શ્રીલંકાની ટીમ (Sri Lanka Cricket Team) પર મુશ્કેલી વધી રહી છે. પહેલાથી જ શ્રીલંકાની ટીમ ઘણી નબળી દેખાઈ રહી છે. હવે ટીમના ખેલાડીઓની ઈજાએ તેની હાલત વધુ વિકટ બનાવી દીધી છે. માહિતી અનુસાર શ્રીલંકાના એક બેટ્સમેનને ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર કરી દેવાયો છે. જ્યારે અન્ય બે બેટ્સમેનોને બીજી T20માં રમવા અંગે આશંકા છે.
શ્રીલંકાના મીડિયા અહેવાલ મુજબ ટોપ ઓર્ડર બેટ્સમેન ભાનુકા રાજપક્ષે (Bhanuka Rajapaksa) ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. જ્યારે પ્રથમ T20માં ડેબ્યૂ કરનાર ચરિથ અસલંકા (Charith Asalanka) ઈજાગ્રસ્ત છે, તેનુ બીજી T20 મેચમાં રમવુ મુશ્કેલ છે. આ સિવાય પથુમ નિસંકા (Pathum Nisanka) પણ ઈજાગ્રસ્ત છે.
ભારત સામે વનડે સિરીઝમાં ડેબ્યુ કરનાર અને કેટલીક શાનદાર ઈનિંગ્સ રમનાર ભાનુકા રાજપક્ષે ઈજા પામ્યો છે. તેને આંગળીની ઈજાને કારણે આખી T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તે 25 જુલાઈએ રમાયેલી શ્રેણીની પહેલી મેચમાં રમી શક્યો ન હતો.
શ્રીલંકાના મીડિયા રિપોર્ટ મુજબ આક્રમક મધ્યમક્રમના બેટ્સમેન ચરીથ અસલંકાને હેમસ્ટ્રિંગની ઈજા થઈ છે. જેના કારણે તે બીજી T20 મેચમાં રમવાને લઈ આશંકા છે. આ દરમ્યાન ટોચના ઓર્ડરનો યુવા બેટ્સમેન પથુમ નિસંકાને પણ નેટ સેશન દરમ્યાન હાથની ઈજા થઈ હતી અને તેનું રમવુ પણ મુશ્કેલ લાગી રહ્યું છે.
No end to Sri Lanka’s troubles it seems. Bhanuka Rajapaksa ruled out of the series. Charith Asalanka doubtful with hamstring injury. Team waiting on scan results. Pathum Nissanka got hit in the arm in the nets yesterday and he too is doubtful.
— Rex Clementine (@RexClementine) July 26, 2021
બીજી T20 ટળવાથી થશે ફાયદો
T20 શ્રેણીની બીજી મેચ એક દિવસ માટે સ્થગીત રાખવામાં આવી છે. આ મેચ મંગળવારે 27 જુલાઈએ રમાવાની હતી. પરંતુ ભારતીય ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયો છે. જેના કારણે મેચને એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવી છે. આ મેચ હવે બુધવારે 28 જુલાઈએ રમાશે. આવી સ્થિતિમાં શ્રીલંકા પાસે એક વધારાનો દિવસ છે. જેમાં તેઓ આશા રાખશે કે અસલંકા અને નિસંકા ત્યાં સુધી ફિટ થઈ શકે અને આ મેચની ટીમ પસંદગી માટે ઉપલબ્ધ રહેશે.
ડેબ્યૂ T20માં અસલંકાની આતિશી બેટિંગ
અસાલંકાએ ભારત સામે પ્રથમ T20 મેચમાં ડેબ્યુ કર્યું હતું. લક્ષ્યનો પીછો કરતી વખતે ડાબોડી બેટ્સમેને જબરદસ્ત ઝડપી ઈનિંગ રમી હતી. ભારત તરફથી 165 રનના લક્ષ્યાંકનો પીછો કરતા 24 વર્ષીય અસાલંકાએ ટીમના માટે ફક્ત 26 બોલમાં 44 રન બનાવ્યા હતા. જો કે તેની વિકેટ પડવાની સાથે જ શ્રીલંકાની ઈનિંગ્સ લડખડાઈ ગઈ હતી. આમ ભારતે પ્રથમ T20 મેચ 38 રને જીતી લીધી.