IND vs SA: વિરાટ કોહલી અને કેએલ રાહુલ જે કામ નથી કરી શક્યા એ ઋષભ પંતે ત્રીજા પ્રયત્ને કરી દેખાડ્યુ
ઋષભ પંત (Rishabh Pant) ના નેતૃત્વમાં ભારતે ત્રીજી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 48 રને હરાવ્યું હતું. આ જીત સાથે પંતે ભારતની હારનો સિલસિલો પણ તોડી નાખ્યો છે.
ઋષભ પંત (Rishabh Pant) ની આગેવાનીમાં ભારતે દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) સામેની ત્રીજી T20 મેચ જીતી હતી. ભારતે ત્રીજી મેચમાં મહેમાન ટીમને 48 રને પરાજય આપીને 5 મેચોની શ્રેણીમાં પોતાની આશાઓ બચાવવામાં સફળતા મેળવી હતી. ટીમ ઈન્ડિયા (Team India) શરૂઆતની બંને મેચ સરળતાથી હારી ગઈ હતી. ત્યારથી ઋષભ પંતની પણ ઘણી ટીકા થઈ રહી હતી. ટીકાઓ છતાં, પંતે ત્રીજી મેચમાં ટીમમાં કોઈ ફેરફાર કર્યો ન હતો અને માત્ર 2 મેચ હારી ગયેલી ટીમને જ જીતના પાટા પર લઈ આવ્યો હતો. આ સાથે પંતે તે કર્યું જે વિરાટ કોહલી અને કેએલ રાહુલ તેમની કેપ્ટનશીપમાં ન કરી શક્યા. ભારતીય સુકાની તરીકે પંતની આ પ્રથમ જીત છે અને તેણે પોતાની 100મી આંતરરાષ્ટ્રીય મેચમાં આ ખાસ જીત હાંસલ કરી છે.
સતત 7 હાર બાદ દક્ષિણ આફ્રિકા સામે ભારતની પ્રથમ જીત
હકીકતમાં વાત જાણે એમ છે કે ભારતીય ટીમના નિયમીત કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં, ભારતને આ વર્ષે પ્રથમ જીત મળી છે. એટલું જ નહીં, સતત 7 મેચ હાર્યા બાદ ભારતને આ વર્ષે દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ જીત મળી હતી. 2022માં ભારતમાં અત્યાર સુધીમાં કુલ 19 મેચ રમાઈ છે. જેમાં રોહિતે પોતાની કેપ્ટન્સીમાં રમાયેલી તમામ 11 મેચમાં ટીમને જીત અપાવી હતી, જ્યારે વિરાટ કોહલી, કેએલ રાહુલ અને ઋષભ પંતે 7 મેચમાં ટીમની કમાન સંભાળી હતી, પરંતુ તેઓ પણ જીતવામાં નિષ્ફળ રહ્યો હતો. પંત 19મી મેચમાં હારનો સિલસિલો તોડવામાં સફળ રહ્યો હતો. ભારતીય ટીમ હવે ટી20 સિરીઝમાં 1-2 થી પાછળ છે, આમ શ્રેણીમાં બરાબરી કરવા માટે રાજકોટની મેચ પર નજર રહેશે.
પંતે હારનો સિલસિલો તોડ્યો
રોહિત શર્માએ આ વર્ષે તેની કપ્તાની હેઠળ ભારતીય ટીમને 3 ODI, 6 T20 અને 2 ટેસ્ટ મેચમાં જીત અપાવી હતી. હિટમેનની કપ્તાની હેઠળ, ભારતે 3 ટી20, વેસ્ટ ઈન્ડિઝ સામે 3 વનડે, શ્રીલંકા સામે 3 ટી20, 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું હતું. તે જ સમયે, કોહલીની કપ્તાનીમાં, દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં ભારતનો પરાજય થયો હતો. કેએલ રાહુલની કપ્તાનીમાં ભારતને દક્ષિણ આફ્રિકાના હાથે એક ટેસ્ટ અને 3 વનડેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ બંને બાદ પંતને દક્ષિણ આફ્રિકા સામેની હોમ સિરીઝની પ્રથમ બે મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો.