IND vs NZ: કાનપુરમાં નિરાશા વચ્ચે પણ એવુ કામ કર્યુ કે સૌનુ દિલ જીતી લીધુ, ગ્રીન પાર્ક સ્ટેડિયમના કર્મચારીઓને આપ્યુ મહેનતનુ ઇનામ
કાનપુર (Kanpur Test) માં ભારતીય ટીમ (Team India) જીતની ખૂબ જ નજીક પહોંચી ગઈ હતી, પરંતુ છેલ્લા અડધા કલાકમાં ન્યૂઝીલેન્ડની છેલ્લી જોડીએ સંઘર્ષ સાથે રમત રમતા ભારતને વિજય થી દુર રાખી દીધુ હતુ.
ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે કાનપુર ટેસ્ટ (Kanpur Test) રોમાંચક રીતે ડ્રો રહી હતી. ભારતીય ટીમ (Team India) ગ્રીન પાર્ક સ્ટેડિયમ (Green Park Stadium) માં જીતની નજીક આવી હતી અને તેને માત્ર ડ્રો સાથે કામ કરવું પડ્યું હતું. મેચના પાંચ દિવસ સુધી જબરદસ્ત રમત જોવા મળી હતી અને બંને ટીમો વચ્ચે પ્રથમ બોલથી છેલ્લા બોલ સુધી ઉગ્ર સંઘર્ષ જોવા મળ્યો હતો. હવે આ મેચમાં ટીમ ઈન્ડિયાને જીત ન મળી, પરંતુ ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે (Rahul Dravid) આ નિરાશા છતા એક એવું કામ કર્યું, જેણે બધાના દિલ જીતી લીધા.
કાનપુર ટેસ્ટમાં પાંચ દિવસ માટે સ્પર્ધાત્મક પીચ તૈયાર કરવા માટે ગ્રીન પાર્ક સ્ટેડિયમના કર્મચારીઓના કામની પ્રશંસા કરતા, તેમણે તેમના વતી પ્રોત્સાહક રકમ આપી હતી. ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશને કહ્યું કે દ્રવિડે મેદાનના સ્ટાફને ઈનામ તરીકે પોતાના ખિસ્સામાંથી 35,000 રૂપિયા આપ્યા હતા.
કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં 5 વર્ષની રાહ જોયા બાદ પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટ રમાઈ હતી. છેલ્લી ટેસ્ટ 2016માં યોજાઈ હતી અને ત્યારે પણ ભારત-ન્યૂઝીલેન્ડ સામ-સામે હતા. તે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને જીત મળી હતી, પરંતુ આ વખતે ન્યૂઝીલેન્ડે અવરોધ કર્યો. અંતિમ દિવસે ભારતે ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સને 9 વિકેટ સુધી તો સમેટી દીધી હતી. પરંતુ એજાઝ પટેલ અને રચિન રવિન્દ્રએ શાનદાર સંયમ બતાવીને છેલ્લી વિકેટ બચાવીને ન્યૂઝીલેન્ડને યજમાન ટીમ સામેની હારમાંથી બચાવી હતી.
35000 રૂપિયા પોતાના ખર્ચમાંથી આપ્યા
મેચ પૂરી થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં દેખીતી રીતે નિરાશા જોવા મળી હતી. રાહુલ દ્રવિડ પણ હેડ કોચ તરીકેની પોતાની પહેલી જ ટેસ્ટમાં જીતથી વંચિત રહ્યો હતો, પરંતુ તેમ છતાં દ્રવિડે પોતાનું મોટું દિલ બતાવ્યું હતું. UPCA એ મેચ પુરી થયા બાદ ગ્રીન પાર્ક સ્ટેડિયમના પ્રેસ બોક્સમાં જાહેરાત કર્યા બાદ દ્રવિડની આ વાતની જાણકારી આપી હતી. UPCA એ કહ્યું, અમે સત્તાવાર જાહેરાત કરવા માંગીએ છીએ. રાહુલ દ્રવિડે અંગત રીતે અમારા ફિલ્ડ વર્કરોને 35,000 રૂપિયા આપ્યા છે.
મુંબઈમાં મેચ જીતવી જ જોઈએ
ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે મેદાનમાં પોતાના શાનદાર પ્રદર્શનથી દિલ જીતી લીધું તો ભારતીય કોચે પોતાની ચાલથી ચાહકોના દિલ જીતી લીધા. આ મેચમાં જીતની તક ગુમાવ્યા બાદ દ્રવિડ મુંબઈમાં આગામી મેચમાં દિલની સાથે મેચ જીતવાની આશા રાખશે. બંને ટીમો વચ્ચે શ્રેણીની છેલ્લી મેચ 3 ડિસેમ્બરથી વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થશે.