INDvsENG: માન્ચેસ્ટર ટેસ્ટ રદ થયા બાદ ઈંગ્લેન્ડથી ખાલી હાથે પરત ફરશે વિશ્વનો નંબર 2 બોલર, સિરીઝમાં તક જ ના અપાઈ
ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ પહેલા તેને સૌથી મોટા હથિયાર તરીકે દર્શાવવામાં આવી રહ્યો હતો. જોકે જ્યારે જંગ શરુ થયો તો તેને તેમાં ઉતારાયો જ નહીં.
આમ તો મોટા કદના ખેલાડીઓને ભાગ્યે જ બેન્ચ પર બેસાડવામાં આવે છે. પરંતુ કેટલીકવાર પરિસ્થિતિઓ અને એવા કોમ્બિનેશનની જરૂરીયાત હોય છે કે તેમને પણ તેમના વારાની રાહ જોવી પડે છે. આવું જ કંઈક ઈંગ્લેન્ડમાં અશ્વિન (R. Ashwin) સાથે થયું. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા અશ્વિનને સૌથી મોટા ભારતીય હથિયાર તરીકે દર્શાવવામાં આવતો હતો. પરંતુ જ્યારે રમતનું ઘમાસાણ શરુ થયુ, ત્યારે અશ્વિન તેમાં ઉતર્યો પણ ન હતો.
એક તો પરિસ્થિતિ અને હવામાનના કારણે માહોલ ઝડપી બોલરોને અનુકૂળ હતો. બીજું, વિરાટ કોહલી આ કારણે ટીમના વિનિંગ કોમ્બિનેશન સાથે છેડછાડ કરવા માંગતો ન હતો. જોકે ઓવલ ટેસ્ટ જીત્યા બાદ જ્યારે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 2-1ની લીડ મેળવી હતી, ત્યારે 5મી એટલે કે માન્ચેસ્ટર ટેસ્ટમાં અશ્વિનને રમાડવા માટે હવા ચાલી હતી.
પરંતુ આ ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલા તે કોરોનાને કારણે રદ કરવામાં આવી હતી. આ સાથે જ અશ્વિનની ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં રમવાની અંતિમ આશા પણ છીનવાઈ ગઈ હતી. આ ઈંગ્લેન્ડનો પહેલો પ્રવાસ છે, જેમાં અશ્વિન ટીમ ઈન્ડિયા સાથે ગયો હતો અને કોઈ મેચ રમ્યો ન હતો.
ટેસ્ટ સિરીઝમાં નહીં તો અહીં જરુર રમ્યો અશ્વિન
આમ તો ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં અશ્વિન એક પણ મેચ નહોતો રમી શક્યો અને ફક્ત બેન્ચની શોભા વધારતો જોવા મળ્યો હતો. જોકે આ પહેલા તેણે ઈંગ્લેન્ડ પ્રવાસ પર વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ અને ત્યારબાદ કાઉન્ટી ક્રિકેટમાં હિસ્સો લીધો હતો.
અશ્વિનને પાંચમી અને અંતિમ ટેસ્ટમાં મોકો મળવાની આશા ખૂબ હતી. માન્ચેસ્ટરમાં તે અગાઉ પણ બોલ સિવાય તેના બેટથી દમ 2014માં દેખાડી ચુક્યો છે. અશ્વિન ઈંગ્લેન્ડ સામે ઘર આંગણે એટલે ભારતમાં પણ સફળ ઓલરાઉન્ડ દેખાવ ટેસ્ટ મેચ દરમ્યાન કર્યો હતો. જોકે ઈંગ્લેન્ડ સામે તેને ટીમમાં સમાવવાને લઈને ખૂબ શોર મચ્યો હતો.