IND vs ENG: ટીમ ઈન્ડીયાને ટેસ્ટ શ્રેણી પહેલા લાગ્યો ત્રીજો મોટો ઝટકો, આ ખેલાડીને પહોંચી ઈજા, થઈ શકે છે બહાર
ભારતીય ટીમ (Team India) પ્રથમ અભ્યાસ મેચમાં જ બે મુશ્કેલીઓનો સામનો કરી ચુકી છે. હાલમાં ડરહમમાં કાઉન્ટી ઈલેવન સામે ભારતીય ટીમ ત્રણ દિવસીય અભ્યાસ મેચ રમી રહી છે.
ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી રમાનારી છે. જેને આડે હવે માંડ બે સપ્તાહનો સમય બાકી છે. ભારતીય ટીમ (Indian Cricket Team) આ માટે તેયારીઓમાં લાગી ચુકી છે. ટીમ સિરીઝથી પહેલા કાઉન્ટી ઈલેવન સામે અભ્યાસ મેચ રમી રહી છે. હાલમાં અભ્યાસ મેચ ટીમને મદદદગાર નિવડવાને બદલે ભારે પડતી લાગી રહી છે. અભ્યાસ મેચના બે દિવસમાં ભારતીય ટીમને એક બાદ એક બે ઝટકા લાગી ચુક્યા છે. આવેશ ખાન (Avesh Khan) બાદ હવે સ્પિનર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર (Washington Sundar) ઈજાને લઈ શ્રેણીથી બહાર થઈ ચુક્યો છે.
આવેશ ખાનને 20 જૂલાઈએ અભ્યાસ મેચ પહેલા જ અંગૂઠામાં ઈજા પહોંચી હતી. જ્યારે બીજા દિવસે વોશિંગ્ટન સુંદરને આંગળીમાં ઈજા પહોંચી છે. આ બંને કાઉન્ટી ઈલેવન તરફથી રમી રહ્યા હતા. જોકે બંનેનો ઈંગ્લેન્ડ પ્રવાસ અહીં જ સમાપ્ત થઈ ચુક્યો છે. આ પહેલા ભારતીય ટીમનો ઓપનર શુભમન ગીલ પ્રવાસથી બહાર થયો હતો. જે હવે પરત સ્વદેશ ફરી ચુક્યો છે. બીસીસીઆઈએ જોકે અત્યાર સુધી ત્રણેય ખેલાડીઓને સિરીઝથી બહાર થવા અંગે અધિકારીક રીતે કોઈ જ એલાન કર્યુ નથી.
ભારત અને ઈંગ્લેન્ડની સિલેક્ટ કાઉન્ટી ઈલેવન વચ્ચે 20 જૂલાઈથી 3 દિવસ માટે અભ્યાસ મેચ શરુ થઈ હતો. આ મેચ માટે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના આગ્રહ પર ભારતીય ટીમે સુંદર અને આવેશ ખાનને કાઉન્ટી ટીમથી રમવા માટે પરવાનગી આપી હતી. જોકે પહેલા જ દિવસે આવેશ ખાન 9 ઓવર બાદ ઈજાગ્રસ્ત થયો હતો. બીસીસીઆઈએ અપડેટ જાહેર કર્યુ હતુ. જેમાં બતાવાયુ હતુ કે તેને સ્કેન કરવામાં આવ્યો છે અને મેડિકલ ટીમ તેની પર નજર રાખી રહી છે. હવે સુંદરની ઈજાએ પરેશાની વધારી દીધી છે.
કોહલી, રહાણેની ફિટનેસ પર સવાલ
આટલુ જ નહીં ટીમની સામે કેપ્ટન વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન અજીંક્ય રહાણેની ફિટનેસનો પણ સવાલ છે. કોહલી પીઠ જકડાઈ જવાની ફરિયાદને લઈને અભ્યાસ મેચ રમી શક્યો નથી. જ્યારે રહાણેને પગમાં સોજો આવવાને લઈને બહાર રહ્યો છે. જોકે ટીમને આશા છે કે બંને ખેલાડી ટેસ્ટ સિરીઝ પહેલા સ્વસ્થ થઈ જશે. કોહલી અભ્યાસ મેચના બીજા દિવસે થોડો સમય નેટમાં પ્રેકટીસ માટે ગાળ્યો હતો. છતાં ટીમને માટે તે ચિંતાનો વિષય જરુર છે તો વળી સાથે જ ઈંગ્લેન્ડમાં કોરોના સંક્રમણનો ખતરો છે. ઋષભ પંત અને સપોર્ટ સ્ટાફ તેની ઝપેટમાં આવી ચુક્યા છે.
પસંદગીકારોનું વલણ બદલાશે કે કેમ?
આ પુરી સ્થિતીને જોતા હવે એ પણ સવાલ ઉઠવા લાગ્યા છે. હવે ભારતીય ટીમના પસંદગીકારો કેટલાક વધુ ખેલાડીઓને ઈંગ્લેન્ડ મોકલશે કે કેમ. શુભમન ગીલની ઈજા બાદ ટીમ મેનેજમેન્ટની માગ છતાં પસંદગીકારોએ સ્પષ્ટ ના ભણી દીધી હતી. સાથે કહ્યું હતુ કે ઈંગ્લેન્ડમાં વર્તમાનમાં હાજર સ્ક્વોડથી કામ ચલાવવામાં આવે. જોકે બદલતી સ્થિતીમાં બોર્ડ અને પસંદગીકારોએ પણ પોતાનું વલણ બદલવુ પડી શકે છે.