IND vs ENG: ઋષભ પંતને લઇ સૌરવ ગાંગુલીએ સ્પષ્ટ કર્યો પોતાનો મત, પંતના સ્વાસ્થ્યને લઇ આપી અપડેટ
ઋષભ પંતે (Rishabh Pant) ત્રણ સપ્તાહની મળેલી રજાઓ દરમ્યાન મન મુકીને મજા માણી હતી. બીસીસીઆઇ તરફથી ના કહેવા છતાં પણ ભીડ ધરાવતા ફુટબોલ સ્ટેડિયમમાં માસ્ક વિના જ મેચનો આનંદ માણ્યો હતો.
ભારતીય ટીમ (Team India) થી લઇને BCCI માટે આવનારા ત્રણથી ચાર મહિના ખૂબ જ વ્યસ્ત રહેનારા છે. ઇંગ્લેંન્ડ પ્રવાસ બાદ IPL 2021 અને T20 વિશ્વકપ રમનારા છે. આ ઉપરાંત શ્રીલંકા પ્રવાસ દરમ્યાન 2 શ્રેણી રમાનારી છે. T20 વિશ્વકપ અને IPL 2021 ના બીજા તબક્કાનુ આયોજન BCCI એ કરવાનુ છે. આમ અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) માટે ખૂબ વ્યસ્ત શિડ્યૂલ છે. તો ઇંગ્લેન્ડ પ્રવાસે રહેલ ટીમ ઇન્ડીયામાં કોરોના (COVID-19) પ્રવેશ કરી ચુક્યો છે. ઋષભ પંત (Rishabh Pant) કોરોના પોઝિટિવ જણાયો હતો.
ઋષભ પંતને કોરોના સંક્રમણ થવાને લઇને, તેના દ્વારા રાખવામાં આવેલી ભૂલોને જવાબદાર ઠેરવવામા આવી રહી છે. ઋષભ પંત વેમ્બલીમાં મિત્રો સાથે ફુટબોલ મેચ જોવા માટે ગયો હતો. ત્રણ સપ્તાહ માટે ટીમ ઇન્ડીયાને ઇંગ્લેન્ડ પ્રવાસ દરમ્યાન રજાઓ આપવામાં આવી હતી. આ દરમ્યાન પંત યૂરો 2020 મેચ જોવા માટે પહોંચ્યો હતો. જે ખૂબ જ ભીડ ભાડ ધરાવતુ સ્થળ હતુ. બીસીસીઆઇ દ્વારા ભીડથી દૂર રહેવા માટે સલાહ આપવામાં આવી હતી. આ દરમ્યાન ક્ષતીઓ જોવા મળી હતી.
વળી પંતે, ભીડ વાળા સ્થળનો માહોલ તો માણ્યો હતો, પરંતુ માસ્ક વિના જ મેચ જોતો હતો. જેને લઇ તેની તસ્વીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી હતી. જોકે એ વાત પણ ચોક્કસ નથી કે પંતને કોરોના સંક્રમણ સ્ટેડિયમમાં મેચ જોવાને લઇ જ થયુ છે. જોકે બીસીસીઆઇ અધ્યક્ષે આ મામલે પોતાનો મત સ્પષ્ટ કર્યો હતો.
ઋષભ પંતનો કર્યો બચાવ
મીડિયા રિપોર્ટનુસાર ગાંગુલીને સવાલ કરવામાં આવ્યો હતો કે, અનેક ખેલાડીઓ માસ્ક વિના જ ઇંગ્લેન્ડમાં ફરતો જોવા મળી રહ્યા હતા. તેઓએ સાવધાની રાખવી જરુરી નહોતી, એવા સવાલને લઇને ગાંગુલીએ પંતનો બચાવ કરતો જવાબ આપ્યો હતો. ગાંગુલીએ કહ્યુ, ઇંગ્લેન્ડમાં વિમ્બલ્ડન અને યૂરો ચેમ્પિયનશીપ થઇ હતી. નિયમ બદલાઇ ચુક્યા હતા. જેમાં ફેન્સને સ્ટેડિયમમાં જવાની પરવાનગી હતી. ભારતીય ખેલાડીઓ રજાઓ પર હતા. ફિઝીકલી દરેક પળે માસ્ક પહેરવુ થોડુ અસંભવ છે.
પંતને લઇ અપડેટ
સૌરવ ગાંગુલીએ વિના માસ્ક પહેરીને મેચનો આનંદ ઉઠાવારા ઋષભ પંતનો બચાવ કર્યો હતો. સાથે જ તેના સ્વાસ્થ્યને લઇને પણ અપડેટ આપ્યુ હતુ. ગાંગુલી એ પંતના સંક્રમણને લઈ ચિંતીત હોવા અંગેના સવાલનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, બીલકુલ નહી. કારણ કે હવે તે વધારે સારો છે.