IND vs ENG: કોહલીમાં ખામીઓ શોધનારાઓને રવિન્દ્ર જાડેજાએ આપ્યો સણસણતો જવાબ, કેપ્ટનની ક્ષમતાને લઇ કહ્યુ આમ
વિરાટ કોહલી (Virat Kohli) લાંબા સમયથી શતક લગાવી શક્યો નથી. જ્યારે ICC જેવી મોટી ટૂર્નામેન્ટમાં પણ તે ટીમને જીતાડવામાં સફળ થઇ શકતો નથી. જેને લઇને અવારનવાર તે ટીકાકારોને નિશાને ચઢતો હોય છે.
ભારત અને ઇંગ્લેન્ડ (India Vs England) વચ્ચેની પાંચ ટેસ્ટ મેચોની સિરીઝમાં પ્રથમ ટેસ્ટ મેચ વરસાદે ધોઇ નાંખી છે. જેને લઇને હવે ચાર મેચોમાં બંને ટીમઓ સિરીઝ પર કબ્જો જમાવવાની ટક્કર આપવાની છે. ભારતીય ટીમ (Team India) ને જીતના આરે આવીને ડ્રોનુ પરીણામ સ્વિકારવુ પડ્યુ હતુ. આ દરમ્યાન વિરાટ કોહલી (Virat Kohli)ની કેપ્ટનશીપના વખાણ, રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ ભરપૂર કર્યા છે.
વિરાટ કોહલી ક્રિકેટના મેદાનમાં ઉતરે એટલે મોટા ભાગે તે રેકોર્ડ બનાવતી રમત રમતો રહ્યો છે. પરંતુ હાલમાં તેના બેટ થી શતક નહી નિકળવાને લઇને તેમજ, ICC ઇવેન્ટમાં તે જીત નહી મેળવવાને લઇને ટીકાકારોના નિશાને ચઢતો રહ્યો છે. ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ બાદ તો કોહલીની કેપ્ટનશીપને લઇને આંગળી ચિંધાવા લાગી હતી. તેની કેપ્ટનશીપની ક્ષમતા ને લઇ ચર્ચાઓ થવા લાગી હતી.
ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા લોર્ડઝ ટેસ્ટ પહેલા કોહલીના ખૂબ વખાણ કર્યા હતા. જાડેજા અંડર 19 ના દિવસોમાં કોહલીની કેપ્ટનશીપ હેઠળ રહ્યો હતો. 2008માં જ્યારે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં અંડર 19 વિશ્વકપ જીત્યો હતો, ત્યારે જાડેજા તે ટીમનો હિસ્સો હતો. જાડેજા એ કહ્યુ હતુ કે, ત્યાર થી લઇને અત્યાર સુધીમાં કોહલની કેપ્ટનના રુપમાં ખૂબ જ પરીપક્વ થઇ ચુક્યો છે.
કોહલીને મેદાન પર આક્રમક રહેવુ પસંદ
ઓલરાઉન્ડર જાડેજાનુ માનવુ છે કે, વિરાટ કોહલી સકારત્મક રહે છે. જાડેજાએ મીડિયા રીપોર્ટનુસાર કહ્યુ હતુ, હાં હું તેમની સાથે અંડર 19 ના દીવસોથી રમી રહ્યો છુ. તે ખૂબ જ પરીપક્વ થઇ ચુક્યા છે. તે હંમેશા સકારાત્મક રહે છે. તે હંમેશા મેચ જીતવા ઇચ્છે છે, ભલે અમે કોઇ પણ ટીમ સામે રમી રહ્યા હોય. અમે મોટી મેચ રમી રહ્યા હોય કે, સામાન્ય સિરીઝ. તે હંમેશા દબદબો બનાવી રાખવા ઇચ્છે છે. તે ટીમને સારા વાતાવરણમાં બનાવી રાખે છે. તે તેમની કેપ્ટનશીપનો પ્લસ પોઇન્ટ છે. તે મેદાન પર હંમેશા આક્રમક રહેવાનુ પસંદ કરે છે.
IPL માટે પણ તૈયાર
IPL 2021 ને કોરોનાને કારણે અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. પરંતુ હવે તે આગામી મહિનાથી ફરી શરૂ થઈ રહી છે. આ અંગે જાડેજાએ કહ્યું કે, જેનાથી ટીમને T20 વર્લ્ડકપની તૈયારીમાં મદદ મળશે. જાડેજાએ કહ્યું, હા, ઇંગ્લેન્ડ શ્રેણી બાદ IPL શરૂ થઇ રહી છે. તે વર્લ્ડકપની તૈયારી માટે સારું રહેશે. અમે IPL અને વર્લ્ડ કપ બંને UAE માં રમીશું અને મને લાગે છે કે, એક જ મેદાન પર રમવાથી અમને મદદ મળશે. તે વર્લ્ડકપ માટે સારી તૈયારી હશે.