IND vs ENG: શ્રીલંકાના પ્રવાસે રહેલા પૃથ્વી શોને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટમાં ઓપનીંગ કરવા મોકલાઈ શકે
શુભમન ગીલને ઈજા પહોંચી હતી, જેના પર હજુ પણ સસ્પેન્સની સ્થિતી છે. જોકે ગીલ હવે પૂરો પ્રવાસ ગુમાવે એવી શક્યતા છે અથવા શરુઆતની ત્રણેક મેચ ગુમાવવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
ઈંગ્લેન્ડ પ્રવાસે (England Tour) રહેલી ભારતીય ટીમ (Team India) માટે ઓપનરને લઈને રિપ્લેસમેન્ટની સ્થિતી સર્જાઈ છે. શુભમન ગીલ (Shubman Gill)ને ઈજા પહોંચવાને લઈ હવે પૃથ્વી શોને મોકો મળે તેવી સ્થિતી સર્જાઈ છે. પૃથ્વી શો (Prithvi Shaw)ને તેની નિરાશા ખંખેરતા સમાચાર આવી રહ્યા છે. કારણ કે પૃથ્વી શોને રિપ્લેસમેન્ટ માટેનો કોલ મળવાની આશા જાગી છે. જોકે ઓપનર તરીકે ટીમ મેનેજમેન્ટ સામે પૃથ્વી ઉપરાંત પણ વિકલ્પ મોજુદ છે.
શુભમન ગીલને ઈજા પહોંચી હતી, જેના પર હજુ પણ સસ્પેન્સની સ્થિતી છે. જોકે ગીલ હવે પૂરો પ્રવાસ ગુમાવે એવી શક્યતા છે અથવા શરુઆતની ત્રણેક મેચ ગુમાવવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જેને લઈને હવે ભારતીય ટીમને રોહિત શર્માના જોડીદારના સમીકરણની ચિંતા સતાવવા લાગી છે. હાલમાં મયંક અગ્રવાલ અને કેએલ રાહુલ બંને ખેલાડીઓ ઓપનરના દાવેદાર છે. જે બંને હાલમાં ઈંગ્લેન્ડમાં જ ટીમ સાથે પ્રવાસે છે.
જ્યારે પૃથ્વી શો શ્રીલંકા પ્રવાસે (Sri Lanka Tour) છે. જ્યાં તે વન ડે અને T20 શ્રેણી રમનારો છે. જોકે ભારતીય ટીમ મેનેજમેન્ટ શ્રીલંકા સામેનો પ્રવાસ પૂર્ણ થતાં જ તેને ઈંગ્લેન્ડ પ્રવાસમાં જોડાઈ જવા માટે કોલ આપી શકે છે. મીડિયા રિપોર્ટનુસાર પૃથ્વી શો જો શ્રીલંકા પ્રવાસ બાદ ઈંગ્લેન્ડ જશે તો તેનું ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ટીમમાં સામેલ થવું મુશ્કેલ છે.
ક્વોરન્ટાઈન સહિતના તેના બાકી નિયમ પાલન કરવાને લઈને ટીમ સાથે જોડાવવા માટે રાહ જોવી પડી શકે છે. મયંક અગ્રવાલ ઓપનરના સ્વરુપમાં સારો વિકલ્પ માનવામાં આવી રહ્યો છે. જોકે આંકડાની દૃષ્ટીએ તેનું ફોર્મ ખાસ નથી. કે એલ રાહુલને પણ રોહિત શર્માની સાથે ઓપનરના રુપમાં મોકલી શકાય છે. જોકે રાહુલ છેલ્લા 2 વર્ષથી ટેસ્ટ ક્રિકેટથી દૂર છે. તે 2 વર્ષમાં એક પણ ટેસ્ટ મેચનો હિસ્સો બની શક્યો નથી. આવામાં તેની પર પણ ભરોસો દર્શાવવો મોંઘો સાબિત થવાનું માનવામાં આવે છે.
ઈંગ્લેન્ડ પ્રવાસથી વજનને બહાને દૂર રખાયો હતો!
પૃથ્વી શોએ આ વર્ષે ઘરેલુ ક્રિકેટમાં રનનો ઢગલો ખડકી દીધો હતો. જોકે તેમ છતાં પણ તે ઈંગ્લેન્ડ પ્રવાસ માટેની ટીમમાં તે પસંદ થઈ શક્યો નહોતો. જેને લઈ તે નિરાશ હતો. જોકે તેને બહાર રાખવાનું કારણ એવુ ફેલાવવા લાગ્યુ હતુ કે તેને BCCIએ વજન ઘટાડવાની સલાહ આપી છે.