IND vs ENG: કોરોના પ્રોટોકોલને લઈ ઋષભ પંત જ નહીં મંગળવારે વધુ એક વિકેટકીપર મેદાનમાં નહીં રમી શકે
India vs England: ભારતીય ટીમ (Team India)ને લઈ એક બાદ એક ગુરુવારે નિરાશાજનક સમાચારો મળતા જ રહ્યા છે. બ્રિટીશ ગવર્મેન્ટના હેલ્થ સિક્યુરીટી પ્રોટોકોલને લઈ વિકેટકીપર અને એક રિઝર્વ ઓપનર કેટલાક દિવસ સુધી ટીમ સાથે રમવાથી દુર રહેવુ પડશે.
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) હવે ઈંગ્લેન્ડમાં કોરોના વાયરસ (Corona Virus) સામે સંઘર્ષ કરવા લાગી છે. આ દરમ્યાન હવે આગામી 20 જૂલાઈથી ડરહમમાં કાઉન્ટી ઈલેવન (County XI) સાથે ટીમ ઈન્ડીયા (Team India) પ્રેકટીસ મેચ રમશે. જે મેચમાં ભારતીય ટીમમાંથી ઋષભ પંત (Rishabh Pant)ની સાથે વધુ એક વિકેટકીપર રમી નહીં શકે.
ભારતીય ટીમ હવે 4 ઓગસ્ટથી શરુ થનારી ટેસ્ટ મેચની શ્રેણીને લઈ તૈયારીઓ કરી રહ્યું છે. જે માટે આયોજીત ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પંત ઉપરાંત હવે રિદ્ધીમાન સાહા (Wriddhiman Saha) પણ મેદાને ઉતરી નહીં શકે. ભારત અને કાઉન્ટી ઈલેવનની રમાનારી મેચ માટે કાઉન્ટી ઈલેવનની ટીમ જાહેર થઈ ચુકી છે. જેમાં જુદી જુદી કાઉન્ટી ટીમોથી ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા છે.
જેની કેપ્ટનશીપ વિલ રોડ્સ હશે. આ માટે કુલ 15 ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા છે. જોકે ભારત સાથે ફર્સ્ટ ક્લાસ અભ્યાસ મેચનું કોઈ આયોજન કરવામાં આવ્યું નહોતુ. પરંતુ BCCI અને ECB વચ્ચેની બેઠક બાદ કાઉન્ટી ઈલેવન સાથે મેચનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પહેલા જ ભારતીય ટીમના એક ખેલાડી સહિત બે લોકો કોરોના સંક્રમિત જણાયા છે. જેમાં એક વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અને થ્રોડાઉન સ્પેશિયાલીસ્ટ દયાનંદ જારાની કોરોના પોઝિટિવ જણાયા હતા.
જેને લઈ ભારતીય ટીમના બોલીંગ કોચ ભરત અરુણ, રિઝર્વ વિકેટકીપર રિદ્ધીમાન સાહા અને સ્ટેન્ડબાય ઓપનર અભિમન્યુ ઈશ્વરનને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જેઓ દયાનંદના સંપર્કમાં હતા. જોકે રાહતની વાત એ છે, કે રિદ્ધીમાન સહિત સંપર્કમાં આવનાર તમામનો રિપોર્ટ નેગેટિવ છે. પરંતુ બ્રિટીશ આરોગ્ય સુરક્ષા પ્રોટોકોલ અનુસરવો ફરજીયાત છે.
આમ હવે ઋષભ પંતની ગેરહાજરી હશે, જ્યારે સાહા સંયુક્ત કાઉન્ટી ટીમની સામે રમાનારી અભ્યાસ મેચમાં રમી નહીં શકે. આમ હવે કેએલ રાહુલ વિકેટકીપીંગની જવાબદારી નિભાવશે. આ પહેલા પણ ભારતીય ટીમ શુભમન ગીલના સ્વરુપમાં ઝટકો વેઠી ચુકી છે. જે ઈજાને લઈને સિરીઝથી પહેલા જ બહાર થઈ ચુક્યો છે.