IND vs ENG: હેડિંગ્લેમાં પણ ઇંગ્લેન્ડના દર્શકોની ગેરવર્તણૂંક, સિરાજ પર પ્રેક્ષકોએ બોલ ફેંક્યો અને સ્કોર પુછી ચિડાવ્યો !
મોહમ્મદ સિરાજ (Mohammed Siraj)ને આ વર્ષની શરુઆતમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પણ દર્શકોની ગેરવર્તણૂંકનો સામનો કરવો પડ્યો હતો. સિડની ટેસ્ટ દરમ્યાન કેટલાક દર્શકોએ તેમની પર વંશીય ટીપ્પણી કરી હતી.
ભારતીય યુવા ઝડપી બોલર મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) ને ફરી એક વખત દર્શકોએ નિશાન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન તેમને વંશીય ટિપ્પણીઓ કરવામાં આવી હતી. હવે ઇંગ્લેન્ડ (England) સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં પ્રેક્ષકોએ કથિત રીતે બોલ તેના પર ફેંક્યો હતો. ઋષભ પંતે (Rishabh Pant) પહેલા દિવસની રમત પૂરી થયા બાદ મીડિયા સાથેની વાતચીતમાં આ અંગે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે સિરાજ બાઉન્ડરી પાસે ફિલ્ડિંગ કરી રહ્યો હતો.
TV કેમેરાએ પણ બતાવ્યું કે કોહલી (Virat Kohli) આનાથી નારાજ છે. તેણે સિરાજને તે વસ્તુ બહાર ફેંકી દેવા કહ્યું હતુ. આ સતત બીજી મેચ છે જ્યારે બાઉન્ડ્રી પાસે ઉભેલા ભારતીય ખેલાડીઓને દર્શકોએ નિશાન બનાવ્યા હતા. લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન દર્શકોએ શેમ્પેઇનની બોટલોના કોર્કને મેદાનમાં ફેંક્યા હતા. આમાંના કેટલાક કોર્ક ત્યાં રહેલા ફિલ્ડર કેએલ રાહુલ પાસે પડેલા હતા.
પંતે સિરાજની ઘટના અંગે મીડિયાને કહ્યું, ‘મને લાગે છે કે કોઈએ સિરાજ પર બોલ ફેંક્યો હતો. તેથી જ તે (કોહલી) ગુસ્સે થયો. તમે જે ઇચ્છો તે કહી શકો છો પરંતુ ફિલ્ડરો પર સામગ્રી ફેંકશો નહીં. મારા મતે તે ક્રિકેટ માટે સારું નથી. પ્રથમ દિવસની રમત દરમ્યાન સિરાજની દર્શકો સાથે વાત કરવાની તસ્વીર સામે આવી હતી.
એવું કહેવામાં આવ્યું હતું કે પ્રેક્ષકો વારંવાર સિરાજને ભારતના સ્કોર વિશે ચીડવતા હતા. જો કે, અહીં ભારતીય ખેલાડીએ તેને સારો જવાબ આપ્યો અને ઇશારા સાથે કહ્યું કે સ્કોર 1-0 છે. એટલે કે ભારત શ્રેણીમાં 1-0 આગળ છે. ત્રીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ભારત 78 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
27 વર્ષના મોહમ્મદ સિરાજ વર્તમાન શ્રેણીમાં ભારતના સૌથી સફળ બોલરોમાંના એક છે. તેણે પ્રથમ બે ટેસ્ટમાં 11 વિકેટ લીધી હતી. લોર્ડ્સ ટેસ્ટમાં તેણે ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી જ્યાં તેણે આઠ વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયામાં સિડની ટેસ્ટમાં પણ ગેરવર્તણૂંક કરાયુ હતુ
આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન મોહમ્મદ સિરાજને પ્રેક્ષકો તરફથી ગેરવર્તનનો સામનો કરવો પડ્યો હતો. સિડની ટેસ્ટ દરમિયાન કેટલાક દર્શકોએ તેના પર જાતિવાદી ટિપ્પણીઓ કરી હતી અને તેને અલગ અલગ નામથી બોલાવ્યો હતા. આ કારણે રમત અટકાવવી પડી હતી અને ગુસ્સે ભરાયેલા દર્શકોને સ્ટેડિયમથી બહાર કાઢી મૂક્યા હતા. સિરાજ અને અજિંક્ય રહાણેએ આ અંગે અમ્પાયરને ફરિયાદ કરી હતી. આ કારણે ઘણો વિવાદ થયો હતો.
ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે ભારતની હાલત કથળી હતી. ટીમ ઇન્ડિયા પ્રથમ બેટિંગ કરતી વખતે 78 રનમાં સમેટાઇ ગઇ હતી. જવાબમાં ઇંગ્લેન્ડે વિના નુકશાન 120 રન બનાવ્યા હતા.