IND vs ENG: ભારતીય ઓપનર રોહિત શર્મા માન્ચેસ્ટર ટેસ્ટમાં ઈજાને લઈને બહાર રહેશે કે કેમ, જાતે જ આપ્યુ અપડેટ, જાણો
ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં 2-1 થી આગળ છે, હવે સિરીઝ જીતવા માટે માંચેસ્ટર (Manchester Test) માં રમાનારી અંતિમ ટેસ્ટ માટે ભારતીય ટીમ યોજના બનાવી રહ્યુ છે. જેમાં રોહિત શર્માની હાજરી ખૂબ જ જરૂરી બની રહેશે.
ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની ઓવલ ટેસ્ટ મેચમાં ભારતે શાનદાર વિજય મેળવ્યો છે. હવે સિરીઝને જીતવા માટે અંતિમ ટેસ્ટ મેચમાં પુરો દમ લગાવી દેવામાં આવશે. જોકે આ પહેલા રોહિત શર્મા (Rohit Sharma)ની ઈજાને લઈને ચિંતાઓ વર્તાઈ રહી છે. માન્ચેસ્ટર (Manchester Test)માં રમાનારી અંતિમ ટેસ્ટમાં તે મેદાને ઉતરશે કે બહાર રહેશે તે હજુ પણ અસ્પષ્ટ છે. આ દરમ્યાન રોહિત શર્માએ ખુદે જ પોતાની ઈજાને લઈને અપડેટ આપ્યુ છે.
ભારતીય ઓપનર રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામે સફળ થનારા બેટ્સમેન પૈકીનો છે. આમ તેની ગેરહાજરીએ ભારતીય ટીમ માટે સિરીઝ જીતવા માટેની નિર્ણાયક મેચમાં જરુર ખોટ વર્તાવી શકે છે. રોહિત ઓવલ મેચમાં મેન ઓફ ધ મેચ રહ્યો હતો. જેમાં તેણે 127 રન કર્યા હતા. જે દરમ્યાન તે ઈજાગ્રસ્ત થયો હતો. જેને લઈ તે ઈંગ્લેન્ડ સામે ફિલ્ડીંગમાં પણ મેદાને આવી શક્યો નહોતો.
મેચ બાદ રોહિત શર્માએ કહ્યુ હતુ કે હાલમાં હું ઠીક છુ. જોકે ફિઝીયોના મેસેજના હિસાબથી ઈજાને દરેક મિનિટે મોનિટર કરવામાં આવશે. આમ રોહિત શર્માએ પોતાની સ્વસ્થતાને લઈને રાહતરુપ વાત કહી છે. જોકે હવે આખરી નિર્ણય ફિઝીયો ટીમ દ્વારા માન્ચેસ્ટર ટેસ્ટ પહેલા રિપોર્ટ મળવાને આધારે રોહિતને મેદાનમાં ઉતરવા માટે નિર્ણય લેવાશે.
તો પૃથ્વી કે મંયકને તક
રોહિત શર્માની ગેરહાજરીમાં હજુ ભારત પાસે બે વિકલ્પ ઉપલબ્ધ છે. પૃથ્વી શો અને મયંક અગ્રવાલ બંનેમાંથી એકને ઓપનર તરીકે માન્ચેસ્ટરમાં તક મળી શકે છે. રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામેની સિરીઝની ચાર ટેસ્ટ મેચ રમીને 368 રન બનાવ્યા હતા. ચાર ટેસ્ટમાં તે 8 ઈનીંગ 52.57ની સરેરાશથી રમ્યો હતો. જેમાં એક શતક અને 2 અર્ધશતક સામેલ છે. 10 સપ્ટેમ્બરથી માન્ચેસ્ટરના ઓલ્ડટ્રેફર્ડ મેદાન (Old Trafford Ground) પર સિરીઝની આખરી ટેસ્ટ રમાશે. હાલ ભારત 2-1થી સિરીઝમાં આગળ છે.
આ પણ વાંચો: IND vs ENG: ઓવલમાં ઈંગ્લેન્ડને 157 રને હાર આપવાની સાથે આ મામલે પાકિસ્તાનને પછાડી ભારત નંબર 1 બન્યુ, જાણો