IND vs ENG: માન્ચેસ્ટર ટેસ્ટ પર BCCIએ નિવેદન આપતા કહ્યું, શું હશે ટેસ્ટ સિરીઝનું ભવિષ્ય?
ટેસ્ટ સિરીઝની પાંચમી અને અંતિમ મેચના એક દિવસ પહેલા જ ટીમના બીજા ફિઝીયો યોગેશ પરમાર કોરોના સંક્રિમત થયા હતા. ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સહિત 4 લોકો પહેલાથી જ સંક્રમિત થયા હતા.
ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ચાલી રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી નિરાશાજનક રીતે સમાપ્ત થઈ છે. 10 સપ્ટેમ્બર શુક્રવારથી શરૂ થતી માન્ચેસ્ટર (Manchester Test)માં છેલ્લી ટેસ્ટ મેચ કોરોના વાઈરસના ચેપના કારણે રદ કરવામાં આવી હતી. ભારતીય કેમ્પમાં કોરોનાના કેસો સામે આવ્યા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે (ECB) મળીને મેચ રદ કરવાનો નિર્ણય કર્યો હતો.
ત્યારથી શ્રેણીના પરિણામ અંગે અટકળો ચાલી રહી છે કે રદ થયેલી મેચ ફરીથી રમાશે કે પછી શ્રેણી અહીં જ સમાપ્ત થશે? BCCIએ સમગ્ર મામલે નિવેદન જાહેર કરીને દરેક પરિસ્થિતિનો ખુલાસો કર્યો છે. માન્ચેસ્ટર ટેસ્ટને રદ કરવાનો નિર્ણય ભારતીય ટીમના બીજા ફિઝીયો યોગેશ પરમાર એક દિવસ પહેલા જ સંક્રમિત જણાયા બાદ લેવામાં આવ્યો હતો.
જોકે ભારતીય ખેલાડીઓના બે RTPCR ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ ખેલાડીઓ તેના વિશે ખૂબ ચિંતામાં હતા. આ સંદર્ભમાં BCCIએ સત્તાવાર રીતે જણાવ્યું કે બોર્ડ વચ્ચે ચર્ચાના ઘણા તબક્કા થયા હતા, જેમાં ટેસ્ટ મેચ રમવાના રસ્તા શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ આખરે માન્ચેસ્ટર ટેસ્ટ ભારતીય સમૂહમાં કોરોના સંક્રમણ કેસોને કારણે રદ કરવાની ફરજ પડી હતી.
ટેસ્ટ મેચના બીજીવારના આયોજન પર ચર્ચા
આ સાથે BCCIએ તેના નિવેદનમાં સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નનો જવાબ પણ આપ્યો છે. બોર્ડે કહ્યું છે કે રદ થયેલી મેચને ફરીથી રમાડવા માટે યોગ્ય સમય માટેનો પ્રયાસ ચાલુ છે. બોર્ડે આ વિશે જણાવ્યું હતું કે BCCI અને ECB વચ્ચેના સંબંધોને ધ્યાનમાં રાખીને BCCIએ ECBને રદ્દ થયેલી ટેસ્ટ મેચનું ફરીથી આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. બંને બોર્ડ ટેસ્ટ મેચનું આયોજન કરવા માટે યોગ્ય સમય શોધવા પર કામ કરશે.
Update: The BCCI and ECB held several rounds of discussion to find a way to play the match, however, the outbreak of Covid-19 in the Indian team contingent forced the decision of calling off the Old Trafford Test.
Details: https://t.co/5EiVOPPOBB
— BCCI (@BCCI) September 10, 2021
બોર્ડે પણ ફરીથી કહ્યું હતુ કે ખેલાડીઓની સલામતી અને આરોગ્ય તેમના માટે સર્વોચ્ચ મહત્વ ધરાવે છે અને બોર્ડ આ મામલે કોઈપણ રીતે સમાધાન કરવા તૈયાર નથી.
ટેસ્ટ મેચ આગામી વર્ષે શક્ય
બોર્ડના નિવેદનથી એટલું સ્પષ્ટ છે કે ભારતીય ટીમ હાલમાં આ શ્રેણીમાં 2-1થી આગળ છે. તેમજ શ્રેણીનો નિષ્કર્ષ હજુ આવ્યો નથી. બંને ટીમોને આવતા વર્ષે આ મેચ રમવાની તક મળશે. ભારતીય ટીમ જૂન 2022માં ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે, જ્યાં તે 3 વનડે અને 3 T20 મેચની શ્રેણી રમવાની છે.
આવામાં બંને બોર્ડે પરસ્પર તાલમેલ અને ચર્ચાઓ દ્વારા તે પ્રવાસ પર જ પાંચમી ટેસ્ટ મેચ રમી શકાય છે. આ માટે અલગથી સમય નિકાળી શકાય છે અથવા તો વન ડે અથવા T20 સિરીઝમાં કોઈ એક જગ્યાએ ટેસ્ટ મેચ રમી શકાય છે.