NZ W vs IND W: ન્યુઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયાની હારના આ 4 છે મોટા કારણો, સ્મૃતિ મંધાનાએ તો હદ કરી દીધી
ICC Womens World Cup 2022: હેમિલ્ટનમાં ન્યૂઝીલેન્ડની ટીમે ભારતીય ટીમને હરાવ્યું, ટીમ ઈન્ડિયા (Team India) 261 રનનો લક્ષ્યાંક પર પહોંચી શક્યુ નહીં.
મહિલા વિશ્વ કપ (Womens World Cup 2022) માં ટીમ ઈન્ડિયા તેની બીજી મેચમાં ન્યુઝીલેન્ડ (NZ W vs IND W) સામે હારી ગયુ હતુ. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 260 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 198 રનમાં સમેટાઈ ગઈ હતી અને તેને 62 રનના માર્જીનથી મેચ ગુમાવવી પડી હતી. વર્લ્ડ કપ માં ભારતની પ્રથમ હાર, જ્યારે ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડની બીજી જીત થઇ હતી. યજમાન ન્યુઝીલેન્ડને પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના હાથે પરાજય મળ્યો હતો. જોકે, હેમિલ્ટનમાં ન્યૂઝીલેન્ડે જોરદાર વાપસી કરી હતી. ન્યુઝીલેન્ડ તરફથી એમેલિયા કર અને સેથરર્વેટે અડધી સદી ફટકારી હતી. વિકેટકીપર કેટી માર્ટિને 41 રનની ઇનિંગ રમી હતી.
ભારત તરફથી હરમનપ્રીત કૌરે 63 બોલમાં 71 રન બનાવ્યા હતા. તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. યાસ્તિકા ભાટિયાએ 28 રન બનાવ્યા હતા. કેપ્ટન મિતાલી રાજ 31 રને આઉટ થઈ હતી. સ્મૃતિ મંધાના 6 અને દીપ્તિ શર્મા 5 રન બનાવીને આઉટ થયા હતા. જેના કારણે ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આવો બતાવીએ ટીમ ઈન્ડિયાની હારના 4 મોટા કારણો.
ભારતે 152 ડોટ બોલ રમ્યા
ભારતની હારનું સૌથી મોટું કારણ ડોટ બોલ હતા. 260 રનના જવાબમાં ટીમ ઈન્ડિયાના બેટર ઝડપી રન બનાવી શક્યા ન હતા. તેણે સ્ટ્રાઇક પણ રોટેટ કરી ન હતી. જણાવી દઈએ કે ભારતે 46.4 ઓવરમાં 152 ડોટ બોલ રમ્યા હતા. લી તાહુહુના એવા 45 બોલ હતા કે જેમાં ભારતે એકપણ રન બનાવ્યો ન હતો.
ટોપ ઓર્ડર ફ્લોપ
ન્યૂઝીલેન્ડ જેવી મજબૂત ટીમ સામે 261 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે સારી શરૂઆતની જરૂર હતી પરંતુ તેમ થયું નહીં. સ્મૃતિ મંધાના માત્ર 6 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી જેના માટે તેણે 21 બોલ રમ્યા હતા. દીપ્તિ શર્મા 13 બોલમાં 5 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. યાસ્તિકા ભાટિયાએ 59 બોલમાં 28 રન બનાવ્યા હતા.
અડધી સદીની ભાગીદારી નથી
લક્ષ્ય હાંસલ કરવા માટે ભાગીદારી જરૂરી છે, પરંતુ આવું થયું નહી. ભારત તરફથી એક પણ અડધી સદીની ભાગીદારી થઈ ન હતી. મિતાલી રાજ અને હરમનપ્રીત કૌરે સૌથી વધુ 47 રન ઉમેર્યા હતા. જ્યારે ન્યુઝીલેન્ડ તરફથી 2 અડધી સદીની ભાગીદારી નોંધાઈ હતી.
એમિલિયા કર અને સેથર્વેઈટને રોકી શક્યા નથી
ટીમ ઈન્ડિયાના બોલરોએ સારું પ્રદર્શન કરીને ન્યૂઝીલેન્ડને 260 રન સુધી રોકી દીધું, પરંતુ તેઓ એમિલિયા કર અને સેડરવેઈટને રોકી શક્યા નહીં. કારે 50 અને સેથર્વેઇટે 75 રન બનાવ્યા હતા. આ પછી એમિલિયા કર અને તાહુહૂએ 3-3 વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને મેચમાંથી બહાર કરી દીધુ હતુ.