સૂર્યકુમાર યાદવને કારણે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને થયો ફાયદો, જાણો સમગ્ર મામલો
શ્રેયસ અય્યરે વેસ્ટ ઈન્ડિઝ સામેની 5મી અને છેલ્લી મેચમાં શાનદાર અડધી સદી ફટકારી હતી, જેનું ઈનામ તેને બુધવારે જાહેર કરવામાં આવેલી રેન્કિંગમાં (ICC T20 Ranking) મળ્યું હતું. અય્યર 6 સ્થાનની છલાંગ લગાવીને બેટ્સમેનોની લિસ્ટમાં 19મા સ્થાને પહોંચી ગયો છે.
સૂર્યકુમાર યાદવથી (Suryakumar Yadav) પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને (Babar Azam) ઘણો ફાયદો થયો છે. પાકિસ્તાની કેપ્ટનને આ ફાયદો આઈસીસીની હાલની જાહેર કરાયેલી T20 રેન્કિંગમાં થયો છે. સૂર્યકુમાર યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝની પાંચમી અને છેલ્લી ટી20 મેચ ન રમવાના કારણે બાબર આઝમની નંબર 1ની ખુરશી સુરક્ષિત થઈ ગઈ છે. તે બેટ્સમેનોની યાદીમાં નંબર 1 પર યથાવત છે. સૂર્યકુમાર દુનિયાનો નંબર વન બેટ્સમેન બનવાનું ચૂકી ગયો કારણ કે તેને વિન્ડીઝ સામેની 5મી ટી20 માંથી આરામ આપવામાં આવ્યો હતો. ઋષભ પંત, શ્રેયસ અય્યર એવા ભારતીય બેટ્સમેનોમાં સામેલ છે જેમણે આઈસીસી રેન્કિંગમાં જોરદાર છલાંગ લગાવી છે.
પોઈન્ટનું અંતર પણ વધુ
સૂર્યકુમાર દુનિયાનો નંબર 2 બેટ્સમેન છે. પરંતુ પહેલા નંબરે રહેલા બાબર આઝમ અને સૂર્યકુમાર વચ્ચે પોઈન્ટનું અંતર પણ વધી ગયું છે. ભારતીય બેટ્સમેનને 11 પોઈન્ટનું નુકસાન થયું છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ચોથી T20 મેચ રમ્યા બાદ સૂર્યકુમાર 816 રેટિંગ સાથે બીજા સ્થાને પહોંચી ગયો હતો અને એવી આશા હતી કે તે ટૂંક સમયમાં બાબર આઝમને પાછળ છોડી દેશે. ભલે તે નંબર 2 પર યથાવત છે પરંતુ હવે પોઈન્ટ ગુમાવ્યા બાદ તેના 805 પોઈન્ટ થઈ ગયા છે. જ્યારે બાબરના 818 પોઈન્ટ છે અને બંને વચ્ચે 13 પોઈન્ટનું અંતર છે.
ટોપ 10માં સૂર્યકુમાર એકમાત્ર ભારતીય
ટોપ 10 ટી20 બેટ્સમેનોની યાદીમાં સૂર્યકુમાર એકમાત્ર ભારતીય બેટ્સમેન છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 સિરીઝમાં તેના પ્રદર્શનની વાત કરીએ તો પહેલી મેચમાં સૂર્યકુમારે 24 રન, બીજી મેચમાં 11, ત્રીજી મેચમાં 76 અને ચોથી ટી20 મેચમાં 24 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે વેસ્ટ ઈન્ડિઝ સામેની 5મી અને છેલ્લી મેચમાં શાનદાર અડધી સદી ફટકારી હતી, જેનું ઈનામ તેને બુધવારે જાહેર કરવામાં આવેલી રેન્કિંગમાં મળ્યું હતું. અય્યર 6 સ્થાનની છલાંગ લગાવીને બેટ્સમેનોની લિસ્ટમાં 19મા સ્થાને પહોંચી ગયો છે. આ સાથે જ આ સિરીઝમાં કુલ 115 રન બનાવનાર ઋષભ પંતે પણ 7 સ્થાનની છલાંગ લગાવી છે. સૂર્યકુમાર યાદવની વાત કરીએ તો તે સિરીઝ દરમિયાન સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે 135 રન બનાવ્યા હતા, પરંતુ તેને છેલ્લી મેચમાં આરામ આપવામાં આવ્યો હતો, જેના કારણે બાબર આઝમને પાછળ છોડવાની તક પણ તેના હાથમાંથી નીકળી ગઈ હતી.