Hardik Pandya ને T20નો કેપ્ટન બનાવવામાં આવી શકે છે, Rohit Sharma નો વર્કલોડ ઘટાડવાનો પ્લાન
Cricket : T20માં હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને સુકાનીપદ સોંપવા પાછળ ભારતીય થિંક ટેન્કનો એક જ ઉદ્દેશ્ય છે અને તે છે રોહિત શર્મા (Rohit Sharma) પર કામનું ભારણ ઓછું કરવું. પસંદગીકારોની આ નવી લાઇન એ એપિસોડનો જ એક ભાગ છે.
એવું લાગે છે કે ભારતીય ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારોએ વીરેન્દ્ર સેહવાગ (Virender Sehwag) નું સાંભળી લીધું છે. એટલા માટે હાર્દિક પંડ્યા (Hardik Pandya) નો T20 કેપ્ટન તરીકેનો કાર્યકાળ લંબાવવાની ચર્ચાએ રોહિત શર્મા (Rohit Sharma) ના વર્કલોડ ઘટાડવાના નિવેદન બાદ જોર પકડ્યું છે. હાર્દિક હાલમાં આયર્લેન્ડમાં 2 મેચની T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની યુવા ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. પરંતુ હવે તે તેનાથી પણ આગળ ભારતીય ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળી શકે છે. T20માં હાર્દિકને સુકાનીપદ સોંપવા પાછળ ભારતીય થિંક ટેન્કનો એક જ ઉદ્દેશ્ય છે અને તે છે રોહિત શર્મા પર કામનું ભારણ ઓછું કરવું. ભારતીય પસંદગીકારો પ્રમાણે તે હાર્દિકની કેપ્ટનશિપથી પ્રભાવિત છે અને ભવિષ્યમાં તેને આ ભૂમિકા સોંપી શકે છે.
ટીમ ઈન્ડિયાની પસંદગી પેનલના એક સભ્યએ ઈન્સાઈડ સ્પોર્ટ્સને જણાવ્યું કે, તેઓ ટી20 ક્રિકેટમાં હાર્દિકની કેપ્ટનશીપના વિસ્તારને લઇને વિચાર કરી રહ્યા છે. રોહિત શર્માના કામનું ભારણ ઘટાડવાના આશયથી વિચારણા કરવામાં આવી રહી છે. તેણે કહ્યું, “અમે રોહિત શર્માને બદલવાની કોઈ ઉતાવળમાં નથી. પરંતુ અમારે તેના વર્કલોડને મેનેજ કરવું પડશે. હાર્દિક આ માટે અમારા પ્લાનનો એક ભાગ છે. કારણ કે આગામી દિવસોમાં ઘણી નાની ટુર થવાની છે. આ સિવાય હાર્દિક આ સમયે ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમનો ભાગ પણ નથી.”
સહેવાગની વાત BCCI એ સાંભળી
ભારતના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગે પણ કહ્યું હતું કે, BCCI એ રોહિત શર્માના વર્કલોડને મેનેજ કરવા વિશે વિચારવું જોઈએ. તેઓએ રોહિતને ટી-20ની કેપ્ટનશિપમાંથી મુક્ત કરવો જોઈએ. તેણે કહ્યું હતું કે, “રોહિતની ઉંમરને જોતા બીસીસીઆઈએ તેના વર્કલોડ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. જેથી તે ટેસ્ટ અને વનડે શ્રેણી માટે માનસિક અને શારીરિક રીતે ફિટ રહી શકે.” તેણે એમ પણ કહ્યું કે જો ભારતીય પસંદગીકારોની નજરમાં કોઈ એવો ચહેરો હોય કે જે ભારતીય ટી20 ટીમની કમાન સંભાળી શકે તો તેના પર વિચાર કરવો જોઈએ.
રોહિત શર્માના વર્કલોડને મેનેજ કરવું તે અમારી પ્રાથમિકતાઃ પસંદગીકાર
પસંદગી સમિતિના એક સભ્યએ જણાવ્યું હતું કે, “અમારી પાસે કેપ્ટનશીપના ઘણા વિકલ્પો છે. પરંતુ તેમને તૈયાર કરવાની જરૂર છે. રોહિતના વર્કલોડને મેનેજ કરવું એ અમારી પ્રાથમિકતા છે અને અમે તે દિશામાં કામ કરી રહ્યા છીએ.” એવું કહેવામાં આવી રહ્યું છે કે પસંદગીકારો હાર્દિકને કેપ્ટન તરીકેના વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. કારણ કે કેએલ રાહુલ ઈજાગ્રસ્ત છે. જ્યારે ઋષભ પંત ટેસ્ટ ટીમનો મહત્વપૂર્ણ સભ્ય છે જે ટૂંકી શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે નહીં.