England Tour: ટીમ ઈન્ડીયાનો ઓપનર ઘાયલ થતાં બહાર થવાનું સંકટ તોળાયુ, ઈજાથી સ્વસ્થ થવામાં સમય લાગી શકે
ઈંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ રમાનારી છે, જે સપ્ટેમ્બર સુધી ચાલનારી છે. 4 ઓગસ્ટથી બંને દેશો વચ્ચે ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થનાર છે.
ટીમ ઈન્ડીયા (Team India)ના ખેલાડીઓ હાલમાં ઈંગ્લેન્ડ (England)માં રજાઓ ગાળી રહ્યા છે. બાયોબબલથી ફ્રી રહેવા માટે સમય મળ્યો છે, જેનો ખેલાડીઓ ભરપૂર આનંદ ઉઠાવી રહ્યા છે. જોકે આ દરમ્યાન જ ભારતીય ટીમ ઓપનર બેટ્સમેન શુભમન ગીલ (Shubman Gill) ઈજાગ્રસ્ત થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. ઈજાને લઈ શુભમન ગીલ પર શરુઆતની મેચોની રમતથી બહાર થવાનું સંકટ તોળાયુ છે.
શુભમન ગીલને આંતરિક ઈજા પહોંચી છે, જેના સંદર્ભે હજુ સુધી કોઈ અપડેટ સામે આવ્યું નથી. તેની ઈજાને લઈને કેવી સ્થિતી છે અને સર્જરીની જરુરીયાત અંગે પણ કોઈ જ અપડેટ જાહેર થયા નથી. ઓપનર શુભમનની ઈજાને લઈને ટીમ ઈન્ડીયા માટે આ એક ઝટકો આપનારા સમાચાર છે. જેની પર હવે ટીમ મેનેજમેન્ટની નજર સતત છે. મીડિયા રિપોર્ટનુસાર, બીસીસીઆઈના એક સિનિયર અધિકારીએ કહ્યું હતુ એવી સંભાવના છે કે ગીલ સંપૂર્ણ ટેસ્ટ પ્રવાસથી જ બહાર થઈ શકે છે. જોકે તે હજુ એક મહિનો દૂર છે. અમને જાણકારી એવી મળી રહી છે કે ઈજા ગંભીર છે.
જે પ્રમાણે સમાચાર આવી રહ્યા છે, તે મુજબ તેની પીંડીઓ કે માંસપેશીઓમાં ઈજા પહોંચી છે. માંસપેશીઓ ખેંચાઈ જવાની સમસ્યા હોવાનું કહેવાઈ રહ્યુ છે. જેમાંથી સ્વસ્થ થવામાં સમય લાગી શકે છે. જોકે એ પણ સ્પષ્ટ નથી કે તેને ઈજા ક્યારે પહોંચી હતી. હાલના સમયે ગીલ ઈંગ્લેન્ડમાં ફિઝીયો નિતીન પટેલ અને સ્ટ્રેન્થ એન્ડ કંડિશનીંગ કોચ સોહમ દેસાઈ સાથે છે. તેઓ તેની પર સતત નિરીક્ષણ રાખી રહ્યા છે.
ઈંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ રમાનારી છે, જે સપ્ટેમ્બર સુધી ચાલનારી છે. 4 ઓગસ્ટથી બંને દેશો વચ્ચે ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થનાર છે, એવામાં સંભાવના છે કે તે સિરીઝની અંતિમ ટેસ્ટ દરમ્યાન પરત ફરી શકે.
અગ્રવાલ, રાહુલ અને ઈશ્વરનને તકની સંભાવના
ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી શુભમન ગીલના બહાર થવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે. જેને લઈ ઓપનરનું સ્થાન મયંક અગ્રવાલ અથવા કેએલ રાહુલ દ્વારા ભરપાઈ થઈ શકે છે. આ બંનેમાંથી કોઈ એકની અંતિમ ઈલેવનમાં પસંદગી થઈ શકે છે. બંગાળના ઓપનર બેટ્સમેન અભિમન્યુ ઈશ્વરન માટે મુખ્ય ટીમમાં સામેલ થવાનો દ્વારા ખુલી શકે છે. જે હાલમાં ટીમ સાથે સ્ટેન્ડ બાય સ્વરુપે સામેલ છે.