ENG vs IND: વિરાટ કોહલીના ફ્લોપ શોને કારણે રોહિત શર્માની ચિંતા વધી, ત્રીજી T20માં હુડ્ડા-કિશનને મળશે તક?
Cricket : ટીમ ઈન્ડિયાએ પહેલી 2 T20I જીતીને ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની શ્રેણી જીતી લીધી છે. ત્રીજી મેચ રવિવારે નોટિંગહામમાં રમાવાની છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનમાં ઘણા ફેરફાર કરી શકે છે.
ભારતે એજબેસ્ટન ખાતેની બીજી T20 મેચ (T20 Cricket) માં ઈંગ્લેન્ડને હરાવી ત્રણ મેચની શ્રેણી જીતી લીધી છે. બંને મેચમાં ભારતીય બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્રીજી T20 રવિવારે નોટિંગહામમાં રમાવાની છે. ભારત (Team India) શ્રેણીમાં પહેલાથી જ 2-0 થી આગળ છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ મેનેજમેન્ટ ત્રીજી ટી20માં પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે અને સતત સારું પ્રદર્શન કરી રહેલા યુવા ખેલાડીઓને ત્રીજી ટી20માં તક આપવામાં આવી શકે છે.
ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) ઈંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણીમાં જૂના રંગમાં જોવા મળ્યો છે. તેણે બંને મેચમાં પાવરપ્લેમાં શાનદાર બોલિંગ કરી હતી. બીજી મેચમાં તેણે પાવરપ્લેમાં બે વિકેટ લઈને ઈંગ્લેન્ડને બેક ફૂટ પર ધકેલી દીધું હતું. આ મેચમાં વાપસી કરનાર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ના બીજા છેડેથી તેને સારો સપોર્ટ મળ્યો. આ બે ફાસ્ટ બોલરોમાંથી કોઈ એકને ત્રીજી ટી20માં આરામ આપવામાં આવી શકે છે. ભુવીએ 2 મેચ રમી છે. આવી સ્થિતિમાં તેમને આરામ આપવામાં આવે તેવી શક્યતા વધુ છે.
ભુવનેશ્વર કુમારને આરામ આપવામાં આવી શકે છે
ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) પહેલા ભારતીય ટીમ મેનેજમેન્ટ તમામ પ્રકારના કોમ્બિનેશન અજમાવવા માંગે છે. તેથી ત્રીજી ટી20માં ભુવનેશ્વરની જગ્યાએ અવેશ ખાન અથવા ઉમરાન મલિકને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકે છે. તો સ્પિન વિભાગમાં પણ ફેરફાર થઈ શકે છે. યુઝવેન્દ્ર ચહલની જગ્યાએ યુવા લેગ સ્પિનર રવિ બિશ્નોઈને અજમાવી શકાય છે. ચહલે બીજી T20માં 2 ઓવરમાં 10 રન આપીને 2 વિકેટ લીધી હતી.
કોહલીના ફોર્મે ટીમ ઇન્ડિયાની ચિંતા વધારી
જ્યાં સુધી બેટિંગની વાત છે તો વિરાટ કોહલી (Virat Kohli) ના ફોર્મે સુકાની રોહિત શર્મા સહિત ભારતીય ટીમ મેનેજમેન્ટની ચિંતા વધારી દીધી છે. તેણે 5 મહિના પછી ઈન્ટરનેશનલ ટી20 રમ્યો છે. પરંતુ 1 રન બનાવીને આઉટ થયો હતો. કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 76 ઇનિંગ્સમાં સદી ફટકારી શક્યો નથી. બીજી ટી-20માં શાનદાર ફોર્મમાં રહેલા દીપક હુડાના સ્થાને તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. દીપક હુડ્ડા ત્રીજી ટી20માં વાપસી કરી શકે છે. જોકે આ માટે ભારતીય ટીમ મેનેજમેન્ટે વિરાટ કોહલી પાસેથી ઓપનિંગ કરાવવાનો નિર્ણય લેવો પડશે. આ સ્થિતિમાં હુડ્ડા ત્રીજા નંબર પર બેટિંગ કરી શકે છે.
ઇશાન કિશન પણ ઓપનિંગ માટે દાવેદાર
બીજી ટી20માં રિષભ પંતે રોહિત શર્મા સાથે ઇનિંગની શરૂઆત કરી હતી. કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) નો દાવ કામે લાગ્યો અને પંતે 16 બોલમાં 25 રન બનાવ્યા. જો કે પંતને ટોપ ઓર્ડરમાં વધુ અજમાવવામાં આવે તેવી શક્યતા નથી. વિરાટની સાથે ઈશાન કિશન પણ ઓપનિંગનો દાવેદાર બની શકે છે. રોહિત અને કેએલ રાહુલની ગેરહાજરીમાં ઇશાને દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં ઇનિંગ્સની શરૂઆત કરી હતી. તેણે આયર્લેન્ડમાં પણ ઓપનિંગ કર્યું હતું. પરંતુ કોહલીની વાપસી બાદ ઈશાન તેના તરફથી પડકારનો સામનો કરી રહ્યો છે.
વિરાટ કોહલીનો ભૂતકાળનો રેકોર્ડ અને કદ પસંદગીકારોને તેને ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય લેતા અટકાવી રહ્યું છે. જો ભારત પંતને મિડલ ઓર્ડરમાં રમવાનું નક્કી કરે છે. તો ઈશાન અથવા કોહલીમાંથી કોઈ એકને ઓપનિંગ કરવાનું કહી શકાય.
ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટી20માં ભાપતની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ
રોહિત શર્મા (સુકાની), વિરાટ કોહલી/ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર/ઉમરાન મલિક અથવા અવેશ ખાન, હર્ષલ પટેલ, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ/રવિ બિશ્નોઈ.