Cricket: આ દેશનો પૂર્વ કેપ્ટન ભારતની ટીમ સાથે રમશે, એશિયા કપમાં ટીમ ઈન્ડિયાને પરેશાન કરી મૂકી હતી
આ ખેલાડીએ 18 વનડે મેચ અને 20 જેટલી T20 મેચ રમીને પોતાનો દેશ છોડી દીધો હતો અને હવે તે ભારતની આ ટીમ સાથે રમવા માટે તૈયાર છે.
ભારતની ઘરેલુ સિઝન થોડા દિવસોમાં શરૂ થવાની છે. તેની શરૂઆત T20 ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (Syed Mushtaq Ali Trophy) થી થાય છે. 4 નવેમ્બરથી 22 નવેમ્બર સુધી ચાલનાર આ ટુર્નામેન્ટ માટે રાજ્યોએ પોતાની ટીમોની જાહેરાત શરૂ કરી દીધી છે. ઓડિશાએ આ માટે પોતાની ટીમ જાહેર કરી છે. પરંતુ આ ટીમમાં કંઈક આશ્ચર્યજનક છે. એટલે કે, હોંગકોંગ (Hong Kong) રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહેલા અંશુમન રથ (Anshuman Rath) ને આ ટીમમાં સ્થાન મળ્યું છે. આ 23 વર્ષીય બેટ્સમેનની આગામી સિઝન માટે ઓડિશા ટીમમાં પસંદગી કરવામાં આવી છે.
અંશુમને હોંગકોંગ માટે 18 વનડે અને 20 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેની પાસે ભારતીય પાસપોર્ટ છે. તેણે ભારત માટે રમવાનું નક્કી કર્યું અને અહીં પાછો આવ્યો જેથી તે ટીમ ઇન્ડિયા (Team Idnia) માટે રમવાનું પોતાનું સપનું પૂરું કરી શકે. તેણે ભારતમાં રમવા માટે BCCI અનુસાર પોતાનો કૂલિંગ પીરિયડ પૂર્ણ કર્યો છે અને હવે તે ભારતમાં રમવા માટે તૈયાર છે.
ચાર વર્ષ છ મહિના
ઓડિશા ટીમમાં પસંદગી થયા બાદ અંશુમાન ખૂબ જ ભાવુક થઈ ગયો હતો અને ઈન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ પણ લખી. તેણે ઓડિશાની જર્સીની તસવીર પોસ્ટ કરી અને લખ્યું, “ચાર વર્ષ અને છ મહિના પછી … તે લાંબી મુસાફરી છે. આ મુશ્કેલ સમયમાં મારી સાથે ઉભેલા લોકોનો હું આભાર માનું છું. જ્યારે અન્ય લોકોએ તક ન આપી ત્યારે, મને તક આપવા બદલ હું ક્રિકેટ ઓડિશાનો આભાર માનવા માંગુ છું. હું મેદાનમાં મારું સર્વશ્રેષ્ઠ આપવા માંગુ છું. હવે અહીંથી પાછું વળીને નથી જોવાનુ બસ ફક્ત આગળ જ વધવાનુ છે.
View this post on Instagram
આ ટીમ તરફથી તક ના મળી
ઓડિશા પહેલા અંશુમાનનો પ્રયાસ ભૂતપૂર્વ રણજી ચેમ્પિયન વિદર્ભ સાથે રમવાનો હતો. આ માટે, ડાબા હાથના બેટ્સમેને ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ સફળતા મળી ન હતી. તેણે નાગપુરમાં ક્લબ ક્રિકેટ પણ રમી હતી. તેને 2020-21 સીઝન માટે વિદર્ભના સેટઅપમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આ પછી તેણે ઓડિશા સાથે વાતચીત કરી જેમાં તેને સફળતા મળી.
ભારત સામે શાનદાર ઇનિંગ રમી
અંશુમનને 2018 એશિયા કપમાં ભારત સામે તેની શાનદાર ઇનિંગ માટે યાદ કરવામાં આવે છે. ભારતે આ મેચમાં હોંગકોંગ સામે 286 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. અંશુમાને નિઝાકત ખાન સાથે ઇનિંગની શરૂઆત કરી અને પ્રથમ વિકેટ માટે 174 રનની ભાગીદારી કરી અને ટીમ ઈન્ડિયાને પરસેવો છોડાવી દીધો હતો. જોકે, ભારતીય ટીમે મેચ 26 રને જીતી લીધી હતી. અંશુમને 97 બોલમાં 73 રનની ઇનિંગ રમી હતી. 2019 માં, તેણે હોંગકોંગથી ક્રિકેટ રમવાનું છોડી દીધું હતુ.