Cricket: ચેતન સાકરિયાએ વર્ણાવી ક્રિકેટની સફર, કહ્યું કે IPLમાં પ્રથમ વાર બોલ હાથમાં લેતા આંખો ભરાઇ આવી હતી
IPL 2021 માં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) તરફથી રમતી વખતે આ ખેલાડીએ શાનદાર રમત બતાવી હતી. તેણે સાત મેચમાં સાત વિકેટ લીધી હતી. તેની ઇકોનોમી પણ ઘણી સારી હતી.
ભારતનો યુવાન ઝડપી બોલર ચેતન સાકરિયા (Chetan Sakariya) એ શ્રીલંકા પ્રવાસથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ વર્ષે પગ રાખ્યો હતો. આ ખેલાડીને IPL 2021માં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) તરફ થી રમવા દરમ્યાન કમાલનુ પ્રદર્શન કર્યુ હતુ. તેણે સાત મેચમાં સાત વિકેટ ઝડપી હતી. તેની ઇકોનોમી ખૂબ સારી રહી હતી. તેના બાદ ચેતન સાકરિયાને શ્રીલંકા પ્રવાસ (SriLanka Tour) માટે પસંદ કરવામાં આવ્યો હતો. જ્યાં તેણે T20 અને એક વન ડે મેચ રમી હતી. જેમાં તેણે કુલ 3 વિકેટ ઝડપી હતી.
ચેતન સાકરિયા માટે છેલ્લા કેટલાક મહિનાઓ ઉતાર ચઢાવથી ભરેલા હતા. જાન્યુઆરીમાં, જ્યારે તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમી રહ્યો હતો, ત્યારે તેના નાના ભાઈએ આત્મહત્યા કરી હતી. થોડા દિવસો બાદ તેને રાજસ્થાન રોયલ્સ દ્વારા IPL 2021 ની હરાજીમાં એક કરોડ 20 લાખ રૂપિયામાં ખરીદ કરવામાં આવ્યો હતો. મે મહિનામાં તેના પિતાનું કોરોનાથી મૃત્યુ થયું હતું. ત્યારબાદ જુલાઈમાં તે ટીમ ઈન્ડિયા સાથે શ્રીલંકાના પ્રવાસે ગયો હતો.
ટીમ ઇન્ડીયામાં સ્થાન મળ્યાનુ સાંભળતા વિશ્વાસ નહોતો
રાજસ્થાન રોયલ્સ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં ચેતન સાકરિયાએ પોતાની સફર વિશે જણાવ્યું હતું. કે, ‘જ્યારે હું પહેલો બોલ ફેંકવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે રન અપ, વોર્મ અપમાં જવા માટે મને બે મિનિટ લાગી. આ સમય દરમિયાન હું મારા જીવનમાં બનેલી બધી ઘટનાઓ જોઈ શક્યો. સારું, ખરાબ, બલિદાન, ટેકો, ટીકા, બધુંજ. તેથી તે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી.
પરંતુ તેણે મને સારું રમવાની પ્રેરણા આપી અને તે જ મારા મનમાં ચાલી રહ્યું હતું. ભારતીય ટીમમાં સ્થાન મેળવવું એક સ્વપ્ન સાકાર થયું હતું. જ્યારે મેં પ્રથમ વખત આ વિશે સાંભળ્યું, ત્યારે મારા મનમાં ઘણી વસ્તુઓ હતી. પણ હું માની નહોતો શક્યો. મેં મારી જાતને ચુંટલી ભરી લીધી કારણ કે મને લાગ્યું કે, તે સાચું નહોતુ લાગી રહ્યુ. તે ડ્રેસિંગ રૂમનો ભાગ બનવું મારા માટે મોટી ક્ષણ હતી.
દ્રવિડ સાથેનો અનુભવ બતાવ્યો
સાકરિયાએ રાહુલ દ્રવિડ સાથેની પ્રથમ વાતચીતના અનુભવ વિશે પણ જણાવ્યું હતું. તેણે કહ્યુ, હું પહેલા ચોંકી ગયો હતો અને હચમચી ગયો હતો. કારણ કે હું માની શકતો ન હતો કે તે ખરેખર તે હતા. તેમણે મને મારા પરિવાર અને મારા રમવાના અનુભવ વિશે પૂછ્યું. તેમણે સૌરાષ્ટ્રમાં ક્રિકેટ વિશે પણ વાત કરી હતી.
છેલ્લા પાંચ વર્ષમાં અમે કેવી રીતે સારું કરી રહ્યા છીએ, તે પણ પૂછ્યું અને તેમણે મને મારી બોલિંગ માટે શાબાશી આપી હતી. તેણે એમ પણ કહ્યું કે તે, આઈપીએલ દરમિયાન મારી સફર જોઈ રહ્યા હતા. નવા અને જૂના બોલથી કરેલી મારી બોલિંગ તેમને ગમી હતી. તેથી તે જાણવું સારું છે કે, તેમના જેવા મોટા ખેલાડીને ખબર હતી કે હું કોણ છું.