BCCI એ પસંદગી સમિતિની નિમણૂંક માટે અરજીઓ મંગાવી તો જેમને બહાર કર્યા એવા નામોએ ફરી દાવો કર્યો
ભારતીય ક્રિકેટ બોર્ડે નવી પસંદગી સમિતિ માટે અરજીઓ મંગાવી હતી અને એ સાથે જ વર્તમાન પસંદગી સમિતિના કાર્યકાળને ખતમ કરી દેવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.
ભારતીય ક્રિકેટ બોર્ડ ટી20 વિશ્વકપ બાદ હવે આકરાપાણીએ છે. વિશ્વકપમાં નિષ્ફળ રહેવાને લઈ બોર્ડે આકરા નિર્ણય લેવાની શરુઆત કરી છે. જેમાં સૌપ્રથમ કાર્ય ટીમ પસંદગી સમિતિને જ વિખેરી નાંખવાનુ કર્યુ હતુ. ચેતન શર્માના અધ્યક્ષ સ્થાન વાળી સમિતિને અચાનક જ વિખેરી દેવાનો બોર્ડે નિર્ણય કર્યો હતો. ક્રિકેટ બોર્ડે હવે નવી પસંદગી સમિતિની નિમણૂંક કરવા માટેની કાર્યવાહી શરુ કરી દીધી છે અને આ માટે ઇચ્છુક ઉમેદાવારો પાસેથી અરજીઓ પણ મંગાવવામાં આવી હતી. જે અરજીઓમાં એવા પણ નામ છે કે જે અગાઉની સમિતિમાં પણ સામેલ છે, જેમકે ચેતન શર્મા અને હરવિંદર સિંહ.
અગાઉની પસંદગી સમિતિને વિખેરી નાંખવા બાદ ક્રિકેટ બોર્ડ દ્વારા નવી અરજીઓ આ પદ પર નિમણૂંક કરવા માટે મંગાવવામાં આવી હતી. જેની સમયમર્યાદા ગત મહિનાની 28 મી તારીખ રાખવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં અરજીઓ સામે આવી હતી. જેમાં હવે નામો જોઈને પણ આશ્ચર્ય સર્જાઈ રહ્યુ છે.
ચેતન શર્મા અને હરવિંદરસિંહને ફરીથી આશાઓ
મીડિયા અહેવાલ પ્રમાણે બીસીસીઆઈ સમક્ષ પસંદગી સમિતિના પદ માટે આવેલી અરજીઓમાં અગાઉની સમિતિનો હિસ્સો રહેલા ચેતન શર્મા અને હરવિંદર સિંહના પણ નામ સામેલ છે. ચેતન શર્મા અગાઉની સમિતિમાં અધ્યક્ષ પદ હતા. તેમની સાથે સમિતિમાં રહેલા હરવિંદર સિંહે પણ ફરીથી પોતાના નામનો દાવો અરજી કરીને કર્યો છે. હરવિંદર સિંહ ભારતીય ટીમના પૂર્વ ઝડપી બોલર છે. દેવાશિષ મોહંતીનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો હતો અને તે હવે તેમના પદ પરથી મુક્ત થઈ રહ્યા હતા. જોકે તેઓએ ફરીથી પોતાના નામ માટે અરજી કરી નથી. આવી જ રીતે સુનિલ જોશીનુ પણ નામ નવી અરજીઓમાં જોવા મળ્યુ નથી.
વડોદરાના નયન મોંગિયા સહિત આ નામ પણ ચર્ચામાં
મીડિયા અહેવાલ પ્રમાણે વડોદરાના નયન મોંગિયાનુ નામ પણ અરજીઓમાં સામેલ છે. મોંગીયા ભારતીય ટીમના પૂર્વ સ્ટાર વિકેટકીપર રહ્યા છે. ભારતના પૂર્વ દિગ્ગજ મીડિયમ પેસર વેંકટેસ પ્રસાદ સહિત ડોડા ગણેશ, મનિન્દર પવાર, અજય રાત્રા, શિવસુંદર દાસ અને નિખિલ ચોપરાના નામ પણ અરજીઓની યાદીમાં સામેલ છે. આમ નવી અરજીઓમાં અનેક ચહેરાઓ તાજા થઈ રહ્યા છે, જે ભારતીય ક્રિકેટનો હિસ્સો રહ્યા છે. નવી સમિતિ આગામી વર્ષે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી વન ડે શ્રેણીના માટે ટીમ પસંદ કરી કામગીરીના શ્રીગણેશ કરશે.